જીવંત સ્કોર – આંતરરાષ્ટ્રીય ક્રિકેટ September 10, 2009
Posted by jagadishchristian in ક્રિકેટ, સમાચાર-હેવાલ.Tags: જીવંત સ્કોર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ
comments closed
શું થશે? February 6, 2010
Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.Tags: કવિતા, ગઝલ, જગદીશ ક્રિશ્ચિયન, મારી કવિતા, ghazal, Jagadish Christian, kavita
11 comments
શું થશે?
નસીબને કોસવાથી શું થશે?
અતીતને દોષવાથી શું થશે?
મુકામ તરછોડવાથી શું થશે?
કમોત પોકારવાથી શું થશે?
સદા નડે માર્ગ મધ્યે પ્હાણ તું!
તનેજ બસ ટોકવાથી શું થશે?
ભરાવવો હોજ તો છે દૂધથી!
સફેદ જળ ઢોળવાથી શું થશે?
નયન ખુલે પણ તરે જો તિમિર તો!
તરંગ ફંફોસવાથી શું થશે?
કપટ પ્રપંચો જ, પ્રમાણિક નથી!
લલાટ પર છોડવાથી શું થશે?
નથી તમારા દિલે ‘જગદીશ’ તો!
દરે-ખુદા ઠોકવાથી શું થશે?
- જગદીશ ક્રિશ્ચિયન નવેમ્બર ૧૫, ૨૦૦૯
છંદ વિધાન: લગાલગા ગાલગાગા ગાલગા
દેશી ટીવી ચેનલનો ત્રાસ! January 30, 2010
Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.Tags: જગદીશ ક્રિશ્ચિયન, દેશી ટીવી, ભારતીય ટીવી ચેનલ, Hindi Channel, Indian Channel, Jagadish Christian
13 comments
દર સપ્તાહ એક પોસ્ટ મૂકવી એવો એક લક્ષ્ય રાખ્યો છે. આજે કોઈ ગઝલ કે વાર્તા મારા સંપાદન માટે તૈયાર નથી તો એક લેખ ઑગસ્ટ મહિનામાં તૈયાર કરેલો તે કોઈપણ કારણસહ પ્રકાશિત નથી કરી શક્યો તે આજે પ્રસ્તુત કરું છું.
દેશી ટીવી ચેનલનો ત્રાસ
પેટ ચોળીને પીડા વહોરી એ કહેવત એકદમ યથાયોગ્ય પુરવાર થઈ જ્યારે પૈસા ખરચીને દેશી ચેનલો લીધી. ડિશ નેટવર્કનું જોડાણ લેવાથી મહિને ૫૩ ડોલરમાં ૨૦૦ અમેરિકન ચેનલ જોવાનો લાવો મળે. આ ૨૦૦ ચેનલ ન્યૂઝ થી માંડીને વિવિધ વિષયને લગતી મનોરંજન સાથે માહિતી પીરસે છે. ખેલજગત, વિજ્ઞાન, આધ્યાત્મિક વગેરે જાત જાતની માહિતીની મોટા ભાગે જીવંત પ્રસારણ સાથે (ખાલી અમેરિકા સ્થિત નહીં પણ દુનિયાના કોઈ પણ ખૂણેથી) દરેક રસના દર્શકોને મનોરંજન સાથે જાણકારી, માહિતી, શિક્ષણ અને દેશ-વિદેશની વિવિધતાના રસદર્શન કરાવે છે. પણ મહિને ૬૦ ડોલર ખરચીને દેશી ચેનલ લેવી પડે છે. (અત્યારે ૧૫ ચેનલ છે – દરેક ચેનલ બીજી ચેનલને વાંધો હોય, તકલીફ થાય, હરીફાઈ કરવી પડે એવા કોઈજ પ્રયત્ન અજાણે પણ કરતી નથી. અને બધી ચેનલ સાથે મળી કેવી રીતે કેટલા ડોલર એકઠા કરવા એના માટે એકમત થઈ આ વિષય વગરની વાત કરવામાં રસ લેતા જ નથી. કારણ એ સિવાયની વાત આવે તો હરીફાઈ આવે અને હરીફાઈ આવે તો મહેનત કરવી પડે, ખર્ચ કરવો પડે વગેરે વગેરે). સૌ પ્રથમ તો આ દેશી ચેનલ લેવાથી ખોટો ખર્ચ થાય છે. ઘરમાં જો એક કરતાં ઓછાં ટેલિવિઝન હોય તો બિનજરૂરી ઝગડાનું કારણ બને છે. બાળકો અને પતિને બલિદાનમૂર્તિ સ્વરૂપ સ્ત્રીના માટે બલિદાન આપવાની અનોખી પરિસ્થિતિ પેદા કરે છે. અરે આ તો ટીવી સિરિયલનો નવો સબ્જેક્ટ થઈ ગયો! હવે આ દેશી ચેનલમાં નામ એવાં લક્ષણ નથી હોતાં. હવે જો કોઈએ ડૉક્ટર થવું હોય અને મેડિકલ કૉલેજમાં જાય અને અને થિયોલોજીના ક્લાસ ફરજિયાત કરવા પડે તો! જો કોઈ સાહિત્યના રસને લઈ આર્ટ્સ કૉલેજમાં જાય અને ગણિતના ક્લાસ ફરજિયાત કરવા પડે તો! હેડલાઈન્સ ટુડે, આજતક કે સમય પર સવારે ૬-૮ વચ્ચે દુનિયામાં કોઈપણ સ્થળે તો શું પણ ભારતમાં કોઈ નવાજૂની થતી હોય તો એની પરવા કર્યા વગર આધ્યાત્મિક કાર્યક્રમ યથાવત્ ચાલતા હોય છે જે બાકીની ૧૩ ચેનલો બતાવતી જ હોય છે (જોકે દરેક ચેનલના પોત પોતાના સંતો અને સાધ્વીઓ હોય છે.) આનો મતલબ એ ન કરતા કે મને આધ્યાત્મિકતા સાથે વાંધો છે. મારા વખાણ નથી કરતો પણ માણસાઈ ન ચૂંકું એનું સતત ધ્યાન રાખું છું. પણ આજ ન્યૂઝ ચેનલો સંજય દત્ત ક્યારે જેલમાં પહોંચશે અને છૂટશે એનું જીવંત પ્રસારણ કરશે, અમિતાભ ક્યારે કયા મંદિરમાં પહોંચશે એનું જીવંત પ્રસારણ કરશે, બીજા બધા કાર્યક્રમને રદ કરીને. આધ્યાત્મિક હોય કે દેશજનના હિતમાં હોય એવા કોઈ પણ કાર્યક્રમને રદ કરી એમની ચેનલને મહત્તમ દર્શકો મળે એવા પ્રયોજન કરે છે. હમણાં એકાદ અઠવાડિયા પહેલાં હું ઑફિસમાંથી નીકળતો હતો અને એક ન્યૂઝફ્લેશ જોઈ કે હીન્દી મહાસાગરમાં આંદામાન નજીક ૭.૧ તીવ્રતા વાળો ધરતીકંપ થયો છે અને સુનામી થવાની શક્યતાની ચેતવણી જાહેર કરી છે. જેમાં ભારત સિવાયના નજીકના ઘણા દેશમાં નુકશાન થવાની ચેતવણી હતી. ઘરે પહોંચતા મને લગભગ કલાક જેવું થાય છે. ઘરે પહોંચી તરતજ મેં દેશી ન્યૂઝ ચેનલ ઑન કરી અને એક કલાક સુધી ત્રણ ચેનલને વારાફરતી બદલતો રહયો પણ એ બધા તો એમની સાથી-સખી-ભગિની ચેનલાના reality show (વાસ્તવિકતાનું પ્રદર્શન??) ના અંશ કે બોલિવુડની નવાજૂની બતાવવામાં મશગૂલ હતા. ઈશ્વરકૃપાથી બે કલાક પછી આ ચેતવણી રદ કરવામાં આવી હતી. (કદાચ મારી માન્યતા ખોટી પણ હોઈ શકે કે આ ચેનલોનું જીવંત પ્રસારણ થાય છે)
આ ત્રણ ન્યૂઝ ચેલનને છોડીને બાકીની ૧૩ ચેનલોમાંથી એક સંગીતની ચેનલ છે જે લગભગ ચોવીસ કલાક નવાં આધુનિક ગીતો બતાવે અને જુનાં ગીત હોય ખરાં પણ એ remix. બાકીની ૧૨ ચેનલ એજ જુના-પૂરાણા સાસુ-વહુ દેરાણી-જેઠાણી ના ઝગડા અને ઘરને નર્ક બનાવવાના પ્રપંચો વાળી ધારાવાહિક. પૈસાનો ભભકો આધુનિક સુવિધાનો વધુ પડતો દેખાવ સ્ત્રી-પાત્રની હીણ કક્ષાની વિલનગીરી વગેરે સમાજમાં જાગૃતિ ક્યાંથી લાવી શકે. સંયુક્ત કુટુંબની ભાવના ક્યાંય નજરે પડતી નથી. અને આપણી ભારતીય સ્ત્રીઓ (થોડા પુરુષો પણ ખરા) ટેલિવિઝનની આ ધારાવાહિક શ્રેણી જોવા માટે કલાકોના કલાક બગાડતા હોય છે. ભારતીય કલા, સંગીત, મૂલ્યો કે સૌજન્યને ઉજાગર કરે એવી ધારાવાહિક બનાવવી જોઈએ. અને આજ ચેનલો બે-પાંચ વર્ષ જુની મૂવિ બતાવે જે લગભગ આ બારે બાર ચેનલ પર લગભગ દર અઠવાડિયે બતાવતા હોવા છતાં એની જાહેરાત કરે તો જણાવે કે only on this channel. આ ચેનલો પર ક્યારેય ગઝલનો, કાવ્યપઠનનો, મુશાયરાનો, ખેલ-કૂદનો કે શૈક્ષણિક કોઈજ કાર્યક્રમ આવતા નથી. ZEE TV વાળાઓએ હદ કરી જ્યારે તેમણે ICL શરૂ કર્યા પહેલાં અમેરિકામાં ZEE SPORTS (વળી પાછી અલગ પૈસા ખરચીને લેવાની) ચેનલ શરૂ કરી એવી જાહેરાત સાથે કે હવે અમેરિકાસ્થિત ક્રિકેટપ્રેમીઓને ક્રિકેટથી વંચિત નહીં રહેવું પડે. બિલકુલ જૂઠ.
આ દેશમાં દરેક ચેનલ એમના કાર્યક્રમ દરમ્યાન એક કે બે મિનિટની કમર્શિયલ મૂકતા હોય છે. આપણી દેશી ચેનલ ૧૫-૨૦ મિનિટ સુધી કમર્શિયલ મૂકતા હોય છે અને એકજ જાહેરાત એક કરતા વધારે વખત ફરી ફરી બતાવીને કાર્યક્રમ જોવાની મઝા તો બગાડે છે પણ કિંમતી સમય બરબાદ પણ કરે છે. એ જાહેરાત આપનારા અને ચેનલ વાળા એમ માનતા હોય કે એનાથી એ જાહેરાત કરનારી કંપનીને ફાયદો થશે તો એ માન્યતા ખોટી છે. હું તો આ જાહેરાતની એક પણ વસ્તુ જરૂર હોય અને કોઈ પર્યાય ન હોય તો પણ ન લેવાની તરફેણમાં છું. હમણાં ઓગસ્ટની ૧૬ તારીખે ન્યુ યોર્ક શહેરમાં ભારતીય સ્વતંત્રતા દિવસની પરેડનું જીવંત પ્રસારણ પહેલી વખત કરવામાં આવ્યું. એ પ્રસારણ એટલું નબળું અને અવ્યવસ્થિત હતું જે અપેક્ષાથી જોજન દૂર હતું. આ પ્રસારણમાં સંકળાયેલા લોકોએ આ દેશમાં યોજાતી કોઈ પણ પરેડના જીવંત પ્રસારણનો પૂર્વ અભ્યાસ કરવાની તસ્દી લીધી નથી એ ઊડીને આંખે દેખાતું હતું.
સેન્ટ મેરી સ્કૂલ મરિયમપુરા પેટલાદ – સુવર્ણજયંતી મહોત્સવ January 18, 2010
Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.Tags: જગદીશ ક્રિશ્ચિયન, સુવર્ણા સેન્ટ મેરીસ, સેન્ટ મેરી સ્કૂલ મરિયમપુરા પેટલાદ્, Jagadish Christian, St. Mary Golden Jubilee, St. Mary's High School Mariampura Petlad
5 comments
૦૧/૧૭/૧૦: આજે સેન્ટ મેરી સ્કૂલ મરિયમપુરા, પેટલાદ નો સુવર્ણજયંતી મહોત્સવ રંગેચંગે પતી ગયો. આજે એ શાળાના સુવર્ણજયંતી પર્વે આનંદ અને આભારદર્શનની લાગણી થાય છે. સ્કૂલ, શિક્ષણ અને શિક્ષકો આપણને જીવનનું અણમોલ ભાથું પુરું પાડે છે. જીર્ણ થતી એ શાળાને સંભાળવાની અને મજબૂત બનાવવી એ આપણી ફરજ છે. આપણાથી થતું યથાયોગ્ય યોગદાન આપવું એ આવશ્યક છે.
મેં ૧૯૬૯ માં સુણાવ વી. બી. મલ્ટીપર્પસ હાઈસ્કૂલમાંથી આઠમું પુરું કરીને મરિયમપુરાની સેન્ટ મેરી હાઈસ્કૂલમાં નવમું ધોરણ શરૂ કર્યું. ત્રણ વર્ષ આ સ્કૂલમાં ભણીને ૧૯૭૨ માં એસ.એસ.સી. પાસ કર્યું. ત્યાર પછી પણ ૧૯૭૯ સુધી અમે મરિયમપુરા જ રહ્યા હતા એટલે સ્કૂલ છોડ્યા છતાં રોજ એ સ્કૂલના પ્રાંગણમાં ફરવાનો લાહવો મળતો રહ્યો. જુના શિક્ષકો તથા નવા વિદ્યાર્થીઓને મળવાનો મોકો મળતો રહ્યો. આજે એ સ્કૂલના દિવસો તરફ પાછી નજર નાખતાં કંઈ કેટલાય ચહેરાઓ જે ધૂંધળા થઈ ગયેલા એ આંખો સમક્ષ સ્પષ્ટ થઈ રહ્યા છે. એ સમયની તારુણ્ય સભર નાદાનિયત, મસ્તી, અકારણ આકર્ષણ અને મુગ્ધાવસ્થા ભરી ગગનચુંબી અપેક્ષા પરથી વાસ્તવિકતાની સપાટી પરની પછડાટ. અને પછી મૂર્છામાંથી વાસ્તવિકતા સુધી પહોંચવાના ધાંધિયા પછી આજના સ્થિર અજવાળામાં કાલને જોવાનો રોમાંચ અદભૂત છે.
સ્કૂલના મારા આ ત્રણ વર્ષ દરમ્યાનના શિક્ષકો અને સંચાલક:
સ્કૂલનો વિસ્તાર અને વિકાસના પ્રણેતા - ફાધર ગોરસ
અંગ્રેજી – ફાધર જોન ઓલ્ફોન્સો, ફાધર વેલી પરેરા, ફાધર સર્જીઓ ડાયસ (આચાર્ય)
ગુજરાતી – જોન કાનિસ સાહેબ
હિન્દી – દિનેશ પટેલ સાહેબ
સંસ્કૃત – જાની સાહેબ
ગણિત અને વિજ્ઞાન – રાઠોડ સાહેબ
ઇતિહાસ ભૂગોળ – માર્ટીન સાહેબ
ચિત્રકામ – જસવંત સાહેબ
વ્યાયામ – બળવંત સાહેબ
વ્યવસ્થાપક ( Clerk) – રમણ સાહેબ અને પીટરભાઈ
અને છગનભાઈ અને એમના પત્ની દિવાળીબેન
મારા બધા સહાધ્યાયીઓના નામ જણાવવાનું ટાળું છું. આજે પણ મારો જેમની સાથે સંપર્ક છે એમના નામ જણાવું છું.
સિસ્ટર વર્ષા, આગ્નેસ (કેનેડા) લલિતા (અમદાવાદ) ફિલિપ (મરિયમપુરા) સેમ્યુલ (પેટલાદ) સિરીલ (અમેરિકા) જ્યોતિ (આણંદ)
આજના આ મહોત્સવમાં હાલ ભણતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો વગેરે મળીને ૩૦૦૦ કરતાં પણ મોટી સંખ્યમાં હાજર રહી પ્રસંગને ચાર ચાંદ લગાવી દીધા. આજના મહોત્સવને પેટલાદના ધારાસભ્ય શ્રી. નિરંજન પટેલના હસ્તે ખૂલ્લો મુક્યો હતો અને અમદાવાદ ધર્મપ્રાંતના પરમપૂજ્ય બિશપ થોમાસ મેકવાનના અધ્યક્ષપદે તથા ગુજરાત રાજ્યના માજી પ્રધાન શ્રી. સી. ડી. પટેલ અને આણંદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી. બી. કે પટેલ ના મુખ્ય મહેમાન પદે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બીજા ઘણા મહાનુભાવો હજર હતા અને બધાના નામ લખવાનું ટાળું છું પણ નીચેના પિક્ચરમાં જોઈને ઓળખી જજો.
આ પ્રસંગના પિક્ચર કનુભાઈ પરમાર તરફથી મળ્યા છે જે જોવા માટે અહીં ક્લિક કરો.
આ સ્કૂલનો એક વિડિયો યુટ્યુબ પરથી મળ્યો છે એ જોવા અહીં ક્લિક કરો.
જુના સમયની યાદ જાગી છે તો મારા એ સ્કૂલ દરમ્યાનનું એક પિક્ચર (એ પણ ઘણું જુનું થઈ ગયું છે)
જુઓ હું શું કરું? January 15, 2010
Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.Tags: ગઝલ, જગદીશ ક્રિશ્ચિયન, ghazal, kavita, Jagadish Christian, મારી કવિતા, જુઓ હું શું કરું
14 comments
જુઓ હું શું કરું?
મઝધારમાં ડૂબી રહી કશ્તી જુઓ હું શું કરું?
સાગર કરે તોફાન ને મસ્તી જુઓ હું શું કરું?
લક્ષ પામવાના જેટલા પ્રયાસ સૌ નાકામ ને
ના કામ લાગી કેટલીય ભક્તિ જુઓ હું શું કરું?
જોયા જમાનાના બધા આકારના સૌ આયના
મારી છતાં મળતી નથી હસ્તી જુઓ હું શું કરું?
કોણે દગો દીધો ફરું છું હર ગલી હું શોધવા
છે બેવફા આખીય આ વસ્તી જુઓ હું શું કરું?
આઘાતના ચોધાર છે આંસુ અમારી આંખમાં
વેચાય પ્રેમપત્રો બની પસ્તી જુઓ હું શું કરું?
દારૂ-દવા ના કામ લાગે છે હવે આ દર્દને
છે બેઅસર સઘળી દુઆ નિયતી જુઓ હું શું કરું?
’જગદીશ’ તો બદનામ છે માને બધા એ વાતને
કરતો ખુલાસા છું જબરદસ્તી જુઓ હું શું કરું?
- જગદીશ ક્રિશ્ચિયન ડિસેમ્બર ૨૨ ૨૦૦૯
છંદ વિધાન: ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
“દૂત” શતાબ્દી મહોત્સવની શરૂઆત January 11, 2010
Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, સમાચાર-હેવાલ.Tags: ગુજરાતી કેથોલિક માસિક, જગદીશ ક્રિશ્ચિયન, જોસેફ મેકવાન, દૂત શતાબ્દી મહોત્સવ, પાવન હ્રુદય દૂત, ફાધર વર્ગીસ પૉલ, ફાધર વાલેસ, ફિલિપ ક્લાર્ક, યોસેફ મેકવાન
15 comments
દૂત માસિક સો વરસની લાંબી સફળ સફર પૂરી કરી રહ્યો છે. આ શતાબ્દી વર્ષના ઉજવણી ની શરૂઆત આજે અમદાવાદમાં એક સમારોહ દ્વારા કરવામાં આવી. દૂતના સો વરસના ઇતિહાસને વાચા આપતા પોસ્ટરો સાથે એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. ગુજરાતના ખૂણે ખૂણેથી લગભગ ૩૦૦૦ જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક આ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહના આયોજકો અને એમાં ભાગ લેનાર દરેક અભિનંદનના હકદાર છે. શરૂઆત શાનદાર થઈ છે અને આ વરસ દરમ્યાન અવનવા કાર્યક્રમ થતા રહેશે એવી અપેક્ષા અસ્થાને નહીં ગણાય.
આ મેગેઝીનમાં જેમના લેખ અને કવિતા પ્રગટ થયા છે એવા થોડા ખ્યાતનામ નામઃ
ફાધર વાલેસ – ખ્યાતનામ લેખક
જોસેફ મેકવાન – જાણીતા અને માનીતા નવલકથાકાર અને રેખાચિત્ર સર્જક
યોસેફ મેકવાન – જાણીતા કવિ
ફિલિપ ક્લાર્ક – જાણીતા કવિ અને દૂતના કવિતા વિભાગના સંપાદક
ફાધર વર્ગીસ પૉલ – જાણીતા લેખક – દૂતના ભૂતપૂર્વ તંત્રી
આ સમારોહના પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો. Provided by Kanubhai Parmar, Anand
દૂત-પ્રદર્શન પિક્ચર જોવા માટે ઈશિતા જેકબના ફેસબૂક પેજની મુલાકાત લો.
“DOOT” CENTENARY CELEBRATIONS LAUNCHED- Fr. Cedric Prakash sj
પાળી શકે! December 31, 2009
Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.Tags: કવિતા, ગઝલ, જગદીશ ક્રિશ્ચિયન, નવા વર્ષની પ્રતિજ્ઞા, નવું વર્ષ, મારી કવિતા, ghazal, Jagadish Christian, New Year resolution
14 comments
નવું વર્ષ શરૂ થાય એટલે આપણે બધા નવી નવી પ્રતિજ્ઞા કરતા હોઈએ છીએ. મોટા ભાગના થોડા દિવસ અમલ કરી પાછાં રોજિંદાં પ્રવાહમાં વીસરી જતા હોઈએ છીએ. તો એના અનુસંધાનમાં એક નવી ગઝલ રજૂ કરું છું. આશા છે તમને ગમશે. તમારા મૂલ્યવાન અભિપ્રાય આપી અભિભૂત કરશો. સૌ મિત્રોને નવા વર્ષની શુભકામના. આભાર.

પાળી શકે!
આપી શકે તો આપ તું એવી કસમ પાળી શકે!
ચીલા નવા ના પાડ જો જૂની રસમ પાળી શકે!
અવરોધ તો લાખો હશે આખાય આ પ્રવાસમાં
પ્રયાસ એવા રાખ જે તારા કદમ પાળી શકે!
જે ચાહશો તે પામશો માનો નહીં બનશે જ એ
આધાર એનો જો સદા સઘળા નિયમ પાળી શકે!
શોધી શકે તો શોધ તું આખી જ આ દુનિયા ફરી
કોઈ મળે જે સો ટકા ખુદના ધરમ પાળી શકે!
જો પામવો હો પ્રેમ તો તૈયાર રહેજે સર્વદા
જેવા મળે તેવા બધા હસતાં ઝખમ પાળી શકે!
”જગદીશ” તારા સૌ રદીફ ને કાફિયા ચમકી જશે
જો ધ્યાન રાખી છંદ બંધારણ ગઝલ પાળી શકે!
- જગદીશ ક્રિશ્ચિયન ડિસેમ્બર ૨૨, ૨૦૦૯
છંદ વિધાન: ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
નાતાલની ઉજવણી – ડિસેમ્બર ૨૫, ૨૦૦૯ ઈઝલીન, ન્યુ જર્સી December 27, 2009
Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.Tags: ગરબા, નાતાલ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, Christmas, evetns, Jagadish Christian, Jesus Christ
5 comments
ડિસેમ્બરની ૨૫મીએ દુનિયા ઊજવે તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બર્થ ડે !!! December 23, 2009
Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.Tags: કવિતા, જગદીશ ક્રિશ્ચિયન, નાતાલ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારી કવિતા, Christmas, Jagadish Christian, Jesus Christ, kavita
8 comments
ડિસેમ્બરની ૨૫મીએ દુનિયા ઊજવે તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બર્થ ડે !!!
સુતા પહેલાં પત્નીને રીમાઈન્ડર
“બર્થ કંટ્રોલ પીલ લીધી કે નહીં?”
ને ચામડાં ચૂંથ્યા પછીનાં નસકોરાંનાં અવાજ અને
એલાર્મના વણનોંતર્યા અવાજની વચ્ચેની તીણી ચીસો.
ઍબોર્સન ક્લિનિક ની અંદર છુપાતા અને,
પ્રસૂતિની પીડા ઘોળીને પી જતા ચહેરાઓ થકી,
આકાર વગરના રૂંધાતા શ્વાસના ધબકારાનો વિલાપ.
રોજ રોજ પ્રાર્થના અને વાયગ્રાનો વિરોધ – અનુરોધ પછીનો ખાલીપો,
સરોગેટ મધર ના પ્રયોગો… ડિવોર્સના ધાંધિયા…
સોનોગ્રામથી કરાતી કન્યાની કત્લ !!!
અપૂરતાં પોષણથી સુકાતા ચહેરા, ટૂંકાતી જીંદગી,
પૉપ્યુલેશન ની ઊંચાઈના રૅકોર્ડથી શરમાતો એવરેસ્ટ !!!
દહેજની ડેફિસીઅન્સી થી ઘૂંટાતા શ્વાસો…
વધતી લાઇફ એક્સ્પેટન્સી સાથે ઊજવીશું ‘ન્યુ યર’
અને પછી… ઊજવતા રહીશું….
રામ નવમી
મહાવીર જયંતી
ઈદ-એ-મિલાદ
જન્માષ્ટમી
ગુરુ નાનક જયંતી
ક્રિસ્ટ્મસ
અને ન્યુ યર !!!
તારણહારની આ રાહ ક્યારે અટકશે?
- જગદીશ ક્રિશ્ચિયન ડિસેમ્બર ૨૦૦૩
પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણાના ગીતો December 20, 2009
Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, સંગીત.Tags: ગુર્જરવાણી, નાતાલ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, Beyonce, Christmas, Christmas Carol, Jesus Christ
4 comments
મારી આગળની પોસ્ટના અનુસંધાનમાં થોડા મિત્રોએ ક્રિસ્ટ્મસ કૅરોલનો સમાવેશ કર્યો હોત તો સારું એવો અભિપ્રાય આપ્યો. તો આનંદ સાથે અહીં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણાંના ગીતો મૂક્યાં છે. કૅપ્ટન શ્રી. નરેન્દ્રભાઈએ સપને ફિલ્મના એક શાનદાર ગીતની યાદ કરાવી હતી તે પણ અહીં મૂક્યું છે. અને જીંગલ બેલ પંજાબી સ્ટાઈલમાં પણ મૂક્યું છે. આશા છે કે તમને ગમશે. આ બધા વિડીયો YOUTYBE વેબસાઈટ પરથી લીધા છે.









