જીવંત સ્કોર – આંતરરાષ્ટ્રીય ક્રિકેટ September 10, 2009
Posted by jagadishchristian in ક્રિકેટ, સમાચાર-હેવાલ.Tags: જીવંત સ્કોર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ
comments closed
એટલે બસ! November 1, 2009
Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.Tags: ગઝલ, જગદીશ ક્રિશ્ચિયન, મારી કવિતા, ghazal, Jagadish Christian, kavita
15 comments
એટલે બસ!
જીવવાનો એહસાસ રહે અનામત એટલે બસ
હાર્દને દરદ સહવાસ મળે યથાવત એટલે બસ
દોષ મારો ના ગણો મજબૂર મારી લાગણીનો
પ્રેમ આપો ના ભલે રાખો અદાવત એટલે બસ
રોજ વાગોળી શકું એવી નથી યાદો છતાં પણ
ઠોકરો આપી અનોખી છે સલામત એટલે બસ
શોધવા બેઠા મને આકાશના તારાભવનમાં
હાજરી ટાણે બતાવેલી બગાવત એટલે બસ
ફાગણી આબોહવા ને મોસમ મઘમઘાટ છે પણ
ચીમળેલા પાનની તોરણ સજાવટ એટલે બસ
એ જ છે સોલ્લાક ને ગાયો મલ્હાર મધુર છે તો પણ
પાંદડા ના ફૂટવાનો આ તફાવત એટલે બસ
ગઝલની જારી રહે આવી લખાવટ એટલે બસ
સાંભળે ‘જગદીશ’ તું એવી ઇબાદત એટલે બસ
- જગદીશ ક્રિશ્ચિયન ઑક્ટોબર ૨૮, ૨૦૦૯
છંદ વિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગલગાગા
સોલ્લાક વિષે: વિરહ નામના વૃક્ષની સૂકી ડાળીને કાપી માટીમાં રોપાવી કુમારપાલના ગવૈયા સોલ્લાકે શુદ્ધ મલ્હાર રાગ ગાયો. એટલે તે ડાળીને પાંદડાં આવ્યાં. તે ઉપરથી મહારાજાએ તેને બાર ગામ ઇનામમાં આપ્યાં. (આભાર – Gujaratilexicon.com)
આદત! October 25, 2009
Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.Tags: કવિતા, ગઝલ, જગદીશ ક્રિશ્ચિયન, ghazal, Jagadish Christian, kavita
12 comments
આદત!
રોજ સાંજે ઘર તરફ પ્રયાણ, આદત ફકત આદત,
રોજ અટકે મયકદાને દ્વાર, આદત ફકત આદત!
આમ તો જોયાં નથી મેં ઊંઘ માંહે સોણલાંઓ
આંખ ખૂલી માણવાની સતત, આદત ફકત આદત!
સાંજથી જુઓ કરી છે આગમનની રાહ આમજ
દોષ કોનો છે, નથી, શા કાજ, આદત ફકત આદત!
પ્રેમના વાદા કરી ભૂલી ગયા હો એમ માની
રાહ જોવાની અમારી એજ, આદત ફકત આદત!
આ રણ વચાળે ભમું છું કેટલા ભવથી છતાંયે
ઝાંઝવાં પીધાં કરું હર બાર, આદત ફકત આદત!
ફૂલ ડૂબે છે જુઓ તરતા રહે પથ્થરો છતાંયે
ઝૂઝવાની જીવવાની એજ, આદત ફકત આદત!
લો ફરી પેલો જ પથરો છે વચાળે એજ માર્ગે
રોજ એને મૂકવો કિનાર, આદત ફકત આદત!
ના કરે સારું કદાચિત્ હોય “જગદીશ” તવ આદત
થાય ના સારું, કરું ભૂંડું ન, આદત ફકત આદત!
જગદીશ ક્રિશ્ચિયન ઑક્ટોબર ૨૦, ૨૦૦૯
છંદ વિધાન – ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા
વ્હાઇટ હાઉસ દિવાળીના રંગે October 18, 2009
Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.Tags: 2009, ઓબામા, દિવાળી, Diwali, Obama, White House
4 comments
શ્વેત ઘરમાં અશ્વેત કહો ન અજાયબી
દીપ દલમાં જલાવ નથી જ અલાયદી
રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અનુવાદિત કવિતા યાદ આવે છે.
ઘોર રે અંધારું પરગટ ભર્યું રે ઘટમાં મારે,
નજરૂં માંડું તો સૂઝે પથ ના રે પગથારે
એક રે પગલીનો આજ પથ તો બતાવો નાથ
કેડીને અજવાળો! દીવો રે પ્રગટાવો નાથ
મહાત્મા ગાંધી – સત્યના પ્રયોગો October 1, 2009
Posted by jagadishchristian in અવનવું, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.Tags: નવભારત કૉમ્યુનિકેશન, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મહાત્મા ગાધી, સત્યના પ્રયોગો, Jesus Christ, Mahatma Gandhi
3 comments
૧૪૦ વર્ષ પહેલા આપણા દેશમાં એક મહાન આત્માએ જન્મ લીધો હતો જેને આખી દુનિયા મહાત્મા ગાંધીના નામે ઓળખે છે, યાદ કરે છે. આજે આપણા બાપુ, મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે. પૂજ્ય બાપુએ એમની આત્મકથા લખી હતી “સત્યના પ્રયોગો”. ૫૦-૬૦ પહેલાના દાયકામાં જન્મેલાઓએ તો વાંચી જ હશે. ન વાંચી હોય તો વાંચવી જોઈએ અને વાંચી હોય તો ફરી એક વાર. વાંચવા માટે કમ્પુટર છોડી બહાર ન જવું હોય તો ઓનલાઈન પણ વાંચી શકો અને વાંચવાનો પર્યાય શોધતા હોય તો એની સીડી પણ ઉપલબ્ધ છે.
વાંચવા માટે ગુર્જરી.નેટ પર આ પુસ્તકના ૨૪ પ્રકરણો ઓનલાઈન છે. અને આશા છે કે બીજા પ્રકરણો ઉમેરાશે.
સાંભળવા માટે નવભારત કમ્યુનિકેશન નિર્મિત સીડી (MP3) તમારા મનપસંદ ઓડિયો-વીડિયો સ્ટોરમાંથી મેળવી લો.

ન્યુ જર્સીમાં રહેતા લોકો ઈઝલીનમાં આવેલા સંગીત સરિતા (ગુજરાતી સુગમ સંગીત અને સાહિત્યનું એક માત્ર સ્તોત્ર) સ્ટોરમાંથી મેળવી શકે છે.
બન્ને સુવિધાના સ્વાદ-પ્રસાદ.
પ્રકરણ-૨૦ ધાર્મિક પરિચયો. નીચે ક્લિક કરો સાંભળવા માટે.
પ્રકરણ-૨૦ વાંચવા માટે આગળ નીચેની તરફ આગળ વધો.
સ્તોત્ર: ગુર્જરી.નેટ પર પુસ્તક ઓનલાઈન છે.
પુસ્તક: સત્યના પ્રયોગો – ગાંધીજીની આત્મકથા
વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયૉસૉફિસ્ટા મિત્રોની ઓળખાણ થઇ. બન્ને સગા ભાઇ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવીન આર્નલ્ડનનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તેઓએ તે તેમની સાથે સંસ્કૃતમાં વાંચવા નોતર્યો. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી ! મારે તેમને કહેવું પડયું કે મેં ગીતાજી વાંચેલ જ નથી, પણ તમારી સાથે હું તે વાંચવા તૈયાર છું. મારો સંસ્કૃ તનો અભ્યાસ પણ નહીં જેવો જ છે. હું તે એટલે સુધી સમજી શકીશ કે તરજુમામાં અવળો અર્થ હશે તો સુધારી શકાશે. આમ આ ભાઇઓની સાથે મેં ગીતા વાંચવાનો આરંભ કર્યો. બીજા અધ્યારયના છેલ્લા શ્ર્લોકોમાંના
‘ વિષયોનું ચિંતન કરનારનો પ્રથમ તેને વિશે સંગ ઊપજે છે, સંગની કામના જન્મેલ છે. કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહ, સંમોહમાંથી સ્મૃતિભ્રમમાંથી બુદ્ધિનાશની થાય છે, ને અંતે તે પુરુષનો પોતાનો નાશ થઇ શકે છે.
એ શ્ર્લોકની મારા મન ઉપર ઊંડી અસર પડી. તેના ભણકારા મારા કાનમાં વાગ્યાં જ કરે. ભગવદગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળા ભાસ્યું. તે માન્યતા ધીમે ધીમે વધતી ગઇ અને આજે તત્વજ્ઞાનને સારુ તેને હું સર્વોતમ ગ્રંથ ગણું છું. મારા નિશાનના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે. તેના અંગ્રેજી તરજુમા લગભગ બધા વાંચી ગયો છું. પણ એડવિન આર્નલ્ડંનો અનુવાદ મને શ્રેષ્ઠ લાગે છે. મૂળ ગ્રંથના ભાવને જાળવ્યો છે, છતાં તે ગ્રંથ તરજુમા જેવો નથી જણાતો. મેં ભગવદગીતાનો આ વેળા અભ્યાસ કર્યો તો ન જ કહેવાય. તે મારા હમેશના વાચનનો ગ્રંથ તો કેટલાંક વર્ષો પછી થયો.
આ જ ભાઇઓએ મને આર્નલ્ડયનું બુદ્ધચરિત્ર વાંચવા ભલામણ કરી. અત્યાર સુધી તો સર એડવિન આર્નલ્ડના ગીતાના અનુવાદની જ મને ખબર હતી. બુદ્ધચરિત્ર મેં ભગવદગીતા કરતાં પણ વધારે રસથી વાંચ્યું. પુસ્તક હાથમાં લીધા પછી તે પૂરું કર્યે જ છોડી શકયો.
આ ભાઇઓ મને એક વખત બ્લૅ વૅટસ્કી લૉજમાં પણ લઇ ગયા. ત્યાંર મને મૅડમ બ્લૅ વૅટસ્કી નાં દર્શન કરાવ્યાં ને મિસિસ બેસંટનાં. મિસિસ બેસંટ તે વખતે તાજાં જ થિયૉસૉફિકલ સોસાયટીમાં દાખલ થયાં હતાં, એટલે તે વિશેની ચર્ચા અખબારોમાં ચાલતી તે હું રસપૂર્વક વાંચતો. આ ભાઇઓએ મને સોસાયટીમાં દાખલ થવા પણ સૂચવ્યું. મેં વિનયપૂર્વક ના પાડી ને કહ્યું, ‘મારું ધર્મજ્ઞાન કંઇ જ નથી, તેથી હું કોઇ પણ પંથમાં ભળી જવા નથી ઇચ્છાતો. ’ મને એવો ખ્યાલ છે તે જ ભાઇઓના કહેવાથી મેં મૅડમ બ્લૅકવૅટસ્કીનું પુસ્તબક ‘કી ટુ થિયૉસૉફી’ વાંચ્યું . તે ઉપરથી હિદું ધર્મનાં પુસ્તાકો વાંચવાની ઇચ્છા થઇ અને હિંદુ ધર્મ વહેમોથી જ ભર્યો છે એવો અભિપ્રાય પાદરીઓને મુખેથી સાંભળતો તે મનમાંથી ગયો.
આ જ અરસામાં એક અન્નાહારી વસતિગૃહમાં મને માંચેસ્ટ રના એક ભલા ખ્રિસ્તી મળ્યા. તેમણે મારી જોડે ખ્રિસ્તી ધર્મની વાત કાઢી. મેં તેમની પાસે મારું રાજકોટનું સ્મરણ વર્ણવ્યું. સાંભળીને તે દુઃખી થયા. તેમણે કહ્યું, ‘હું પોતે અન્નાહારી છું. મદ્યપાન પણ નથી કરતો. ઘણા ખ્રિસ્તીઓ માંસાહાર કરે છે, મદ્યપાન કરે છે, એ સાચું; પણ બેમાંથી એકે વસ્તુ્ લેવાની એ ધર્મમાં ફરજ નથી. તમે બાઇબલ વાંચો એવી ભલામણ કરું છું. ’ મેં એ સલાહ માની. બાઇબલ તેમણે જ ખરીદી આપ્યું. મને કંઇક એવો આભાસ છે કે આ ભાઇ પોતે જ બાઇબલ વેચતા. તેમણે નકશાઓ, અનુક્રમણિકા વગેરેવાળું બાઇબલ મને વેચ્યું. મેં તે શરૂ કર્યું. પણ હું ‘જૂનો કરાર’ વાંચી જ ન શકયો. ‘જેનેસિસ’ – સૃષ્ટિમંડાણ – ના પ્રકરણ પછી તો વાંચું એટલું મને ઉંઘ જ આવે. ‘વાંચ્યું ’ એમ કહી શકાય તે ખાતર, રસ વિના ને સમજયા વિના, મેં બીજા પ્રકરણો બહુ કષ્ટપૂર્વક વાંચ્યાં એમ સ્મંરણ છે. ‘નંબર્સ’ નામનું પ્રકરણ વાંચતા મને અણગમો થયો.
જયારે ‘નવા કરાર’ ઉપર આવ્યો ત્યારે જુદી જ અસર થઇ. ઇશુના ગિરિપ્રવચનની અસર બહુ સારી પડી. તે હ્રદયમાં ઉતાર્યું. બુદ્ધિએ ગીતાજીની સાથે તેની સરખામણી કરી. ‘તારું પહેરણ માગે તેને અંગરખું આપજે. ’ , ‘તને જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ધરજે. ’ , એ વાંચીને મને અપાર આનંદ થયો. શામળ ભટનો છપ્પોં યાદ આવ્યો. મારા બાળક મને ગીતા, આર્નલ્ડનકૃત બુદ્ધચરિત અને ઇશુના વચનોનું એકીકરણ કર્યું. ત્યાગમાં ધર્મ છે એ વાત મનને ગમી.
આ વાચનથી બીજા ધર્માચાર્યોનાં જીવન વાંચવાનું મન થયું. કાર્લાઇલનું ‘વિભૂતીઓ અને વિભૂતિપૂજા’ વાંચવાની કોઇ મિત્રે ભલામણ કરી. તેમાંથી પેગંબર વિશે વાંચી ગયો ને તેમની મહત્તાનો, વીરતાનો ને તેમની તપશ્ર્ચર્યાનો ખ્યાલ આવ્યો.
આટલા પરિચયથી આગળ હું ન વધી શકયો. મારાં પરીક્ષાનાં પુસ્તકો ઉપરાંત બીજું વાંચવાની નવરાશ હું ન મેળવી શકયો. પણ મારે ધર્મપુસ્તકો વાંચવા જોઇએ અને બધા મુખ્ય ધર્મોનો યોગ્ય પરિચય મેળવી લેવો જોઇએ એવી મારા મને નોંધ કરી.
નાસ્તિકતા વિશે પણ કંઇક જાણ્યા વિના કેમ ચાલે ? બ્રૅડલૉનું નામ બધા હિંદી જાણે જ. બ્રૅડલૉ નાસ્તિક ગણાય. તેથી તેમને વિશેનું કંઇક પુસ્ત ક વાંચ્યુંન. નામનું મને સ્મયરણ નથી રહ્યું. તેની મારા પર કંઇ જ છાપ ન પડી. નાસ્તિકતારૂપી સહરાનું રણ હું ઓળંગી ગયો હતો. મિસિસ બેસંટની કીર્તિ તો તે વેળા પણ ખૂબ હતી જ. તે નાસ્તિક મટી આસ્તિક થયાં છે એ વાતે પણ નાસ્તિકવાદ તરફ મને ઉદાસીન બનાવ્યો . ‘હું થિયૉસૉફિસ્ટિ કેમ બની ? ’ એ મિસિસ બેસંટનું ચોપાનિયું મેં વાંચી લીધું હતું. બ્રૅડલૉનો દેહાંત આ અરસામાં જ થયો. વોકિંગમાં તેમની અંતક્રિયા કરવામાં આવી હતી. હું પણ તેમાં હાજર રહેલો. મને લાગે છે કે હિંદી તો એક પણ બાકી નહીં રહેલ હોય. તેમને માન આપવાને સારુ કેટલાક પાદરીઓ પણ આવ્યા હતા. પાછા ફરતાં એક જગ્યાયએ અમે બધા ટ્રેનની રાહ જોતા હતા. ત્યાં આ ટોળામાંના કોઇ પહેલવાન નાસ્તિકવાદીએ આ પાદરીઓમાંના એકની ઊલટતપાસ શરૂ કરી:
‘કેમ સાહેબ, તમે કહો છો ના કે ઇશ્ર્વર છે ? ’
પેલા ભલા માણસે ધીમે સાદે જવાબ આપ્યો : ‘હા, હું કહું છું ખરો. ’
પેલા હસ્યો ને કેમ જાણે પોતે પાદરીને માત કરતો હોય તેમ કહ્યું: ‘વારુ, પૃથ્વીતનો પરિઘ ૨૮,૦૦૦ માઇલ છે એ તો કબૂલ કરો છો ને ? ’
‘અવશ્ય. ’
‘ત્યારે કહો જોઇએ ઇશ્ર્વરનું કદ કેવડુંક હશે ને તે કયાં હશે ? ’
‘આપણે સમજીને તો આપણાં બંનેનાં હ્રદયમાં તે વાસ કરે છે. ? ’
‘બાળકોને ફોસલાવો બાળકોને, ’ કહી પેલા યોદ્ધાએ અમે જેઓ આસપાસ ઊભા હતા તેમની સામે વિજયી નજરે જોયું. પાદરીએ નમ્ર મૌન ધારણ કર્યું. આ સંવાદે વળી નાસ્તિકવાદ તરફ મારો અણગમો વધાર્યો.
ફકત દિલની સફાઈ માગે છે – કિરીટ ગોસ્વામી – ઓસમાન મીર September 19, 2009
Posted by jagadishchristian in કવિતા, સંગીત, સમાચાર-હેવાલ.Tags: ઓસમાન મીર, કિરેટ ગોસ્વામી, ગઝલ, ગુજરાત સમાચાર, સમન્વય, gazal
4 comments
છેલ્લાં થોડા વર્ષોથી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં “સમન્વય” અને “ગુજરાત સમાચાર” ના સહયોગથી “કાવ્યસંગીત સમારોહ” નું આયોજન કરવામાં આવે છે. ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિઓ, સ્વરકારો, ગાયકો અને સાહિત્યકારો એમાં પોતાની કળા પીરસે છે. ત્રણ દિવસ ચાલતા આ મહોત્સવ રૂબરૂ માણવાનું સૌભાગ્ય હજુ સુધી મળ્યું નથી પણ એની સીડી આવવાની આતૂરતા પૂર્વક રાહ જોતો હોઉં છું. ફેબ્રુઆરી ૨૦૦૮ માં થયેલા કાર્યક્રમની સીડી હમણાં થોડા મહિના પહેલા મળી. આ વખતે પહેલા નહીં આવેલા રૂમકુમાર રાઠોડ-સોનાલી રાઠોડ હતા અને થોડા નવા અવાજ સાંભળવા મળ્યા. નવા અવાજમાં એક પ્રતિભાશાળી અવાજ મને ઘણો ગમી ગયો, શ્રી. ઓસમાન મીર. એમણે ત્રણ ગીત રજૂ કરેલાં અને ત્રણે ગીત લાજવાબ ગાયા છે. એમના વિષે વધારે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતો હતો તો આજે એમની એક વિડીયો YOU TUBE પર મળી ગઈ. જે અહીં રજૂ કરું છું. મને ખાતરી છે કે તમને ગમશે. આ ગુજરાતી ગઝલ શ્રી. કિરીટ ગોસ્વામી ની છે.
ફકત દિલની સફાઈ માગે છે
પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે.
આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માગે છે.
જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માગે છે.
એક ઝાંખીજ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માગે છે.
- કિરીટ ગોસ્વામી
હવે આ વિડીયો તો જોઈ લીધી પણ આજ ગીત સીડીમાં સાંભળ્યું હતું તે તમને સંભળાવવાનો મોહ છોડી શકતો નથી. તો સાંભળો…….
બાપુનું ‘હાં રે અમે ગ્યા’તા…..’ September 17, 2009
Posted by jagadishchristian in કવિતા, સમાચાર-હેવાલ.Tags: અમર ભટ્ટ, કવિતા, ગરબા, નવભારત કૉમ્યુનિકેશન, નવરાત્ર, રમેશ પારેખ
4 comments
અત્યારે નવરાત્રનું વાતાવરણ જોર પકડી રહ્યું છે ત્યારે કવિ શ્રી. રમેશ પારેખનું એક અનોખું કાવ્ય અહીં રજૂ કરું છું. પ્રખ્યાત સ્વરકાર અને ગાયક શ્રી. અમર ભટ્ટની ચાર સીડીના સંચય “સ્વરાભિષેક” માં તેમણે જણાવ્યું છે કે “આપણી ભાષા એક ધોધમાર કવિને પામીને ધન્ય થઈ ગઈ, કવિ શ્રી. રમેશ પારેખ. અનેકવિધ વિષયો પર એમણે ગીત લખ્યાં છે. એ ૯૯ વર્ષના રાજપૂતનું ઊર્મિગીત લખે, મદારીનું પ્રણયગીત લખે, એ વૃક્ષ સંવનનાર્થીનું ગીત લખે. આ કવિએ મીંરાની મનોદશામાં પહોંચીને “મીંરા સામે પાર” કાવ્યસંગ્રહ આપ્યો. ૬ અક્ષરનું નામ, તો ફાંસી પહેલાંની ઇચ્છા એવાં કાવ્યો આપ્યાં”
તો આવા ધોધમાર કવિનું આ કાવ્ય કાઠિયાવાડી બોલીમાં લખેલું છે એટલે વાંચવામાં કદાચ જોઈએ તેટલી મઝા ન પણ આવે. જો કોઈ કઠિયાવાડીના અવાજમાં સાંભળીએ તો મઝાજ અલગ મળે. અને વળી જો કવિ શ્રી. રમેશ પારેખના પોતાના અવાજમાં સાંભળીએ તો તો ભયો ભયો! તો સાંભળો.
નવભારત કૉમ્યુનિકેશન દ્વારા કવિ શ્રી. રમેશ પારેખની કવિતાની બહાર પડેલી સીડી “અવસર અવાજનો…” માંથી આ કવિતા લીધી છે.
બાપુનું ‘હાં રે અમે ગ્યા’તા…..’
નવરાતરી આવી છ્.
બાપૂ કહે: ભગલા,
રામગર બાવો તો આરડે છ્.
ગરબી તો અમે ગવરાવતા.
ઈ ય એવી કે
જોગણીયું વાદાકોદ કરે :
હું રમું ને તું નહીં; હું રમું ને તું નહીં.
ભગલે ઈ વાતનો ઢંઢેરો પીટ્યો
એટલે જુવાનિયાઉએ હઠ લીધી:
બાપુ ગરબી ગવરાવે તો હા, નીકર ના.
આવા માતાજીના કામમાં
બાપુથી ના નો પડાણી: ક્યે:
‘ભલે ત્યારે, ગવરાવશું,
એક એકનું માથું ભાંગ એવે ગરબી.’
હડૂડૂડૂ કરતા સૌ થ્યાં ભેળાં.
રોશનિયું-બોશનિયું થઈ ગઈ છ્
હૈયેહૈયું દળાય છ્.
જુવાનિયા અમથાઅમથા
ડાંદિયા ઉલાળે છ્
સૌના પગમાં હરખ આંટો વાઢી ગ્યો છ્
વ્રેમાંડ લગી ઉતાવળ્યું આંબી ગૈ છ્
ઓહોહોહો, બાપ આજ તો ઘણી ગરબી ગવારે છ!
બાપુ મૂછ ઝાટકી
ખોંખારો ખાઈ ઉપાડે છ્ ગરબી:
‘હાં રે મને ગ્યા’તાં…’
ને શિવો ગોર ઓટલેથી બરાડ્યો:
‘એલા અહૂરું ઘંટી કોણ ફેરવે છ્?’
કીકિયારામાં કોઈને સંભળાણું નહીં.
ભગલો ક્યે:
‘કોઈ સાંભળતું નથી, બાપુ,
સાવઝ જેવો અસલી અવાજ કાઢોને!’
‘લે ત્યારે,’ – એમ બોલી
બાપુએ મ્યાનમાંથી તલવાર્ય કાઢતા હોયએમ
ગળામાંથી આંતરડાતોડ હાંક કાઢી
‘હાં રે અમે ગ્યા’તા…’
- ને સરરર કરતું કાં’ક ફાટ્યું.
એકબે ધાવણાં બી ગ્યાં.
બાયું ભેરાંટી રહી.
જુવાનિયા ડાંડિયા ફેંકીને દોડ્યા : ‘શું થિયું, શું થિયું?’
ભગલો ક્યે:
‘થાય શું? ઈ તો બાપુએ ગરબી ગવરાવી.’
ભગલામે ફોડ પાડ્યો ને બાપુને પોરસાવ્યા:
‘થાવા દ્યો બાપ, થાવા દ્યો.’
બાપુએ છાતી ફૂલાવી પોઝીશન લીધી.
એક હાથ લાંબો કર્યો.
બીજા હાથને કાન પર મૂક્યો.
પછી હોઠ હલ્યા.
જડબાં ઊઘડ્યાં.
છાતી ઊંચીનીચી થઈ.
આંખ્યું તગતગી.
મૂછો થથરી.
પરસેવા હાલ્યા.
ત્યારે ઊંદરડી મૂતરે એટલોક અવાજ નીસર્યો:
‘હાં રે અમે ગ્યા’તા…’
ભગલો બોલ્યો:
‘અરેરે, તમારો અવાજ તો
સાવ બેસી ગ્યો, બાપુ…’
બાપુ મૂછે તાવા દઈને બોલ્યા:
‘બેસે જ ને?
એક હાંકે દુશ્મનની છાતીયું
બેસાડી દઈએ તો અવાજ તે શી વિસાતમાં?’
- રમેશ પારેખ
ન્યુ જર્સીમાં ત્રણ કાર્યક્રમ – સપ્ટેમ્બર ૧૨, ૨૦૦૯ September 7, 2009
Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.Tags: તૃપ્તી છાયા, પદ્મા ખન્ના, ભાનુભાઈ વોરા, સરિતા દેવી, સિદ્ધાર્થ રાંદેરિયા, evetns, New Jersey Events
add a comment
બનારસ ઘરાનાના વિદુષી સવિતા દેવીનો સંગીત જલસો.
સવિતા દેવી સ્વર્ગસ્થ સિધ્ધેશ્વરી દેવી અને સુપ્રસિધ્ધ તબલાવાદક પંડિત કિશન મહારાજના પુત્રી છે. તેમની સાથે હાર્મોનિયમ પર ગુરુજી સુરેન્દ્ર કથુલા, તબલા પર સંજય સક્સેના અને ગાયકીમાં માલિની માંબિયર સાથ આપશે. સુપ્રસિધ્ધ કથક ન્રુત્યાંગના પદ્મા ખન્ના ભાવભંગિની પ્રસ્તુત કરશે.
કસુંબલ ડાયરો – ભાનુભાઈ વોરા અને તૃપ્તી છાયા
સિદ્ધાર્થ રાંદેરિયા દિર્ગદર્શિત-અભિનિત નાટક “ગમ્મત કરીલો ગુજ્જુભાઈ”
કવિતાનો આનંદ – એવા રે મળેલા મનના મેળ September 5, 2009
Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.Tags: કવિતા, દિવ્ય ભાસ્કર, મુંબઈ, સુરેશ દલાલ
add a comment
સપ્ટેમ્બર ૧૨, ૨૦૦૯ ના દિવસે ભારતીય વિદ્યાભવન, ચોપાટી – મુંબઈ ના કાનજી ખેતશી સભાગૃહ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી. સુરેશ દલાલ દ્વારા દિવ્ય ભાસ્કરમાં રવિવારે પ્રગટ થતા કાવ્યાસ્વાદ ‘હયાતીના હસ્તાક્ષર’ નો સંચય “કવિતાનો આનંદ” પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. ગીત-સંગીતથી મઢેલા આ કાર્યક્રમમાં હું તો નથી જઈ શકવાનો પણ તમને બધાંને આની જાણ કરું છું. નીચે કાર્યક્રમની વિગતવાર માહિતી છે.
આ કાર્યક્રમની માહિતી આપવા બદલ શ્રી. જસવંત મોદીનો આભાર.





