jump to navigation

જીવંત સ્કોર – આંતરરાષ્ટ્રીય ક્રિકેટ September 10, 2009

Posted by jagadishchristian in ક્રિકેટ, સમાચાર-હેવાલ.
Tags:
comments closed

સિટિઝનશીપ November 7, 2009

Posted by jagadishchristian in મારી વાર્તા.
Tags: , , , , ,
7 comments

આજે એક વાર્તા લઈને આવ્યો છું. અમેરિકન જીવન શૈલી અને નીતિ નિયમો પર આધારિત છે. આશા છે કે બધાંને ગમશે. અભિપ્રાય આપશો તો આનંદ થશે. ટીકા સુધારો કરવામાં અને ટેકો જુસ્સો વધારવામાં કામ લાગશે.

સિટિઝનશિપ

પ્રતિક અને સરોજ વહેલી સવારે ઊઠી તૈયાર થઈને ન્યુવર્કમાં આવેલી ઇમિગ્રેશનની ઓફિસે પહોંચ્યા. આજે સરોજનો સિટિઝનશિપનો ઇન્ટરવ્યૂ હતો. હૉલની અંદર બંને જણ સરોજના વારાની રાહ જોઈ બેઠાં હતાં. પ્રતિક ચાની ચુસ્કી લેતાં લેતાં ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. સરોજ થોડી ટેન્શનમાં લાગતી હતી. અંદર ઇન્ટરવ્યૂરૂમમાંથી થોડી થોડી વારે કોઈ હસતા તો કોઈ નિરાશ ચહેરા નીકળી રહ્યા હતા. સરોજનું નામ બોલાયું એટલે એ ઊભી થઈને ગઈ અને જતાં એણે પ્રતિક તરફ નજર નાંખી તો પ્રતિકે આંખના ઇશારે કહ્યું ચિંતા ન કર અને શુભકામના.

થોડી વાર પછી અંદરથી એક ઓફિસરે આવીને પૂછ્યું  “સરોજ સાથે કોઈ આવ્યું છે?” પ્રતિક ઝડપથી ઊભો થઈને એની પાસે ગયો તો એણે એને અંદર રૂમમાં આવવા માટે કહ્યું. ઓફિસરે કહ્યું “તમારી પત્નીને સિટિઝનશિપ આપી શકાય એમ નથી એ કહેતાં જ તમારી પત્ની બેહોશ થઈ ગઈ છે.” પ્રતિકે ઝડપથી સરોજને ઢંઢોળી અને બેગમાંથી પાણી કાઢી પિવડાવ્યું. એ થોડી સ્વસ્થ થઈ એટલે ઓફિસરે પ્રતિકને કહ્યું  “સરોજને બહાર બેસાડી પાછો રૂમમાં આવ.” પ્રતિક સરોજને થોડું સાંત્વન આપી બહાર બેસાડી અંદર રૂમમાં ગયો. પ્રતિકને બેસવાનો ઇશારો કરી ઓફિસરે કહ્યું  “સરોજે ક્રાઇમને લગતા બધા પ્રશ્નોના જવાબ રૂપે ના લખ્યું છે. પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચેક કર્યું તો એમાં એમની ગિરફતારી થયાની માહિતી મળી. મેં સરોજને પૂછ્યું તો પહેલાં એણે સાફ ઇન્કાર કર્યો અને પછી રડવા લાગી. અને જ્યારે જણાવ્યું કે તને સિટિઝનશિપ આપી શકાય એમ નથી ત્યારે તે એકદમ બેહોશ થઈ ગઈ. આ મારે તમને જણાવવું પડે એટલે જણાવું છું.” પ્રતિક એકદમ આશ્ચર્યચકિત થઈ આ સાંભળી રહ્યો. થોડી વારે એણે પોતાને સ્વસ્થ કરી ઑફિસરને કહ્યું “મને આવી કોઈ જાણકારી નથી અને મારા માનવામાં પણ નથી આવતું.” ઓફિસરે કહ્યું “તે તમે તમારી પત્ની સાથે ચર્ચા કરી લેજો અને આ નિર્ણયની લેખિત જાણકારી પત્ર દ્વારા કરવામાં આવશે. હવે તમે જઈ શકો છો.”

૧૯૯૫ માં બેંગલોરથી કમ્પ્યૂટર સાયન્સની ડિગ્રી મળતાંજ પ્રતિક સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવ્યો માસ્ટર કરી એક કંપનીમાં H1B વિઝા હેઠળ જૉબ મેળવી લીધી. શરૂઆતની થોડી તકલીફ વેઠી સેટ થઈ ગયો. અને બે વર્ષ પછી એને ગ્રીનકાર્ડ પણ મળી ગયું. લગ્ન કરવા માટે મા-બાપ તો ઘણા સમયથી પાછળ પડ્યા હતા. એટલે ગ્રીનકાર્ડ મળતાંજ એ ઇન્ડિયા પહોંચી ગયો. એક મોટા લિસ્ટમાંથી એણે સાત કન્યાઓ પસંદ કરી. અને મહિના પછી વાજતે-ગાજતે સરોજ સાથે લગ્ન થઈ ગયાં. સરોજ નાના ગામમાં ઉછરેલી પણ નજીકના શહેરમાં અપડાઉન કરીને બી.એ. સુધી ભણેલી હતી. નાક-નકશે સુંદર, ઘર કામમાં કુશળ પણ થોડી શરમાળ અને ઓછાબોલી હતી. તકલીફ બસ એકજ હતી કે તે અંગ્રેજી લખવા-બોલવા-વાંચવા અને સમજવામાં નબળી હતી.

લગ્ન પછી અમેરિકા આવતાં સરોજને લગભગ ત્રણ વર્ષ લાગ્યાં. ત્રણ વર્ષ દરમ્યાન પ્રતિકે મહેનત અને કરકસરથી પૈસા બચાવી એક હાઉસ પણ લઈ લીધું. સરોજ આવી એટલે પ્રતિક રોજ સાંજે ગાડીમાં લઈ બહાર નીકળી જતો. સાથે સાથે રસ્તાની જાણકારી આપતો, ડ્રાઈવિંગના નિયમો સમજાવતો, શૉપિંગ મૉલ, ઇન્ડિયન માર્કેટ, સિનેમાહૉલ વગરે જગ્યા બતાવતો. થોડા મહિના પછી સરોજ પણ ગાડી ચલાવતી થઈ ગઈ. અને જોત જોતાંમાં સરોજ સગર્ભા થઈ એટલે પ્રતિકે એના મમ્મી-પપ્પાને આવવા માટે વિનંતી સાથે જરૂરિયાત પણ સમજાવી. તેઓ આવ્યાં એટલે સરોજને પણ સારું લાગ્યું કારણ પ્રતિક જૉબ પર જાય પછી ઘરમાં બહુ એકલતા લાગતી હતી. સરોજે એક બાળકીને જન્મ આપ્યો – શિલ્પા. મમ્મી-પપ્પા દસેક મહિના થયા એટલે પાછાં જવાની ઉતાવળ કરવા લાગ્યાં અને સાથે સરોજ તથા શિલ્પાને પણ લઈ જવાની જીદ પકડી બેઠાં. પ્રતિકના પક્ષમાં કોઈ ન હોવાથી એનો પરાજય થયો અને એ લોકો ઇન્ડિયા જવા રવાના થયાં. બે મહિના પછી સરોજ અને શિલ્પા પાછાં આવ્યાં. ઘરમાં આનંદ હતો. શિલ્પા હવે ડેકેર સેન્ટર જતી થઈ તો સરોજ પણ સમય પસાર થાય એ બહાને બ્યુટીસલૉનમાં પાર્ટટાઇમ જૉબ કરવા લાગી. અને એમ કરતાં સરોજને આ દેશમાં આવ્યે પાંચ વર્ષ થયાં. પાંચ વર્ષના વસવાટ પછી સિટિઝનશિપ માટે એપ્લાય કરી શકાય એટલે પ્રતિકે ફોર્મ ભરી સરોજની સહી કરાવી મોકલી દીધું. અને શ્રી. જોસેફ પરમારની સિટિઝનશિપ માટેની પ્રશ્નાવલી બુક લાવી આપી જે વાંચીને સરોજ બરાબર તૈયાર થઈ ગઈ.

ઑફિસમાંથી નીકળી સરોજ પાસે પહોંચતાં સુધીમાં કેટલાય વિચારો પ્રતિકને ઘેરી વળ્યા. પ્રતિકે ઘણી મહેનત પછી પોતાના વિચાર-લાગણી અને ગુસ્સા પર કાબુ મેળવી શક્યો. તેણે સરોજને પૂછ્યું “તું ઠીક તો છે ને? ચાલ હવે ઘરે જઈએ.” પ્રતિકની આંખમાં કેટલાય પ્રશ્નો જવાબ શોધી રહ્યા હતા તો સરોજની આંખો પણ લાચારી અને ક્ષોભથી ઢળેલી હતી. ઘરે પહોંચ્યાં ત્યાં સુધી બંને જણે કોઈ વાત ન કરી. પ્રતિકે ઘરે પહોંચતાં જ કહ્યું “હું ઑફિસે જાઉં છું.” સરોજને ખબર હતી કે આજે પ્રતિકે રજા લીધેલી છે છતાં કંઈ ના બોલી. પ્રતિકને થોડું એકાંત જોઈતું હતું એટલે એ નજીકના પાર્કમાં જઈને બેઠો. દિમાગમાં જાત જાતના ને ભાત ભાતના વિચારો આવતા હતા. સરોજ કઈ ગેરકાનૂની પ્રવૃતિ કરતી હશે, કયા ગુના માટે એની ધરપકડ થઈ હશે, મારાથી છુપાવાનું કારણ શું હશે, હું માનું છું એવી શરમાળ અને ભાવનાશીલ નથી કે શું વગેરે વગેરે. સરોજ સાથે વાતની શરૂઆત કેવી રીતે કરવી એમ વિચાર કરતાં કરતાં સાંજ થઈ ગઈ. એણે મન મક્કમ કર્યું અને ઘર તરફ નીકળ્યો.

ઘરે પહોંચ્યો તો ઘરમાં સ્મશાનવત શાંતિ હતી. શિલ્પા કાર્ટૂન નેટવર્ક પર એનું કાર્ટૂન જોવામાં મશગૂલ હતી. એને થોડું વહાલ કરી આજુબાજુ નજર ફેરવી પણ સરોજ દેખાઈ નહીં. એ બેડરૂમમાં કપડાં બદલવા ગયો તો સરોજ બેડમાં આડી પડેલી હતી. જેવી લાઈટ ચાલુ કરી કે એ એકદમ ઊભી થઈ અને પ્રતિકને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. “મને માફ કરી દો, મારા લીધે તમને કેટલું દુ:ખ પહોંચ્યું.” પ્રતિકે એને શાંત પાડી અને કહ્યું “શાંતિ રાખ અને રડવાનું બંધ કર, શિલ્પા જોશે તો એ પણ રડશે અને એના બાલસહજ પ્રશ્નોના જવાબ આપવું અઘરું હશે.”

રોજના નિયમ પ્રમાણે પ્રતિક અને શિલ્પા ડાઈનિંગ ટેબલ પર ડિનર માટે ગોઠવાઈ ગયા. સરોજે રસોઈના બાઉલ ટેબલ પર મૂક્યા અને બે પ્લેટ મૂકી. પ્રતિકને ખબર હતી સરોજ તબિયતનું બહાનું કરી ખાવાની ના કહેશે છતાં એણે આગ્રહ કરી એને બે કોળિયા ખાવા મજબૂર કરી. થોડું ટેલિવિઝન જોઈ શિલ્પાને એના રૂમમાં સુવડાવી પ્રતિક અને સરોજ પોતાના બેડરૂમમાં આવ્યા. પ્રતિકે હિંમત કરી વાતની શરૂઆત કરી “સરોજ સ્વીટહાર્ટ તું મને માંડીને વાત કર કે કેમ ક્યારે શું થયું હતું.” સરોજ ફરી રડવા લાગી. પ્રતિકે એને સમજાવતાં કહ્યું “જો તું આમેજ રડ્યા કરીશ તો વાત નહીં કરી શકે અને વાત જાણ્યા વગર એનો ઉપાય કેવી રીતે કરી શકીશું?” સરોજે પ્રયત્નપૂર્વક પોતાની લાગણી પર કાબુ મેળવી શરૂ કર્યું “એ દિવસ તો હું જિદંગીભર નહીં ભૂલું. લગભગ ત્રણેક વર્ષ પહેલાં એક દિવસ હું Macy’s શોપિંગ માટે ગઈ હતી અને બે ડ્રેસ લીધા, બે રૂમાલ એવું થોડું લઈને શોપીંગ કાર્ટમાં મૂકી મેકઅપનો થોડો સામાન જોવા લાગી. મેં બે-ચાર નેઈલ પોલિશ, લિપસ્ટિક અને એક પરફ્યુમ પસંદ કરી મારા હાથમાં કઈ કાર્ટમાં મૂકવા ગઈ અને મારા સેલફોનની રીંગ વાગી. પર્સમાંથી ફોન કાઢતી વખતે અજાણતાં હાથમાંની બધી વસ્તુ પર્સમાં મૂકાઈ ગઈ. તમારોજ ફોન હતો અને તમે તમારા મિત્રદંપતીને જમવા બોલાવવાની જાણ કરી. મેં તરતજ તમને હા પાડી અને જલદી જલદી કાઉન્ટર પર પહોંચી પૈસા ચૂકવી આગળ નીકળી કે જલ્દી ઘરે જઈ રસોઈની તૈયારી કરી શકું.

પણ જેવી હું પૈસા આપી આગળ વધી તો તરતજ એક સિક્યુરિટી વાળાએ મને રોકી. એણે મારી રિસીપ્ટ જોઈ, કાર્ટમાંનો સામાન તપાસ્યો અને પૂછ્યું કે બીજું કશું ગમ્યું કે લીધું છે તો મેં ના પડી.” પ્રતિકને ખ્યાલ આવી ગયો કે આ શોપલીફ્ટીંગનો મામલો હતો. સરોજ એની કહાણી આગળ વધારતાં બોલી “એણે મને એક તરફ ઊભી કરી અને બીજા બે-ત્રણ સિક્યુરિટી વાળાને બોલાવી મને ઘેરીને ઉભા થઈ ગયા. હું તો એકદમ ગભરાઈ ગઈ. મને સમજણ ન પડી કે આ મારી સાથે શું થઈ રહ્યું છે. સ્ટોરના મેનેજરે આવીને ફરી તપાસ કરી અને થોડી વારમાં બે પોલીસ ઑફિસર આવ્યા અને મારી પર પ્રશ્નોની ઝડી વરસાવી અને મારું પર્સ તપાસ્યું અને એમાંથી અજાણતાં મૂકાયેલી પેલી બધી વસ્તુ નીકળી. પોલીસે પૂછ્યું કે આ તેં લઈને પર્સમાં મૂક્યું છે? મેં કહ્યું હા પણ … અને આગળ બોલું ત્યાં સુધીમાં મારા હાથ પાછળ કરી હાથકડી પહેરાવી દીધી. પોલીસની કારમાં પોલીસ સ્ટેશન લઈ ગયા. મારા પિક્ચર લીધા અને ચોરીનો આરોપ લગાવી દીધો. હું કાંઈ બોલું તો કહેતા  You have the right to remain silent. Anything you say can and will be used against you in a court of law. You have the right to an attorney….”

 “હું એટલી બધી ડરી ગઈ હતી અને મને કોઈ હોશકોશ રહ્યા નહોતાં. ઇન્ડિયામાં અમારે ઘરે તો શું પણ અમારી પોળમાં પણ ક્યારેય પોલીસ આવી નથી. પોલીસ સ્ટેશનથી નીકળી બસમાં સ્ટોર પર પહોંચી કાર લઈ ઘરે આવી. મારી હિમ્મત ન ચાલી તમને વાત કરવાની. થોડા દિવસ પછી કોર્ટમાં જવાની નોટિસ પ્રમાણે હું કોર્ટમાં ગઈ તો જજે પણ મારી કોઈ વાત ન સાંભળી did you take those items and put it in your purse, yes or no? How do you plea guilty or not guilty? અને રડતાં કકળતાં મેં કહ્યું yes.. yes.. yes…  મને એ વસ્તુની કિંમત અને ૨૫૦ ડોલરનો દંડ અને કોર્ટ ફી વગેરે ભરવાનો હુકમ આપ્યો. મેં પૈસા ભરી દીધા અને છુટકારોનો શ્વાસ લીધો કે હાશ આ પ્રકરણ પૂરું થયું. મને ખબર નહોતી આ બલા મારો પીછો છોડવાની નથી.” અને એ ફરી પ્રતિકને વળગીને રડવા લાગી. પ્રતિકને આખી વાત હવે સમજાઈ ગઈ. એણે થોડો રાહતનો શ્વાસ લઈને સરોજને શાંત કરી. અને પછી એણે કહ્યું “જો તેં મને ત્યારે વાત કરી હોત તો આપણે લૉયરની સલાહ લઈને આમાંથી છૂટી શક્યા હોત. આ દેશમાં આ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે કોઈ કાનુની સકંજામાં ના સપડાઈ જઈએ. પત્નીની મારપીટ, બાળકોની બેદરકારી કે મારપીટ, દ્રગનું સેવન, દારૂ કે દ્રગના સેવનની અસર નીચે કાર ચલાવવી વગેરે વગેરે. ચાલ જે થયું તે થયું અને હવે સિટિઝનશીપ મેળવવા શું કરવું એની ચિંતા કરીએ.

થોડા દિવસ પછી ઈમિગ્રેશન ઑફિસમાંથી પત્ર આવ્યો એટલે એ લઈને પ્રતિક એક લૉયરને મળ્યો. લૉયરની સલાહ પ્રમાણે પહેલાં તો પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ફરિયાદની નકલ તથા કોર્ટમાં ભરેલા દંડની નકલ મેળવી. મંદિરના પૂજારી અને ગુજરાતી સમાજના પ્રમુખ પાસેથી ચાલચલગતનું પ્રમાણ મેળવ્યું. પ્રતિક એના બોસની ઓળખાણનો લાભ લઈ મેયર પાસેથી પણ પ્રમાણપત્ર લઈ આવ્યો. પ્રતિક-સરોજનું મેરેજ સર્ટિફિકેટ, શિલ્પાનું બર્થ સર્ટિફિકેટ આ બધા દસ્તાવેજ સાથે લૉયરે આખી પરિસ્થિતિ સમજાવતો પત્ર ઇમિગ્રેશન ઑફિસને મોકલી આપ્યો. બે મહિના પછી ઈન્ટરવ્યૂનો પત્ર મળ્યો. પ્રતિક અને સરોજ લૉયરની સાથે ન્યુવર્કની ઑફિસે પહોંચ્યા. સરોજનું નામ બોલાયું એટલે સરોજ અને લૉયર અંદર ગયાં અને થોડી વારે હસતા વદને બહાર આવ્યાં. પ્રતિકે એક હળવાશ અનુભવી મનોમન ઈશ્વરનો આભાર માની લીધો. સરોજ આજે પણ રડી પડી પણ આજનાં આંસુ હર્ષના હતાં. સરોજ અમેરિકન સિટિઝન થઈ ગઈ.

-   જગદીશ ક્રિશ્ચિયન સ્પ્ટેમ્બર, ૦૪ ૨૦૦૯

એટલે બસ! November 1, 2009

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , , ,
15 comments

એટલે બસ!

જીવવાનો એહસાસ રહે અનામત એટલે બસ
હાર્દને દરદ સહવાસ મળે યથાવત એટલે બસ

દોષ મારો ના ગણો મજબૂર મારી લાગણીનો
પ્રેમ આપો ના ભલે રાખો અદાવત એટલે બસ

રોજ વાગોળી શકું એવી નથી યાદો છતાં પણ
ઠોકરો આપી અનોખી છે સલામત એટલે બસ

શોધવા બેઠા મને આકાશના તારાભવનમાં
હાજરી ટાણે બતાવેલી બગાવત એટલે બસ

ફાગણી આબોહવા ને મોસમ મઘમઘાટ છે પણ
ચીમળેલા પાનની તોરણ સજાવટ એટલે બસ

એ જ છે સોલ્લાક ને ગાયો મલ્હાર મધુર છે તો પણ
પાંદડા ના ફૂટવાનો આ તફાવત એટલે બસ

ગઝલની જારી રહે આવી લખાવટ એટલે બસ
સાંભળે ‘જગદીશ’ તું એવી ઇબાદત એટલે બસ

- જગદીશ ક્રિશ્ચિયન ઑક્ટોબર ૨૮, ૨૦૦૯
છંદ વિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગલગાગા

સોલ્લાક વિષે: વિરહ નામના વૃક્ષની સૂકી ડાળીને કાપી માટીમાં રોપાવી કુમારપાલના ગવૈયા સોલ્લાકે શુદ્ધ મલ્હાર રાગ ગાયો. એટલે તે ડાળીને પાંદડાં આવ્યાં. તે ઉપરથી મહારાજાએ તેને બાર ગામ ઇનામમાં આપ્યાં. (આભાર – Gujaratilexicon.com)

આદત! October 25, 2009

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , , ,
12 comments

આદત!

રોજ સાંજે ઘર તરફ પ્રયાણ, આદત ફકત આદત, 

રોજ અટકે મયકદાને દ્વાર, આદત ફકત આદત!

આમ તો જોયાં નથી મેં ઊંઘ માંહે સોણલાંઓ

આંખ ખૂલી માણવાની સતત, આદત ફકત આદત! 

સાંજથી જુઓ કરી છે આગમનની રાહ આમજ

દોષ કોનો છે, નથી, શા કાજ, આદત ફકત આદત!  

પ્રેમના વાદા કરી ભૂલી ગયા હો એમ માની 

રાહ જોવાની અમારી એજ, આદત ફકત આદત!

આ રણ વચાળે ભમું છું કેટલા ભવથી છતાંયે

ઝાંઝવાં પીધાં કરું હર બાર, આદત ફકત આદત!

ફૂલ ડૂબે છે જુઓ તરતા રહે પથ્થરો છતાંયે

ઝૂઝવાની જીવવાની એજ, આદત ફકત આદત! 

લો ફરી પેલો જ પથરો છે વચાળે એજ માર્ગે

રોજ એને મૂકવો કિનાર, આદત ફકત આદત!

ના કરે સારું કદાચિત્ હોય “જગદીશ” તવ આદત

થાય ના સારું, કરું ભૂંડું ન, આદત ફકત આદત!

 જગદીશ ક્રિશ્ચિયન  ઑક્ટોબર ૨૦, ૨૦૦૯

છંદ વિધાન – ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા

વ્હાઇટ હાઉસ દિવાળીના રંગે October 18, 2009

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
4 comments

શ્વેત ઘરમાં અશ્વેત કહો ન અજાયબી
દીપ દલમાં જલાવ નથી જ અલાયદી

રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અનુવાદિત કવિતા યાદ આવે છે.

ઘોર રે અંધારું પરગટ ભર્યું રે ઘટમાં મારે,

નજરૂં માંડું તો સૂઝે પથ ના રે પગથારે

એક રે પગલીનો આજ પથ તો બતાવો નાથ

કેડીને અજવાળો! દીવો રે પ્રગટાવો નાથ

મહાત્મા ગાંધી – સત્યના પ્રયોગો October 1, 2009

Posted by jagadishchristian in અવનવું, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
3 comments

૧૪૦ વર્ષ પહેલા આપણા દેશમાં એક મહાન આત્માએ જન્મ લીધો હતો જેને આખી દુનિયા મહાત્મા ગાંધીના નામે ઓળખે છે, યાદ કરે છે. આજે આપણા બાપુ, મહાત્મા ગાંધીનો  જન્મદિવસ છે. પૂજ્ય બાપુએ એમની આત્મકથા લખી હતી “સત્યના પ્રયોગો”. ૫૦-૬૦ પહેલાના દાયકામાં જન્મેલાઓએ તો વાંચી જ હશે. ન વાંચી હોય તો વાંચવી જોઈએ અને વાંચી હોય તો ફરી એક વાર. વાંચવા માટે કમ્પુટર છોડી બહાર ન જવું હોય તો ઓનલાઈન પણ વાંચી શકો અને વાંચવાનો પર્યાય શોધતા હોય તો એની સીડી પણ ઉપલબ્ધ છે.

વાંચવા માટે ગુર્જરી.નેટ પર આ પુસ્તકના ૨૪ પ્રકરણો ઓનલાઈન છે. અને આશા છે કે બીજા પ્રકરણો ઉમેરાશે.

સાંભળવા માટે નવભારત કમ્યુનિકેશન નિર્મિત સીડી (MP3) તમારા મનપસંદ ઓડિયો-વીડિયો સ્ટોરમાંથી મેળવી લો.

satyanaaprayogo

ન્યુ જર્સીમાં રહેતા લોકો ઈઝલીનમાં આવેલા સંગીત સરિતા (ગુજરાતી સુગમ સંગીત અને સાહિત્યનું એક માત્ર સ્તોત્ર) સ્ટોરમાંથી મેળવી શકે છે.  

બન્ને સુવિધાના સ્વાદ-પ્રસાદ.

પ્રકરણ-૨૦ ધાર્મિક પરિચયો. નીચે ક્લિક કરો સાંભળવા માટે.

 

પ્રકરણ-૨૦ વાંચવા માટે આગળ નીચેની તરફ આગળ વધો.

સ્તોત્ર: ગુર્જરી.નેટ પર પુસ્તક ઓનલાઈન છે.

પુસ્તક: સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા

પ્રકરણ – ૨૦ – ધાર્મિક પરિચયો

વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયૉસૉફિસ્ટા મિત્રોની ઓળખાણ થઇ. બન્ને સગા ભાઇ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવીન આર્નલ્ડનનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તેઓએ તે તેમની સાથે સંસ્કૃતમાં વાંચવા નોતર્યો. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી ! મારે તેમને કહેવું પડયું કે મેં ગીતાજી વાંચેલ જ નથી, પણ તમારી સાથે હું તે વાંચવા તૈયાર છું. મારો સંસ્કૃ તનો અભ્યાસ પણ નહીં જેવો જ છે. હું તે એટલે સુધી સમજી શકીશ કે તરજુમામાં અવળો અર્થ હશે તો સુધારી શકાશે. આમ આ ભાઇઓની સાથે મેં ગીતા વાંચવાનો આરંભ કર્યો. બીજા અધ્યારયના છેલ્લા શ્ર્લોકોમાંના
‘ વિષયોનું ચિંતન કરનારનો પ્રથમ તેને વિશે સંગ ઊપજે છે, સંગની કામના જન્મેલ છે. કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહ, સંમોહમાંથી સ્મૃતિભ્રમમાંથી બુદ્ધિનાશની થાય છે, ને અંતે તે પુરુષનો પોતાનો નાશ થઇ શકે છે.
એ શ્ર્લોકની મારા મન ઉપર ઊંડી અસર પડી. તેના ભણકારા મારા કાનમાં વાગ્યાં જ કરે. ભગવદગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળા ભાસ્યું. તે માન્યતા ધીમે ધીમે વધતી ગઇ અને આજે તત્વજ્ઞાનને સારુ તેને હું સર્વોતમ ગ્રંથ ગણું છું. મારા નિશાનના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે. તેના અંગ્રેજી તરજુમા લગભગ બધા વાંચી ગયો છું. પણ એડવિન આર્નલ્ડંનો અનુવાદ મને શ્રેષ્ઠ લાગે છે. મૂળ ગ્રંથના ભાવને જાળવ્યો છે, છતાં તે ગ્રંથ તરજુમા જેવો નથી જણાતો. મેં ભગવદગીતાનો આ વેળા અભ્યાસ કર્યો તો ન જ કહેવાય. તે મારા હમેશના વાચનનો ગ્રંથ તો કેટલાંક વર્ષો પછી થયો.
આ જ ભાઇઓએ મને આર્નલ્ડયનું બુદ્ધચરિત્ર વાંચવા ભલામણ કરી. અત્યાર સુધી તો સર એડવિન આર્નલ્ડના ગીતાના અનુવાદની જ મને ખબર હતી. બુદ્ધચરિત્ર મેં ભગવદગીતા કરતાં પણ વધારે રસથી વાંચ્યું. પુસ્તક હાથમાં લીધા પછી તે પૂરું કર્યે જ છોડી શકયો.
આ ભાઇઓ મને એક વખત બ્લૅ વૅટસ્કી લૉજમાં પણ લઇ ગયા. ત્યાંર મને મૅડમ બ્લૅ વૅટસ્કી નાં દર્શન કરાવ્યાં ને મિસિસ બેસંટનાં. મિસિસ બેસંટ તે વખતે તાજાં જ થિયૉસૉફિકલ સોસાયટીમાં દાખલ થયાં હતાં, એટલે તે વિશેની ચર્ચા અખબારોમાં ચાલતી તે હું રસપૂર્વક વાંચતો. આ ભાઇઓએ મને સોસાયટીમાં દાખલ થવા પણ સૂચવ્યું. મેં વિનયપૂર્વક ના પાડી ને કહ્યું, ‘મારું ધર્મજ્ઞાન કંઇ જ નથી, તેથી હું કોઇ પણ પંથમાં ભળી જવા નથી ઇચ્છાતો. ’ મને એવો ખ્યાલ છે તે જ ભાઇઓના કહેવાથી મેં મૅડમ બ્લૅકવૅટસ્કીનું પુસ્તબક ‘કી ટુ થિયૉસૉફી’ વાંચ્યું . તે ઉપરથી હિદું ધર્મનાં પુસ્તાકો વાંચવાની ઇચ્છા થઇ અને હિંદુ ધર્મ વહેમોથી જ ભર્યો છે એવો અભિપ્રાય પાદરીઓને મુખેથી સાંભળતો તે મનમાંથી ગયો.
આ જ અરસામાં એક અન્નાહારી વસતિગૃહમાં મને માંચેસ્ટ રના એક ભલા ખ્રિસ્તી મળ્યા. તેમણે મારી જોડે ખ્રિસ્તી ધર્મની વાત કાઢી. મેં તેમની પાસે મારું રાજકોટનું સ્મરણ વર્ણવ્યું. સાંભળીને તે દુઃખી થયા. તેમણે કહ્યું, ‘હું પોતે અન્નાહારી છું. મદ્યપાન પણ નથી કરતો. ઘણા ખ્રિસ્તીઓ માંસાહાર કરે છે, મદ્યપાન કરે છે, એ સાચું; પણ બેમાંથી એકે વસ્તુ્ લેવાની એ ધર્મમાં ફરજ નથી. તમે બાઇબલ વાંચો એવી ભલામણ કરું છું. ’ મેં એ સલાહ માની. બાઇબલ તેમણે જ ખરીદી આપ્યું. મને કંઇક એવો આભાસ છે કે આ ભાઇ પોતે જ બાઇબલ વેચતા. તેમણે નકશાઓ, અનુક્રમણિકા વગેરેવાળું બાઇબલ મને વેચ્યું. મેં તે શરૂ કર્યું. પણ હું ‘જૂનો કરાર’ વાંચી જ ન શકયો. ‘જેનેસિસ’ – સૃષ્ટિમંડાણ – ના પ્રકરણ પછી તો વાંચું એટલું મને ઉંઘ જ આવે. ‘વાંચ્યું ’ એમ કહી શકાય તે ખાતર, રસ વિના ને સમજયા વિના, મેં બીજા પ્રકરણો બહુ કષ્ટપૂર્વક વાંચ્યાં એમ સ્મંરણ છે. ‘નંબર્સ’ નામનું પ્રકરણ વાંચતા મને અણગમો થયો.
જયારે ‘નવા કરાર’ ઉપર આવ્યો ત્યારે જુદી જ અસર થઇ. ઇશુના ગિરિપ્રવચનની અસર બહુ સારી પડી. તે હ્રદયમાં ઉતાર્યું. બુદ્ધિએ ગીતાજીની સાથે તેની સરખામણી કરી. તારું પહેરણ માગે તેને અંગરખું આપજે. ’ , ‘ને જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ધરજે. ’ , એ વાંચીને મને અપાર આનંદ થયો. શામળ ભટનો છપ્પોં યાદ આવ્યો. મારા બાળક મને ગીતા, આર્નલ્ડનકૃત બુદ્ધચરિત અને ઇશુના વચનોનું એકીકરણ કર્યું. ત્યાગમાં ધર્મ છે એ વાત મનને ગમી.
આ વાચનથી બીજા ધર્માચાર્યોનાં જીવન વાંચવાનું મન થયું. કાર્લાઇલનું ‘વિભૂતીઓ અને વિભૂતિપૂજા’ વાંચવાની કોઇ મિત્રે ભલામણ કરી. તેમાંથી પેગંબર વિશે વાંચી ગયો ને તેમની મહત્તાનો, વીરતાનો ને તેમની તપશ્ર્ચર્યાનો ખ્યાલ આવ્યો.
આટલા પરિચયથી આગળ હું ન વધી શકયો. મારાં પરીક્ષાનાં પુસ્તકો ઉપરાંત બીજું વાંચવાની નવરાશ હું ન મેળવી શકયો. પણ મારે ધર્મપુસ્તકો વાંચવા જોઇએ અને બધા મુખ્ય ધર્મોનો યોગ્ય પરિચય મેળવી લેવો જોઇએ એવી મારા મને નોંધ કરી.
નાસ્તિકતા વિશે પણ કંઇક જાણ્યા વિના કેમ ચાલે ? બ્રૅડલૉનું નામ બધા હિંદી જાણે જ. બ્રૅડલૉ નાસ્તિક ગણાય. તેથી તેમને વિશેનું કંઇક પુસ્ત ક વાંચ્યુંન. નામનું મને સ્મયરણ નથી રહ્યું. તેની મારા પર કંઇ જ છાપ ન પડી. નાસ્તિકતારૂપી સહરાનું રણ હું ઓળંગી ગયો હતો. મિસિસ બેસંટની કીર્તિ તો તે વેળા પણ ખૂબ હતી જ. તે નાસ્તિક મટી આસ્તિક થયાં છે એ વાતે પણ નાસ્તિકવાદ તરફ મને ઉદાસીન બનાવ્યો . ‘હું થિયૉસૉફિસ્ટિ કેમ બની ? ’ એ મિસિસ બેસંટનું ચોપાનિયું મેં વાંચી લીધું હતું. બ્રૅડલૉનો દેહાંત આ અરસામાં જ થયો. વોકિંગમાં તેમની અંતક્રિયા કરવામાં આવી હતી. હું પણ તેમાં હાજર રહેલો. મને લાગે છે કે હિંદી તો એક પણ બાકી નહીં રહેલ હોય. તેમને માન આપવાને સારુ કેટલાક પાદરીઓ પણ આવ્યા હતા. પાછા ફરતાં એક જગ્યાયએ અમે બધા ટ્રેનની રાહ જોતા હતા. ત્યાં આ ટોળામાંના કોઇ પહેલવાન નાસ્તિકવાદીએ આ પાદરીઓમાંના એકની ઊલટતપાસ શરૂ કરી:
‘કેમ સાહેબ, તમે કહો છો ના કે ઇશ્ર્વર છે ? ’
પેલા ભલા માણસે ધીમે સાદે જવાબ આપ્યો : ‘હા, હું કહું છું ખરો. ’
પેલા હસ્યો ને કેમ જાણે પોતે પાદરીને માત કરતો હોય તેમ કહ્યું: ‘વારુ, પૃથ્વીતનો પરિઘ ૨૮,૦૦૦ માઇલ છે એ તો કબૂલ કરો છો ને ? ’
‘અવશ્ય. ’
‘ત્યારે કહો જોઇએ ઇશ્ર્વરનું કદ કેવડુંક હશે ને તે કયાં હશે ? ’
‘આપણે સમજીને તો આપણાં બંનેનાં હ્રદયમાં તે વાસ કરે છે. ? ’
‘બાળકોને ફોસલાવો બાળકોને, ’ કહી પેલા યોદ્ધાએ અમે જેઓ આસપાસ ઊભા હતા તેમની સામે વિજયી નજરે જોયું. પાદરીએ નમ્ર મૌન ધારણ કર્યું. આ સંવાદે વળી નાસ્તિકવાદ તરફ મારો અણગમો વધાર્યો.

ફકત દિલની સફાઈ માગે છે – કિરીટ ગોસ્વામી – ઓસમાન મીર September 19, 2009

Posted by jagadishchristian in કવિતા, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
4 comments

છેલ્લાં થોડા વર્ષોથી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં “સમન્વય” અને “ગુજરાત સમાચાર” ના સહયોગથી “કાવ્યસંગીત સમારોહ” નું આયોજન કરવામાં આવે છે. ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિઓ, સ્વરકારો, ગાયકો અને સાહિત્યકારો એમાં પોતાની કળા પીરસે છે. ત્રણ દિવસ ચાલતા આ મહોત્સવ રૂબરૂ માણવાનું સૌભાગ્ય હજુ સુધી મળ્યું નથી પણ એની સીડી આવવાની આતૂરતા પૂર્વક રાહ જોતો હોઉં છું. ફેબ્રુઆરી ૨૦૦૮ માં થયેલા કાર્યક્રમની સીડી હમણાં થોડા મહિના પહેલા મળી. આ વખતે પહેલા નહીં આવેલા રૂમકુમાર રાઠોડ-સોનાલી રાઠોડ હતા અને થોડા નવા અવાજ સાંભળવા મળ્યા. નવા અવાજમાં એક પ્રતિભાશાળી અવાજ મને ઘણો ગમી ગયો, શ્રી. ઓસમાન મીર. એમણે ત્રણ ગીત રજૂ કરેલાં અને ત્રણે ગીત લાજવાબ ગાયા છે. એમના વિષે વધારે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતો હતો તો આજે એમની એક વિડીયો YOU TUBE પર મળી ગઈ. જે અહીં રજૂ કરું છું. મને ખાતરી છે કે તમને ગમશે. આ ગુજરાતી ગઝલ શ્રી. કિરીટ ગોસ્વામી ની છે.

ફકત દિલની સફાઈ માગે છે

પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે.

આંખને ઓળખાણ છે કાફી

લાગણી ક્યાં ખરાઈ માગે છે.

જોઈએ સુખ બધાંને પોતીકાં

કોણ પીડા પરાઈ માગે છે.

એક ઝાંખીજ એમની ઝંખે

દિલ બીજું ન કાંઈ માગે છે.

-          કિરીટ ગોસ્વામી

હવે આ વિડીયો તો જોઈ લીધી પણ આજ ગીત સીડીમાં સાંભળ્યું હતું તે તમને સંભળાવવાનો મોહ છોડી શકતો નથી. તો સાંભળો…….

બાપુનું ‘હાં રે અમે ગ્યા’તા…..’ September 17, 2009

Posted by jagadishchristian in કવિતા, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
4 comments

અત્યારે નવરાત્રનું વાતાવરણ જોર પકડી રહ્યું છે ત્યારે કવિ શ્રી. રમેશ પારેખનું એક અનોખું કાવ્ય અહીં રજૂ કરું છું. પ્રખ્યાત સ્વરકાર અને ગાયક શ્રી. અમર ભટ્ટની ચાર સીડીના સંચય “સ્વરાભિષેક” માં તેમણે જણાવ્યું છે કે “આપણી ભાષા એક ધોધમાર કવિને પામીને ધન્ય થઈ ગઈ, કવિ શ્રી. રમેશ પારેખ. અનેકવિધ વિષયો પર એમણે ગીત લખ્યાં છે. એ ૯૯ વર્ષના રાજપૂતનું ઊર્મિગીત લખે, મદારીનું પ્રણયગીત લખે, એ વૃક્ષ સંવનનાર્થીનું ગીત લખે. આ કવિએ મીંરાની મનોદશામાં પહોંચીને “મીંરા સામે પાર” કાવ્યસંગ્રહ આપ્યો. ૬ અક્ષરનું નામ, તો ફાંસી પહેલાંની ઇચ્છા એવાં કાવ્યો આપ્યાં”

તો આવા ધોધમાર કવિનું આ કાવ્ય કાઠિયાવાડી બોલીમાં લખેલું છે એટલે વાંચવામાં કદાચ જોઈએ તેટલી મઝા ન પણ આવે. જો કોઈ કઠિયાવાડીના અવાજમાં સાંભળીએ તો મઝાજ અલગ મળે. અને વળી જો કવિ શ્રી. રમેશ પારેખના પોતાના અવાજમાં સાંભળીએ તો તો ભયો ભયો! તો સાંભળો.

નવભારત કૉમ્યુનિકેશન દ્વારા કવિ શ્રી. રમેશ પારેખની કવિતાની બહાર પડેલી સીડી “અવસર અવાજનો…”  માંથી આ કવિતા લીધી છે.

બાપુનું હાં રે અમે ગ્યાતા…..

નવરાતરી આવી છ્.

બાપૂ કહે: ભગલા,

રામગર બાવો તો આરડે છ્.

ગરબી તો અમે ગવરાવતા.

ઈ ય એવી કે

જોગણીયું વાદાકોદ કરે :

હું રમું ને તું નહીં; હું રમું ને તું નહીં.

ભગલે ઈ વાતનો ઢંઢેરો પીટ્યો

એટલે જુવાનિયાઉએ હઠ લીધી:

બાપુ ગરબી ગવરાવે તો હા, નીકર ના.

આવા માતાજીના કામમાં

બાપુથી ના નો પડાણી: ક્યે:

‘ભલે ત્યારે, ગવરાવશું,

એક એકનું માથું ભાંગ એવે ગરબી.’

હડૂડૂડૂ કરતા સૌ થ્યાં ભેળાં.

રોશનિયું-બોશનિયું થઈ ગઈ છ્

હૈયેહૈયું દળાય છ્.

જુવાનિયા અમથાઅમથા

ડાંદિયા ઉલાળે છ્

સૌના પગમાં હરખ આંટો વાઢી ગ્યો છ્

વ્રેમાંડ લગી ઉતાવળ્યું આંબી ગૈ છ્

ઓહોહોહો, બાપ આજ તો ઘણી ગરબી ગવારે છ!

બાપુ મૂછ ઝાટકી

ખોંખારો ખાઈ ઉપાડે છ્ ગરબી:

‘હાં રે મને ગ્યા’તાં…’

ને શિવો ગોર ઓટલેથી બરાડ્યો:

‘એલા અહૂરું ઘંટી કોણ ફેરવે છ્?’

કીકિયારામાં કોઈને સંભળાણું નહીં.

ભગલો ક્યે:

‘કોઈ સાંભળતું નથી, બાપુ,

સાવઝ જેવો અસલી અવાજ કાઢોને!’

‘લે ત્યારે,’ – એમ બોલી

બાપુએ મ્યાનમાંથી તલવાર્ય કાઢતા હોયએમ

ગળામાંથી આંતરડાતોડ હાંક કાઢી

‘હાં રે અમે ગ્યા’તા…’

- ને સરરર કરતું કાં’ક ફાટ્યું.

એકબે ધાવણાં બી ગ્યાં.

બાયું ભેરાંટી રહી.

જુવાનિયા ડાંડિયા ફેંકીને દોડ્યા : ‘શું થિયું, શું થિયું?’

ભગલો ક્યે:

‘થાય શું? ઈ તો બાપુએ ગરબી ગવરાવી.’

ભગલામે ફોડ પાડ્યો ને બાપુને પોરસાવ્યા:

‘થાવા દ્યો બાપ, થાવા દ્યો.’

બાપુએ છાતી ફૂલાવી પોઝીશન લીધી.

એક હાથ લાંબો કર્યો.

બીજા હાથને કાન પર મૂક્યો.

પછી હોઠ હલ્યા.

જડબાં ઊઘડ્યાં.

છાતી ઊંચીનીચી થઈ.

આંખ્યું તગતગી.

મૂછો થથરી.

પરસેવા હાલ્યા.

ત્યારે ઊંદરડી મૂતરે એટલોક અવાજ નીસર્યો:

‘હાં રે અમે ગ્યા’તા…’

ભગલો બોલ્યો:

‘અરેરે, તમારો અવાજ તો

સાવ બેસી ગ્યો, બાપુ…’

બાપુ મૂછે તાવા દઈને બોલ્યા:

‘બેસે જ ને?

એક હાંકે દુશ્મનની છાતીયું

બેસાડી દઈએ તો અવાજ તે શી વિસાતમાં?’

- રમેશ પારેખ

ન્યુ જર્સીમાં ત્રણ કાર્યક્રમ – સપ્ટેમ્બર ૧૨, ૨૦૦૯ September 7, 2009

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
add a comment

બનારસ ઘરાનાના વિદુષી સવિતા દેવીનો સંગીત જલસો.

સવિતા દેવી સ્વર્ગસ્થ સિધ્ધેશ્વરી દેવી અને સુપ્રસિધ્ધ તબલાવાદક પંડિત કિશન મહારાજના પુત્રી છે. તેમની સાથે હાર્મોનિયમ પર ગુરુજી સુરેન્દ્ર કથુલા, તબલા પર સંજય સક્સેના અને ગાયકીમાં માલિની માંબિયર સાથ આપશે. સુપ્રસિધ્ધ કથક ન્રુત્યાંગના પદ્મા ખન્ના ભાવભંગિની પ્રસ્તુત કરશે.

savitaDEVI_web

કસુંબલ ડાયરો ભાનુભાઈ વોરા અને તૃપ્તી છાયા

kasumbal dayaro

સિદ્ધાર્થ રાંદેરિયા દિર્ગદર્શિત-અભિનિત નાટક ગમ્મત કરીલો ગુજ્જુભાઈ

gammat karilo gujjubhai

કવિતાનો આનંદ – એવા રે મળેલા મનના મેળ September 5, 2009

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , ,
add a comment

સપ્ટેમ્બર ૧૨, ૨૦૦૯ ના દિવસે ભારતીય વિદ્યાભવન, ચોપાટી મુંબઈ ના કાનજી ખેતશી સભાગૃહ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી. સુરેશ દલાલ દ્વારા દિવ્ય ભાસ્કરમાં રવિવારે પ્રગટ થતા કાવ્યાસ્વાદ હયાતીના હસ્તાક્ષરનો સંચય કવિતાનો આનંદપુસ્તકનું વિમોચન કરવામાં આવશે. ગીત-સંગીતથી મઢેલા આ કાર્યક્રમમાં હું તો નથી જઈ શકવાનો પણ તમને બધાંને આની જાણ કરું છું. નીચે કાર્યક્રમની વિગતવાર માહિતી છે.  

આ કાર્યક્રમની માહિતી આપવા બદલ શ્રી. જસવંત મોદીનો આભાર.

Inv_kavita_anand1

કવિતાનો આનંદ પુસ્તકનું વિમોચન

એવા રે મળેલા મનના મેળ

એવા રે મળેલા મનના મેળ