jump to navigation

દેશના નિખિલ ભાવસાર – વલસાડ જિલ્લાનું ગૌરવ January 27, 2012

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , ,
7 comments

જાન્યુઆરીની ૧૬, તારીખે મારા નાના ભાઈને હિન્દ-રતન મળ્યાના આનંદના સમાચારમાં આપ સૌ મિત્રો સામેલ થયા હતા. આપ સૌ મિત્રોના અભિનંદન અને શુભેચ્છા માટે  હું અને મારું કુટુંબ આપના અભારી છીએ. એ પોસ્ટ દરમ્યાન એક બીજી પ્રતિભાનો પરિચય આપને કરાવેલો – દેશના નિખિલ ભાવસાર જેણે મારા ભાઈની કવિતાનું સ્વર નિયોજન-સંગીત નિયોજન કરી પોતાના સુમધુર સ્વરથી રેકોર્ડ કર્યું હતું. એ જ દેશનાને અભિનંદન સાથે આશિર્વાદ આપવાનું ટાણું આવ્યું છે.

સપ્તધારા ફેસ્ટીવલ ઝોનલ કક્ષાની સ્પર્ધા નવસારીમાં નારણલાલા કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં વલસાડની દેશના નિખિલ ભાવસારે શાસ્ત્રીય સંગીત, હળવું કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય વાધ્યમાં તબલા તેમજ સોલોવાદન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વલસાડ જિલ્લા તેમજ દોલત ઉષા ઇન્સ્ટીટ્યુટ કોલેજ ઓફ એપ્લાયડ સાયન્સ વલસાડનું ગૌરવ વધાર્યું છે. આગામી ૩૦-૩૧ જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય ક્ક્ષાની સ્પર્ધામાં ત્રણેય વિભાગમાં દેશના ભાવસાર વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. દેશના ભાવસારની રાજ્ય કક્ષામાં પસંદગી થતાં દોલત ઉષા ઇન્સ્ટીટ્યુટના પરિવારે શુભેચ્છા પાઠવી છે.

(સૌજન્ય – દિવ્યભાસ્કર)  

મારા અને મારા કુટુંબ તરફથી દેશનાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ કે તે રાજ્ય કક્ષાએ પણ પોતાની કળાના કામણ પાથરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે. આપ પણ સાથે છો ને?

હિન્દ-રતન નો ખિતાબ શ્રી. કેતન ક્રિશ્ચિયનને (મારો નાનો ભાઈ) January 16, 2012

Posted by jagadishchristian in અવનવું, કવિતા, કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
44 comments

એનઆરઆઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી હિન્દ-રતન એવોર્ડ ૨૦૧૨ મેળવતો મારો નાનો ભાઈ કેતન ક્રિશ્રિયન.

કેતન ક્રિશ્ચિયન મારો નાનો ભાઈ બહુમુખી પ્રતિભા ધરાવે છે અને એના કાજે આનંદ સાથે હંમેશા ગૌરવ અનુભવ્યું છે. એને એનઆરાઅઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી હિન્દ-રતન નો ખિતાબ મળી રહ્યો છે ત્યારે ગર્વથી છાતી ગજ ગજ ફુલે છે. એને બાળપણથી કવિતા અને કથનીનો શોખ. પીજના નવાસવા એકમાત્ર દુરદર્શન પર એના લખેલા ગ્રામ્યલક્ષી નાટકો પ્રસારિત થતા હતા. એની કવિતાઓ મેગેઝિનમાં છપાતી હતી.

આજે એની કવિ પ્રતિભાનો પુરાવો આપવાનો આ એક મોકો લઉ છું. આ કવિતાને વાંચો અને સાંભળો પણ ખરા. આ કવિતાનો સંગીત-સંકેત રોબિનસન રાઠોડનો  છે અને જેનું સ્વરાંકન, સ્વર-નિયોજન અને સ્વર આપ્યો છે પ્રતિભાશાળી દેશના નિખિલ ભાવસારે.

હળવેથી!

હળવેથી કોણ ભરી દે મારાં સૂના નયનોને સાવ સુંવાળા સ્વપ્નોથી?

કોણ હસી દે સાવ કોમળ કોમળ મારાં શુષ્ક મુખેથી?

આવેગોની આ ઊંચી-નીચી અણધારી પાળેથી ઝૂકી ઝૂકીને

કોણ સ્પર્શી લે સાવ નજીક મારાં ધ્રૂજતા અંગોથી?

બેફામ બનીને ઉદ્ ભવતા ભાવોને પળમાં ચહેરે આમ મઢાવી

કોણ ચૂમી લે સાવ નશીલું મારા સળવળતા હોઠોથી?

આકાશની ઝૂકેલી છાયામાં સળવળતી લાખો આંખો માંહેથી

કોણ શ્વસી લે એકપ્રાણ બનીને મારા શ્વાસ-ઉચ્છવાસેથી?

ઊગી નીકળેલા ભીનાં રણનાં જોજન વચ્ચેથી

કોણ ઊગી લે ધબકાર થઈને મારા નાનાં હૈયેથી?

કવિ – કેતન ક્રિશ્ચિયન

સ્વરાંકન, સંગીત-નિયોજન અને સ્વર – દેશના નિખિલ ભાવસાર

‘શ્વેતા’ ગુજરાતી લઘુ-નવલ – શ્રી. પ્રવીણ શાસ્ત્રી, ન્યુ જર્સી September 18, 2011

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
9 comments

લેખક શ્રી. પ્રવીણ શાસ્ત્રી સાથે ગુજરાત દર્પણ માસિકના તંત્રી શ્રી. સુભાષ શાહ

‘શ્વેતા’


એક સમૃધ્ધ અને સંસ્કારી કુટ્મ્બની સુશિક્ષિત પુત્રવધૂ. ?
શું એ કુંવારકા છે?…… સધવા કે વિધવા છે?……. એ પ્રણયપ્યાસી શ્વેતા કોનો પ્રેમ પામશે?
પરાણે પરણવેલા પતિ અક્ષયનો? … …..…ડાર્ક, ટોલ અને હેન્ડસમ કેપ્ટન મલ્હોત્રાનો?….. ઓન્કોલોજિસ્ટ ડોકટર રાજુનો?….. આકર્ષક યુવાન નિકુળનો કે પછી એસ.આર.એસ સર્જન ડોક્ટર ડોક્ટર આદિત્યનો?
એસ.આર.એસ સર્જરી એટલે શું?
પોતાના પુરુષાર્થ અને બુધ્ધિબળથી સંપત્તિવાન બનેલા સુંદરલાલ શેઠને
અક્ષય અને આદિત્ય સાથે શું સંબંધ?
દેશ વિદેશના વિશાળ ફલક પર અજ્ઞાત દિશામાં વળાંકો લેતી ઘટનાત્મક અને આઘૂનિક નવલકથા એક સોપ ઓપેરા છે.
પુરી વાંચ્યા પછી જ એ વાચકોના હાથમાંથી નીચે મુકાશે એની ખાત્રી છે.
વસાવો…વાંચો… અને મિત્રોને વંચાવો
વાર્તાકાર પ્રવીણ શાસ્ત્રીની વહેતી વારતા “શ્વેતા”.
અથવા
સુખી, સમૃદ્ધ પરિવારમાં આનંદમય ભાવિનાં સ્વપ્ન આખમાં આંજી પ્રવેશેલી નવવધૂના અરમાનો પર થતો કુઠારાઘાત, છકેલા અને વંઠેલા પતિ સામે અકલ્પ્ય મનોબળથી ઝઝમતી નવવધૂ અને સંસ્કારરત પરિવારનું સાંપડ્તું સમર્થન વાચકને નિરાશા વચ્ચે પણ આશ્વસ્ત રાખે છે. વાત વહેતી રહે છે અનેક વળાંકો સાથે, છિન્નભિન્ન જીવન ગોઠવાતું લાગે ત્યાં તો નાયિકાના મનોરથ પર પ્રસંગચક્ર ફરી એકવાર ફરી વળે. વિધિનું વૈચિત્ર્ય નિકુળને જાતિપરિવર્તનને માર્ગે વાળે અને વળી પાછી નાયિકા માટે નવી દિશા ઊઘડતી દેખાય.
આ સુખાંત પણ નવા આશ્ચર્યથી વધુ સુખદ બને અને વ્યક્તિ, પરિવાર તથા સમાજને આવરી લેતા આયોજનો સાથે વિરામ લે.

-ડૉ. હરિકૃષ્ણ જોષી. ભૂતપૂર્વ આચાર્ય (વી.ટી. ચોક્સી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન, સુરત)

આજે શનિવાર, સપ્ટેમ્બર ૧૭, ૨૦૧૧ ના દિવસે “ગુજરાત દર્પણ સાહિત્ય સભા” ના ઉપક્રમે શ્રી. પ્રવીણ શાસ્ત્રીની પ્રથમ લઘુ-નવલ ‘શ્વેતા’ ના વિમોચનનો કાર્યક્રમ એડિસનના ઓક ટ્રી રોડ પર આવેલા ‘ખુશ્બુ’ ભોજનાલયમાં યોજાયો હતો. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ ના દિવસે સુરતમાં  જન્મેલા શ્રી પ્રવીણ શાસ્ત્રીએ ૧૯૫૭ માં પહેલી નવલિકા ‘પાગલની પ્રેયસીઓ’ લખી જે ‘નવવિધાન’ સામયિકમાં છપાઈ હતી. ત્યાર બાદ ૧૯૬૮ માં લંડનમાં આવ્યા પછી એક એકાંકી ‘જુલીના ચક્કરમાં લંડન’ લખ્યું અને ભજવાયું પણ ખરું. અને ૧૯૭૦ માં અમેરિકા આવી સ્થાયી થયા અને ઘર-સંસારમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે વાંચવા-લખવાની ફુરસદ મળી જ નહીં. પણ એક વખત નિવૃત્ત થયા એટલે ૭૦ વરસની ઉમરે અંદર બેઠેલો વાર્તાકાર ફરી સળવળ્યો અને “ગુજરાત દર્પણ”ના તંત્રી શ્રી સુભાષ શાહ, “તિરંગા” ના તંત્રી શ્રી નીતિન ગુર્જર અને ગુજરાત દર્પણ સાહિત્ય પરિવારના બીજા ઘણાં સભ્યોના પ્રોત્સાહન થકી એમણે ફરી ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું. અને ટૂંકી વાર્તા લખતાં લખતાં એમના મનમાં એક નવલકથાનું બીજ રોપાયું અને એક વરસની અંદર એને શબ્દોના વાઘા પહેરાવી પ્રકાશિત પણ કરી દીધી. આ પુસ્તકની પ્રસ્તાવના એમના કોલેજકાળના મિત્ર અને હાસ્યલેખક શ્રી હરનિશ જાનીએ લખી છે.

આ કાર્યક્રમનું સંચાલન શ્રી કૌશિક અમીને સંભાળ્યું હતું. આજના આ કાર્યક્રમમાં “ગુજરાત દર્પણ” ના તંત્રી શ્રી સુભાષ શાહના હસ્તે પુસ્તકનું વિમોચન (લોકાર્પણ) કરવામાં આવ્યું હતું. તો માધવી દવે દ્વારા લેખકનો પરિચય આપી કથાબીજની સુંદર છણાવટ કરી હતી. તો ડો. નીલેશ રાણાએ શ્વેતાનું વૈદ્યકીય નિદાન કરાવ્યું હતું. ડો. અમૃત હજારીએ પોતાની આગવી શૈલીમાં વહેતી વાર્તાના વળાંકો પર પ્રકાશ પાથર્યો. “તિરંગા” ના તંત્રી નીતિન ગુર્જરે એમના માસિકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓની ટૂંકી ઓળખ સાથે ધારદાર પ્રતિભાવ આપ્યો. તો એમના કૉલેજકાળના મિત્ર ઉપેન વૈદ્ય અને હરનિશ જાની તરફથી લેખક સાથેના મૈત્રી સંબંધની વાતો જાણવા મળી. શ્વેતાના ચમકારા રજૂ કરી હંસાબેન જાનીએ આખી નવલકથા ધ્યાનપૂર્વક વાંચી છે એ પુરવાર તો કર્યું પણ હાજર રહેલાને વાંચવા માટે પ્રોત્સાહિત કર્યા.

આખા કાર્યક્રમની સર્વોત્તમ પળ મને એ લાગી જ્યારે લેખકની અમેરિકામાં જન્મેલી પૌત્રી જીનાએ પોતાના દાદાની નવલકથાનો અંગ્રેજી ભાષામાં ટૂંક સાર રજૂ કર્યો. કાર્યક્રમના અંતમાં લેખકના જીવનસંગિની યોગિનીબેને હળવી રમૂજ સાથે આ નવલકથાના પ્રકરણોના ઉદ્ભવ દરમ્યાન એમના યોગદાનની વાત કરી હતી. અને એટલેજ આ પુસ્તક એમને અર્પણ કરાયેલ હોય એમ લાગે છે. આ કાર્યક્રમમાં પ્રવીણ પટેલ ‘શશી’, ચંદ્રકાંત દેસાઈ, ભાનુભાઈ ત્રિવેદી, મોહિત સુરા, શૈલેશ ત્રિવેદી અને જગદીશ ક્રિશ્ચિયન ઉપરાંત ગુજરાત દર્પણ સાહિત્ય સભાના અન્ય સભ્યોની સાથે સાથે લેખકના પરિવારના સદસ્યો ઉપસ્થિત હતા. લેખકના પુત્ર કર્મેશ શાસ્ત્રીના આભારદર્શન બાદ શ્વેતાના લગ્નના સ્વાદિસ્ટ ભોજનનો લહાવો લઈ લેખક તરફથી સપ્રેમ મળેલી ભેટ એમની નવલકથાને બગલમાં દબાવી બધાંએ વિદાય લીધી.

લેખક શ્રી. પ્રવીણ શાસ્ત્રીને એમની આ પહેલી નવલકથા માટે ખૂબ ખૂબ અભિનંદન અને એમના લેખનનો લાભ આપણને મળતો રહે એવી અપેક્ષા.
નવલકથાની પ્રત મેળવવાનું પ્રાપ્તિ સ્થાન
ભારત – શ્રી. મહેશ ભટ્ટ – ૯૯૦-૯૪૦-૯૭૫૬ maheshg.bhatt@yahoo.com
અમેરિકા – યોગિની શાસ્ત્રી – ૭૩૨-૮૦૪-૮૦૪૫ shastripravinkant@yahoo.com
કિંમત – ભારતમાં રૂ. ૧૨૫ અમેરિકામાં $10.00.
મુદ્રક – ચિન્મય જોષી – શ્રી રંગ પ્રિન્ટર્સ સુરત – ૯૯૨-૫૫૧-૦૦૦૩ chinmayjoshi08@gmail.com

Y2K – 911 – નવા મિલેનિયમને મલિન કરતો ત્રાસવાદ. September 11, 2011

Posted by jagadishchristian in કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
2 comments

મારાં મમ્મી-પપ્પા, પત્ની અને પુત્ર - June 24, 1990 WTC in background

૧૯૯૮-૧૯૯૯ દરમ્યાન જ્યારે સહસ્ત્રાબ્દી (મિલેનિયમ) નો સમય નજીક આવતો હતો ત્યારે એક ભય અને ચિંતાનું વાતાવરણ ઊભું થયું હતું. યાદ છે ને તમને. અને ચિંતાનું કારણ હતું Y2K. આમ તો મુખ્ય ચિંતા કમ્પ્યુટરના પ્રોગ્રામીંગની હતી અને એને સંલગ્ન બધા આવિષ્કાર અને ઉપકરણની. બધા ચિંતિત હતા કે જ્યારે ૦૦ થશે ત્યારે આ બધા જ ઉપકરણો પોતાની ક્ષમતા ગુમાવી દેશે. અને આ બધાં જ ઉપકરણોનો ઉપયોગ આપણી રોજબરોજની જીંદગીમાં એટલો વણાઈ ગયેલ છે કે જો એ કામ કરતા બંધ થાય તો કેટલી તકલીફ ઊભી થઈ શકે એ તો કલ્પનાનો જ વિષય હતો. અને ૨૦૦૦ આવે તે પહેલાં દુનિયાના બધા જવાબદાર કાર્યકરોએ જરૂરી ફેરફાર કરી એ ભયને દૂર કર્યો. છતાં કેટલીય જગ્યાએ સમયાનુસાર ફેરફારના અભાવે થોડી મુશ્કેલીઓ થઈ પણ ખરી પણ એને પણ સુધારી લેવાઈ. આટલી મોટી આફતનો આપણે માનવજાત ભેગાં મળી એનો ઉપાય કરી શક્યા. કેટલા આનંદની વાત.
પણ આજ સમય દરમ્યાન શેતાની દિમાગ ધરાવતા મુઠ્ઠીભર લોકો દુનિયાને ત્રાસ આપવાનું ગોઠવી રહ્યા હતા. અને એમણે દિવસ નક્કી કર્યો સપ્ટેમ્બર ૧૧ ૨૦૦૧. જ્યારે આખી દુનિયા Y2K ના ભયમાંથી નીકળી આનંદોલ્લાસ કરી રહી હતી ત્યારે આ ટોળકી કાંઈક જુદું જ રાંધી રહી હતી. અને એમણે ત્રાસવાદી હુમલો કરીને સ્વતંત્રતા અને અમન-ચમન ને અસ્તવ્યસ્ત કરી નાંખી. આ ઘાના પ્રવિભાવ રૂપે જે પ્રતિક્રિયા અમેરિકા અને બીજા બધા દેશોએ આપી એનાથી આખા વિશ્વનું નાણાકીય તંત્ર ખોરવાઈ ગયું. બબ્બે યુદ્ધના ખર્ચ અને દેશની સુરક્ષા માટે વધારાનો ખર્ચ વગેરેના કારણે અમેરિકામાં મંદીના મોજાં ફરી વળ્યાં. AAA ક્રેડિટ ક્રમાંકથી પહેલી વખત નીચલા ક્રમાંકે જવું પડ્યું. દુનિયાના બીજા ઘણાં દેશોમાં પણ આ ત્રાસવાદી તત્વોએ નાના મોટા હુમલાઓ કરતા રહ્યા છે.
NEVER FORGET
સપ્ટેમ્બર ૧૧ ની યાદ થતાં આજે પણ હાથના રુવાડાં ઊભા થઈ જાય છે અને આંખમાં ભીનાશ અનુભવાય છે. એ ગોઝારા દિવસને યાદ કરતાં જનાબ ફરહત શેહનાઝની પ્રખ્યાત ગઝલનો મતલા યાદ આવે છે.

खुलेी जो आँख तो वो था ना वो जमाना था
दहेकतेी आग थेी तन्हाई थेी फसाना था

એ દિવસે ચાર વિમાન જે કેલિફોર્નિયા તરફ જવા રવાના થયા હતા પણ ન્યુ યોર્ક વોશિંગ્ટન ડીસી અને પેન્સિલવેનિયામાં ત્રાસવાદીઓએ આત્મઘાતી હુમલાઓમાં હોમી દીધા. એજ દિવસે સાંજે સાત વાગે ન્યુ યોર્કના યાન્કી સ્ટૅડિયમમાં રમાનારી ગેમની ચાર ટિકિટ મારી પાસે હતી જે વણ વપરાયેલ હજુ મારા સંગ્રહમાં છે. (જુઓ નીચે) અને આજે દસ વર્ષ પછી એજ સપ્ટેમ્બરની ૧૧ છે અને યાન્કી ન્યુ યોર્કથી દૂર કેલિફોર્નિયામાં આજની ગેમ રમશે. અને આજે ભારતીય ટીમ પણ ઈંગલેંડ સામે ચોથી વન ડે મેચ રમશે. અને બીજા દસ વર્ષ પછી નવા ટાવર ઊભા થઈ ગયા હશે અને આપણા બધાના સહયોગથી આ દુનિયાને ત્રાસવાદથી મુક્ત કરી શક્યા હોઈશું.

Four tickets for Yankees Game 09-11-2001

હેજી એવાં કોરાં રે અષાઢ – શ્રી. શિવરાજ અવકાશ અને શ્રી. નયનેશ જાની September 6, 2011

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સંગીત.
Tags: , , , , , , ,
8 comments

પ્રિય મિત્રો,

સાત મહિનાના અંતરાલ પછી મારા બ્લોગની વાપસીને આપ સૌનો મીઠો આવકાર મળ્યો છે એના માટે આપ સૌનો આભારી છું.  

ગયા વિકએન્ડમાં (ઓગસ્ટ ૨૭/૨૮) અમારા વિસ્તારમાં હરિકેન આઈરીને હાહાકાર મચાવ્યો હતો. ૮૫ માઈલ કરતાં પણ વધારે ઝડપથી ફૂંકાતા પવન સાથે વરસાદની હેલી. જોકે હવામાન ખાતાએ અઠવાડિયા પહેલાથી ચેતવણી આપવાની શરૂ કરી હતી. જોકે હું જ્યાં રહું છું ત્યાં પૂર કે રેલ આવે એવી શક્યતા ઓછી એટલે ખાસ ચિંતા હતી નહીં. પણ એક વાતની ચિંતા હતી કે વિદ્યુત વ્યવસ્થા ખોરવાઈ જશે. સામાન્ય રીતે અહીં અમેરિકામાં વીજળી ૨૪/૭ હોય જ છે. ભાગ્યેજ કોઈ વખત એકાદ-બે મિનિટ માટે બંધ થાય. અને એમજ થયું (શનિવારની રાત્રે) રવિવારની વહેલી સવારે ૧૨:૩૦ વાગે વીજળીએ વિદાય લીધી તો છેક રવિવારે બપોરે ૩:૧૫ વાગે પાછી ફરી. ખેર બહુ લાંબી વાત કરતો નથી. આના હેવાલ ટીવી અને વર્તમાનપત્રમાં વાંચ્યા જ હશે.

ભારતીય પંચાંગ પ્રમાણે અષાઢ પૂરો થઈ ગયો, શ્રાવણ પૂરો થવાની તૈયારી અને ભાદરવાનો આરંભ એવો આ સમય અને વરસાદ. ઊની ઊની રોટલી અને કારેલાંનું શાક કે પછી ગરમા-ગરમ ભજિયાં અચૂક યાદ આવે અને માણીએ પણ ખરા. અને જો આ મહિનાઓમાં વરસાદ ના આવે તો ક્યાંક કોઈ પ્રેયસી ચાતક નજરે પ્રિયતમની પ્રતીક્ષા કરતી ઘરના પ્રાંગણમાં બેઠી બેઠી વિરહની વેદના નીતરતું કોઈ ગીત ગણગણતી હોય અને આંખથી અશ્રુ સ્ખલિત થઈ સુકા આંગણ પર પડતાં જ બાષ્પ થઈ ઉડી જતું કલ્પી કંઈ કેટલાય સાહિત્યકારો પોતાની નવલકથામાં એકાદ-બે પ્રકરણ ઉમેરી દે. તો કોઈ કવિ વેદના ચીરતું ગીત લખી નાખે. આવા જ કંઈક વિચારોને રજૂ કરતું કંઈક બ્લોગ પર આપ સૌ સાથે વહેંચવું હતું. ત્યાં જ ગઈકાલે પાલનપુરના મારા મિત્ર (અને આપના પણ હશે) શ્રી. નરેન્દ્રભાઈ જગતાપે આવા મિજાજનું એક લયબધ્ધ ગીત એમના બ્લોગ પર મૂક્યું “કેમ કરી ભીંજાવું”. એટલે એમના પડોશ કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશનું એક ખૂબજ સુંદર ગીત અને એટલીજ સુંદર સ્વરરચના આપ મિત્રો સાથે વહેંચવાની ઇચ્છા ને કારણ મળી ગયું. આશા છે આપ સૌને ગમશે.        

શબ્દ – કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશ.
સ્વર અને સ્વરકાર – શ્રી.નયનેશ જાની
પ્રાપ્તિસ્થાન – સમન્વય ગુજરાત સમાચાર આયોજિત કાર્યક્રમની સીડી.

Image from web.

Image from web.

હેજી એવાં કોરાં રે અષાઢ!

હેજી એવાં કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હોજી
હેજી એવાં મેહુલિયા વરસેને હૈયાં કોરાં હોજી

અમને હાંભરે મેળા ને હાંભરે ફરતા ચકડોળ
મેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર હેજી
તમે દૂર રે દેશાવર નથી કાંઈ ઓરાં હોજી…..

ચિતડાંના ચાતક કેરી પાંખ્યું રે કરમાતી
કૂણાં રે કાળજડાં કકડે આંખ્યું રાતી રાતી
હેજી એવાં યાદ્યું લઈને આવે તારલાના ટોળાં હોજી….

થનગનતા ઘોડલે પહોંચું હું પળવારે
જીવડો ના જંપે બેઠી પાદરને પગથારે
હેજી મારો નાવલિયો વરસે જેમ ઘનઘોરાં હોજી……

કવિશ્રી. શિવરાજ અવકાશ, કલોલ.

મારો જન્મ દિવસ – મા, મારી! August 30, 2011

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , ,
28 comments

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

પ્રિય મિત્રો,

વિસ્મય પામ્યા! લગભગ સાત મહિનાના અંતરાલ પછી આજે ગુજરાતી બ્લોગની દુનિયામાં પાછો પ્રવેશ કરતાં ઉલ્લાસ સાથે થોડો ક્ષોભ અને વ્યાકુળતા પણ છે. પણ અપેક્ષા છે કે ફરી પાછો પહેલાં જેવોજ આવકાર મળશે. આજે મારો જન્મ દિવસ છે. જન્મની વાત સાથે મા અચૂક જોડાયેલી છે. મા (સ્ત્રી) વગર જન્મ તો શક્ય જ નથી. પ્રભુ પરમેશ્વર માટે પણ એ અશક્ય છે. પરમપિતાએ પવિત્ર મારિયાના કૂખે પ્રભુ ઈસુનો જન્મ કરાવ્યો, તો ભગવાન કૃષ્ણ પણ દેવકીના ખોળે જન્મ્યા. તો પ્રભુ પુરુષોત્તમ રામ પણ કૌશલ્યાની ઉદરે જન્મ્યા. અને આપણો સંબંધ મા સાથે આપણા જન્મ પૂર્વે જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારથી બંધાય જાય છે. આ દુનિયામાં આપણું આગમન એકમાત્ર માના આધારે અને સહારે થાય છે. સ્ત્રી માટે કહેવાય છે કે તે પોતાના દેખાવ માટે ઘણી સચેત હોય છે. જો ગાલ પર એકાદ નાનો ખીલ (પિમ્પલ) થયો હોય તો નવરાત્રિના ગરબામાં પણ જવાનું ટાળે. અને સગર્ભા થયા પછી નવ નવ માસ સુધી બેડોળ બનેલ શરીર લઈને એ જ સ્ત્રી બધે ફરે છે. અને પ્રસવ વખતની પીડા જોઈને ચોક્કસપણે કહી શકાય કે આ કામ પુરુષ કરી જ ના શકે. હવે આ વાત એટલે કહી શકું છું કે મારા પુત્રના જન્મ પૂર્વે જ્યારે હોસ્પિટલમાં ગયા તો એક વ્યક્તિને જોડે જવાની રજા આપી તો મેં મારી મમ્મીને જવા વિનંતી કરી તો ત્યાંના કર્મચારીએ કહ્યું ફક્ત પતિ સાથે જઈ શકે છે બીજું કોઈ નહીં. એટલે ફરજિયાત મારે જવું પડ્યું અને એ પ્રસવની પીડાનો સાક્ષાત્કાર થયો.

આજના મારા જન્મ દિવસમાં પહેલી વખત મારી મમ્મીની ગેરહાજરી છે. ૧૯૯૫માં સ્ટ્રોકના હુમલામાં મારી મમ્મીનું જમણું અંગ લકવા મારી ગયું. જાન્યુઆરીની ૨૧ તારીખે એને બીજો સ્ટોકનો હુમલો આવ્યો અને બ્રેઈન હેમોરેજ થઈ ગયું. ડોક્ટરોએ જવાબ આપી દીધો પણ અમારી વિનંતી પછી થોડી સારવાર ચાલુ કરી. એક મહિનો કોમામાં રહ્યા પછી ધીરે ધીરે ભાન આવવા માંડ્યું અને આંખ-હાથથી વાત અને વહાલ કરવાનું શરૂ કર્યું. પ્રભુનો ચમત્કાર વધાવી અમે તો આનંદી ગયા. પણ આ આનંદ મે મહિનાની ૩૧ તારીખે સવારે સાડા છ વાગે પ્રભુમાં પોઢી ગયો.

આજે આ બ્લોગમાં પુનરાગમન ટાણે મારી જન્મદાતા મમ્મીને યાદ કરી થોડા શબ્દો અને લાગણીના તાણાવાણા વણવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે જે મારી વ્યક્તિગત અભિવ્યક્તિ છે. જાત સાથે થોડા ડિબેટ (ચર્ચા) પછી આપની સમક્ષ રજૂ કરું છું. આશા છે કે તમને ગમશે. એક વાતનો એકરાર કરું કે બ્લોગ પર લખવાનું બંધ થયું હતું પણ વારંવાર મુલાકાત લેતો હતો પણ અભિપ્રાય આપવાથી અલિપ્ત રહ્યો હતો એના માટે ક્ષમા યાચું છું.

મા, મારી!

પતિને અવગણી
બચ્ચીથી બચકારી
છાતીથી ચાંપી
રાખ્યો, ખબર નથી!

ઘરનો મોટો બની
નાનાને જોયા પછી
પ્રશ્ન કે શું એ સાચી?
છે, પણ ખબર નથી

બાપાએ ધમકાવ્યો
ના એણે બચાવ્યો
પછીથી પંપાળ્યો
કાં, આજેય ખબર નથી!

પ્રાર્થના અને પ્રભુ
ઓળખ કરાવી, ભજુ
રસોઈ બનાવું શીખું
કારણ ખબર નથી!

પ્રભુ છે કહ્યું સાચવશે
તો તારી શું જરૂર હશે?
આધાર તો તારોજ હશે
શાને? ખબર નથી!

પ્રભુને તો જોયો નથી
તું જ હતી બસ તું હતી
તારી મમતા તારી હતી
પ્રભુને શું ખબર નથી?

જો તને ખબર હોય તો હવે એને સાચવવાની જવાબદારી તારી છે!
અમે અમારી જવાબદારી પૂરી કરી ચૂક્યા છે. પ્રભુ જવાબદારી તારી છે.

જગદીશ ક્રિશ્ચિયન – ઓગસ્ટ ૨૦૧૧

કેવડિયાનો કાંટો – સ્વર અને શબ્દ સાથે January 10, 2011

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત.
Tags: , , , ,
11 comments

જાન્યુઆરી બીજી તારીખે ગુજરાતના મૂર્ધન્ય કવિ શ્રી. રાજેન્દ્ર શાહની પ્રથમ પુણ્યતિથિ હતી. ટહુકો.કોમ પર જાન્યુઆરીની ચોથી તારીખે આ ગીત શબ્દ સ્વરૂપે મુકાયું હતું. આ ગીતને સ્વર સ્વરૂપે ઇન્ટરનેટ પર શોધ્યું પણ મળ્યું નહીં. તો મારા સંગ્રહમાં આ ગીત હતું તે શોધીને આપને સંભળાવવાની ઇચ્છા થઈ.  

આ ગીત ૧૯૫૮ માં સૌથી પહેલાં મુંબઈ આકાશવાણી પર શ્રીમતી સરોજબેન ગુંદાણીના કંઠે રેકૉર્ડ કરવામાં આવ્યું હતું. આ જ ગીત પછીથી સ્વ. ગીતા દત્ત ના કંઠે પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ગુજરાતના મૂર્ધન્ય કવિ શ્રી. રાજેન્દ્ર શાહનું આ ખૂબ પ્રખ્યાતિ પામેલું ગીત છે. આ ગીતનું સ્વરનિયોજન શ્રી. અજિત મર્ચન્ટનું છે. મે ૦૪ ૨૦૦૨ ના દિવસે ગુજરાતી લીટરરી અકાદમી આયોજિત કાર્યક્રમમાં શ્રીમતી સરોજબેન ગુંદાણીએ આ ગીત રજૂ કર્યું હતું. તો માણો.


 

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

- રાજેન્દ્ર શાહ

મારા બ્લોગના વર્ષ ૨૦૧૦ ના લેખાં-જોખાં January 3, 2011

Posted by jagadishchristian in અવનવું, સમાચાર-હેવાલ, Uncategorized.
Tags: , , ,
3 comments

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

A Boeing 747-400 passenger jet can hold 416 passengers. This blog was viewed about 12,000 times in 2010. That’s about 29 full 747s.

In 2010, there were 34 new posts, growing the total archive of this blog to 66 posts. There were 52 pictures uploaded, taking up a total of 36mb. That’s about 4 pictures per month.

The busiest day of the year was November 9th with 293 views. The most popular post that day was અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ..

Where did they come from?

The top referring sites in 2010 were mail.yahoo.com, mail.live.com, mysite.verizon.net, gu.wordpress.com, and WordPress Dashboard.

Some visitors came searching, mostly for મહાત્મા ગાંધી, સત્યના પ્રયોગો, pointing finger, સ્કેટીંગ, and નકશા.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 2010
41 comments and 4 Likes on WordPress.com

2

મહાત્મા ગાંધી – સત્યના પ્રયોગો October 2009
4 comments

3

સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન – માર્ચ ૨૮, ૨૦૧૦. March 2010
43 comments

4

Renunciation of Indian Citizenship and Obtaining Surrender Certificate May 2010
1 comment

5

મારો પરિચય May 2009
31 comments

માર્ગ મળશે હે હ્રદય – જનાબ ગની દહીંવાલા – શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાય December 5, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત.
Tags: , , , , , ,
5 comments

ઘણા સમયથી જનાબ ગની દહીંવલાની એક ગઝલ જેનું સ્વરાંકન ગુજરાતી સુગમ સંગીતના શહેનશાહ શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલું છે, અને એ ગઝલ એમણે ગાઈ છે પણ ખરી, એને આપ મિત્રો સાથે માણું. આજે એ દિવસ આવી ગયો લાગે છે. ઇન્ટરનેટ પર તપાસી લીધું કે કોઈએ આ ગઝલ ક્યાંય રજૂ કરી છે કે નહીં. અને ક્યાંય આ ગઝલ મળી નહીં સિવાય કે એકાદ શેરનો ક્યાંક ઉલ્લેખ થયો હોય. શબ્દો ગઝલ સાંભળીને લખ્યા છે તો કોઈ ભૂલચૂક હોય તો અવશ્ય જણાવજો.

૨૦૦૧ ની સાલમાં શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાયના અનમોલ આલબમમાં આ ગઝલ છે. જેની ઑડિયો રજૂ કરું છું. આજ ગઝલ એમણે ૭૫ (ઑગસ્ટ ૧૫ ૨૦૦૯ ના દિવસે) વર્ષની ઉંમરે સપ્ટેમ્બરની ૧૨ ૨૦૦૯ના દિવસે એક ખાનગી બેઠકમાં ગાયેલી, જેમાં હાજર રહેવાનું સૌભાગ્ય મને સાંપડેલું તો એની વિડિયો પણ આ સાથે રજૂ કરું છું.

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો બેઉ ગણનું શું થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને 
જૂજવા મૃગજળ જતાં તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે
- જનાબ ગની દહીંવાલા

“નયા માર્ગ” માટેનો વિશેષ અહેવાલ – જોસેફ મેકવાન અમૃત સ્મૃતિપર્વ સમારોહ – ઑક્ટોબર ૨૩, ૨૦૧૦ શ્રી. નટુભાઇ પરમાર November 11, 2010

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , ,
10 comments

‘નયા માર્ગ’ માટે વિશેષ અહેવાલ 

  • ‘ગુજરાતના સારા પાંચ પુસ્‍તકોમાં એક જોસેફ મેકવાનનું હોય જ’   -સાહિત્‍યકાર રધુવીર ચૌધરી
  • ‘નયા માર્ગ’ જોસેફ મેકવાનનું ઓશીંગણ છે.       -ઇન્‍દુકુમાર જાની-તંત્રી ‘નયા માર્ગ’
  • ‘દિવાળી સામે આવે છે ને મારું હ્યદય ધડકે છે’   -સાહિત્‍યકાર મણિલાલ હ.પટેલ
  • ‘ગુજરાતી સાહિત્‍યના નવરત્‍નોમાંના એક એટલે જોસેફ મેકવાન’    -સાહિત્‍યકાર ડો. કેશુભાઇ દેસાઇ
  • ‘જોસેફ મેકવાનના સર્જનમાં અત્‍તરની નહિ પણ માટીની મહેક હતી’   -મોહનભાઇ પટેલ, પૂર્વ શેરીફ-મુંબઇ
  • ‘જોસેફ મેકવાન એટલે જંગમ વિદ્યાપીઠ’    -સુદર્શન આયંગર, કુલનાયક-ગુજરાત વિદ્યાપીઠ
  • ‘પ્રતાપી પિતાનો અંતરંગ હિસ્‍સો હોવું તે જ વિધિનો મોટો આશીર્વાદ’    -ચંદ્રવદન જોસેફ મેકવાન

કર્મઠ કર્મશીલ-લાડકવાયા સર્જક સ્‍વ. જોસેફ મેકવાનનો અમૃત સ્‍મૃતિપર્વ સમારોહ અમદાવાદમાં સંપન્‍ન

ધર્મપત્‍ની રેગીનાબેન મેકવાન, જયેષ્‍ઠપુત્ર ચંદ્રવદન મેકવાન સહિતના પરિવારજનો અગ્રીમ સાહિત્‍યકારો-કર્મશીલો-સાહિત્‍યરસિકોની ઉપસ્‍થિતિ.

અહેવાલઃ નટુભાઇ પરમાર

ગુજરાતી સાહિત્‍યની અભૂતપૂર્વ ઘટના, દલિત સાહિત્‍યનું વટવૃક્ષ, વાસ્‍તવવાદી પત્રકાર, હજ્જારો નવોદિત લેખકોની શીતળ છત્રછાયા,માનવતાવાદના પુરસ્‍કર્તા, દલિત સાહિત્‍યની જંગમ વિદ્યાપીઠ, સાચ્‍ચેસાચા કર્મશીલ, દલિત સાહિત્‍યના દાદા જેવા અનેક વિશેષણોના ધની, ભારતીય સાહિત્‍ય અકાદમી એવોર્ડથી પુરસ્‍કૃત ગુજરાતના ગૌરવવંતા દલિત સાહિત્‍યકાર શ્રી જોસેફ મેકવાનની વસમી વિદાય પછી તેમના ચાહકો દ્વારા ગઠિત ‘જોસેફ મેકવાન અમૃત સ્‍મૃતિપર્વ સન્‍માન સમિતિ’ ના ઉપક્રમે દાદા જોસેફ મેકવાન અમૃત સ્‍મૃતિપર્વ સન્‍માન સમારોહ તારીખ ર૩ મી ઓકટોબર ૨૦૧૦ની એક સાંજે અમદાવાદ ખાતે સંપન્‍ન થયો.

ગુજરાતી સાહિત્‍ય પરિષદ સભાખંડ ખાતે સાહિત્‍યશ્રેષ્‍ઠી અને મુંબઇના પૂર્વ શેરિફ મોહનભાઇ પટેલની અધ્‍યક્ષતામાં, ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. સુદર્શન આયંગર, પ્રસિધ્‍ધ સાહિત્‍યકાર શ્રી રઘુવીર ચૌધરી, ‘નિરીક્ષક’ તંત્રીશ્રી પ્રકાશ ન.શાહ, ‘નયામાર્ગ’ તંત્રીશ્રી ઇન્‍દુકુમાર જાની અને જોસેફ મેકવાન અમૃત સ્‍મૃતિપર્વ સન્‍માન સમિતિના ઉપાધ્‍યક્ષ-સુપ્રસિધ્‍ધ સાહિત્‍યકાર ડો. કેશુભાઇ દેસાઇ, દાદાના માનસપૂત્ર સમા શ્રી હરેશ મકવાણા, દાદાચાહક શ્રી કિશોર મારવાડી, દાદાના ધર્મપત્‍ની માન. રેગીનાબહેન, જ્યેષ્‍ઠ પૂત્ર શ્રી ચંદ્રવદન મેકવાન, જોસેફદાદાના સૌ પરિવારજનોની અને ગુજરાતના અગ્રીમ લલિત-દલિત સાહિત્‍યકારો-સાહિત્‍યરસિકોની ઉપસ્‍થિતિમાં યોજાયેલો આ સમારોહ એટલી હદે જોસેફમય બન્‍યો હતો કે, સદેહે હવે નહિ એવા જોસેફ મેકવાન જાણે ત્‍યાં હાજરાહજૂર હોય એવું વાતાવરણ સર્જાયું હતું. ખાસ કરીને દાદા જોસેફને નાચતાં, વાંચતા, લખતાં, પૌત્રો-પૌત્રીઓને વહાલ કરતાં, ભજનો ગાતાં સાંભળીને તો આ સમારોહમાં એમના નિર્મળ, નિર્ડંખ અને મુકત હાસ્‍ય થકી જાણે પોતે જ આખ્‍ખેઆખ્‍ખા ઝળૂંબી ન રહયા હોય, એમ પ્રતીત થતું હતું.

દાદા જોસેફ મેકવાન અચાનક આપણી વચ્‍ચેથી ચાલ્‍યા ગયા, નહિતર આવો આ કાર્યક્રમ- તેમના અમૃત મહોત્‍સવનો કાર્યક્રમ તેમના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ધામધૂમથી ઉજવવાનો આ અમૃત સ્‍મૃતિપર્વ સમિતિનો ઇરાદો હતો. પણ સૌ જાણે ઉંઘતા ઝડપાયા. આ આખાય સમારોહમાં આમંત્રિત મહેમાનો, આયોજકો અને ઉપસ્‍થિત પ્રેક્ષકો સૌને એનો રંજ મહેસૂસ થતો હતો. લગભગ દરેક વકતાના વકતવ્‍યમાં એ રંજ વ્‍યકત પણ થયો.

સમારોહ પ્રારંભે કાર્યક્રમની ભૂમિકા બાંધતા આવકાર પ્રવચનમાં ડો. કેશુભાઇ દેસાઇએ ઈશ્વર પાસેથી શબ્‍દનું વરદાન લઇને જન્‍મેલા, સાહિત્‍યની નવી ભોં ભાગનાર અને ગુજરાતી સાહિત્‍યના નવરત્‍નો પૈકીના એક એવા દાદા જોસેફ મેકવાન સાથેના પોતાના સંસ્‍મરણો વાગોળીને એમને હરતીફરતી યુનિવર્સિટી ગણાવ્‍યા હતા.

છપ્પનની છાતીવાળા-લોકધર્મી સાહિત્‍યકાર દાદા જોસેફ મેકવાનને છેક ૧૯૮૨માં અમદાવાદના પ્રાર્થના સમાજમાં મળેલ સભામાં રજી એકટોબરે પોતે સાંભળ્યા અને કલમ હાથમાં લેવા વિનવ્‍યા તે પછી ગુજરાતી દલિત સાહિત્‍યને એનો ધ્રુવતારક-મહર્ષિ મેકવાન મળ્યો, એવો ઉલ્‍લેખ કરીને ડો. કેશુભાઇએ દાદા જોસેફ મેકવાનને પહેલા કર્મશીલ અને પછી સાહિત્‍યકાર એવા ‘વંચિતોના વકીલ’નું ઉપનામ આપ્યું હતું. દાદા જોસેફ મેકવાનની કલમને જન-જન સુધી પહોંચાડવામાં ‘નયામાર્ગ’ તંત્રીશ્રી ઇન્‍દુકુમાર જાનીના પ્રશસ્‍ય પ્રદાનના પણ ડો. કેશુભાઇએ ઓવારણાં લીધાં હતાં.

‘જિંદગી જીવ્‍યાનો હરખ’ જેવા ૪પ૦ પાનાંના દળદાર અને દાદા જોસેફની અનન્‍ય સાહિત્‍યસેવાનો-સમાજસેવાનો પરિચય કરાવતા ગ્રંથનું સંપાદન કરનારા, સુપ્રસિધ્‍ધ સાહિત્‍યકાર શ્રી મણિલાલ હ. પટેલે ‘ એવી કોઇ દિવાળી ન હતી જ્યારે હું જોસેફભાઇના ઘરે સપરિવાર ન ગયો હોઉં અને એવી કોઇ નાતાલ નહોતી કે જોસેફભાઇ મારા ઘરે સપરિવાર ન આવ્‍યા હોય. હવે દિવાળી સામે આવી રહી છે ત્‍યારે મારું હૃદય ધડકે છે અને તે વિષાદથી ઘેરાઇ ગયું છે ’ એમ તૂટતાં સ્‍વરે પોતાના પ્રવચનની શરૂઆત કરી, જોસેફ મેકવાને મારી પાસે પોતાના જીવનકર્મ વિશે લખવાનું વેણ માંગ્‍યું હતું તે આ પુસ્‍તક ‘ જિંદગી જીવ્‍યાનો હરખ ’થી પુરું થાય છે, તેનો સંતોષ વ્‍યકત કરવા સાથે, આ પ્રસંગે જોસેફ મેકવાનની ઉપસ્‍થિતિ નથી તેનું ઊંડું દુઃખ પણ વ્‍યકત કર્યું હતું.

 ‘ જિંદગી જીવ્‍યાનો હરખ ’ એક પડકારજનક કામ પૂર્ણ કરવામાં સહયોગી સૌ પ્રતિ આભાર વ્‍યકત કરી શ્રી મણીલાલ પટેલે વંચિતો-પીડિતો-દલિતો તરફથી અડધી રાતે મળતી ફરિયાદોમાં રાત-મધરાત જોયા વિના-ઉજાગરા વેઠીને જોસેફ મેકવાન એમની મદદે પહોંચી જતાં, તેની અનેક વણકહી વાતોનો ઉલ્‍લેખ કર્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. સુદર્શન આયંગરે, એક સમયે હિન્‍દી વિષયના શિક્ષક એવા દાદા જોસેફની સ્‍મૃતિવંદનામાં હિન્‍દીમાં બોલવાનું પસંદ કર્યું હતું. તેમણે પણ જોસેફ મેકવાનને જંગમ વિદ્યાપીઠ તરીકે ઓળખાવીને, જોસેફ મેકવાનનું સાહિત્‍ય વાંચીને હરકોઇ સંવેદનશીલતા કેળવી શકે છે તેવો મત વ્‍યકત કર્યો હતો.

પ્રખર કર્મશીલ અને પ્રસિધ્‍ધ સામયિક ‘નયામાર્ગ’ના તંત્રીશ્રી ઇન્‍દુકુમાર જાનીએ ‘નયામાર્ગ’ ને જોસેફ મેકવાન લેખક રૂપે મળ્યા, એ માટે ખુદ ‘નયા માર્ગ’ જોસેફ મેકવાનનું ઓશીંગણ છે, એવો મનોભાવ વ્‍યકત કરી, સાયાસ નહીં તોય સંઘેડાઉતાર લખી શકતા જોસેફ મેકવાન પોતે સાચ્‍ચા કર્મશીલ હતા એટલે જ એમનું સાહિત્‍ય પણ હંમેશા જીવનલક્ષી રહ્યું, એવો દૃઢ મત રજૂ કર્યો હતો. ઇન્‍દુભાઇએ જોસેફ મેકવાનના રેખાચિત્રોએ પોતાને બહુ રડાવ્‍યા હોવાનો એકરાર પણ કર્યો હતો. 

વરિષ્‍ઠ પત્રકાર-સાહિત્‍યકાર અને ‘નિરીક્ષક’ તંત્રીશ્રી પ્રકાશ ન. શાહે ૧૯૮૦/૮૧ અને ૧૯૮૫/૮૬ ( નવનિર્માણ અને અનામત આંદોલનકાળનો ગાળો) ગુજરાત માટે વિશેષ-વરવા-સારગર્ભ-સમાજમંથનનો ગાળો બની રહ્યો હોવાનો મત વ્‍યકત કરી, એ સમયગાળામાં યુવાનોએ અને લોકમતે જે વરવો ઉત્‍પાત મચાવેલો, એના મંથનમાંથી વિષ અને અમૃત બેય નિકળેલાં. તેમાંથી જ ‘સાત પગલાં આકાશમાં’(કુન્‍દનિકા કાપડીયા) નારીશકિતના સ્‍વતંત્ર અવાજરૂપે (૧૯૮૨-૮૩) અને ‘વ્‍યથાના વિતક’ તેમજ ‘આંગળિયાત’(જોસેફ મેકવાન) દલિતો-પીડીતો-શોષિતોના અવાજ રૂપે (૧૯૮૫-૮૬)માં એક ઉપલબ્‍ધિ પેઠે આપણને મળ્યા છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

૧૮૮૬માં સર્જકશ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા ‘સરસ્‍વતીચંદ્ર’ના પ્રથમ ભાગનો આવિષ્‍કાર થયો તે પછી ૧૦૦ વર્ષે ૧૯૮૬માં ‘આંગળીયાત’ લઇ આવનારા જોસેફ મેકવાને ગોવર્ધનરામને સૌથી મોટી અંજલિ અર્પી છે, તેમ જણાવી શ્રી પ્રકાશ શાહે ઉમેર્યું હતું કે સાહિત્‍ય સર્જનમાં જે સૃષ્‍ટિ ખૂટતી હતી તે હકીકતમાં જોસેફ મેકવાન લઇ આવ્‍યા છે. 

પ્રકાશ શાહે એક તબકકે એમ પણ કહ્યું કે સાહિત્‍યકાર ર.વ.દેસાઇ પાસે સર્વશ્રી પન્‍નાલાલ પટેલ, ઇશ્‍વર પેટલીકર કે રધુવીર ચૌધરી જેવો તળ ગ્રામ અને સમાજ જીવનનો અનુભવ નહોતો. આ સ્‍થિતિમાં જોસેફ મેકવાન જેવા એ હરોળના સર્જક પાસેથી ખરેખર તો એક ગાથાનવલ મળવાની આવશ્‍યકતા હતી. જો એમ થયું હોત તો એ શબ્‍દબંબોળ ગાથામાંથી આપણને પાછલાં ૧૦૦ વર્ષોનું ચિત્ર મળી રહેત. 

‘આજનો પ્રસંગ હરખ અને કૃતઘ્નતા પ્રકટ કરવાનો છે. એક ગુજરાતી તરીકે હું ઘણાંને નહોતો ઓળખતો તે સઘળાંને એમના સર્જન દ્વારા જોસેફ મેકવાને મને ઓળખાવી આપ્‍યા છે. જોસેફ અમે તમારી સાથે છીએ’ એવા કોલ સાથે પ્રકાશભાઇએ એમના વકતવ્‍યનું સમાપન કર્યું હતું.

‘અમારી વચ્‍ચે મનમેળ વધુ હતો અને જોસેફભાઇ લાંબી નવલકથા લખશે એવો અમારી વચ્‍ચે કરાર થયેલો. ગુજરાતી સમાજને એનું દુઃખ છે કે એ નવલકથા હવે કોઇ લખશે નહિ’ એનો વસવસો વ્‍યકત કરી મૂર્ધન્‍ય સાહિત્‍યકાર શ્રી રધુવીર ચૌધરી-કે જેઓ ૭૦૦ કિ.મી.નો લાંબો પંથ કાપી, આ સમારોહમાં પહોચ્‍યા હતા-એમણે જોસેફ મેકવાનમાં  ભવાન ભગતે ઘૂંટેલા સંયમના સંસ્‍કાર હતા, તેવો મત વ્‍યકત કર્યો હતો. 

સમર્થ સાહિત્‍યકાર ઇશ્‍વર પેટલીકરની ભાષા, અનુભવ કે નિરીક્ષણ જયાં અટકયા હતા. તેનાથી એક ડગલું આગળ-કેવલ પોતાની ભાષાના બળથી-જોસેફ મેકવાન પહોંચ્‍યા હતા, તેમ જણાવી શ્રી રધુવીર ચૌધરીએ જોસેફ એમના સર્જનથી દેશ અને દેશ બહાર પહોંચ્‍યા એના વધામણાં પણ લીધાં હતાં. 

ગુજરાતના સારા પાંચ  પુસ્‍તકો તારવીએ તો એમાં એક જોસેફ મેકવાનનું પુસ્‍તક તો હોય જ અને આ ‘વાંચે ગુજરાત’ અભિયાનમાં જોસેફ મેકવાનને પણ સૌએ વાંચવા જ રહ્યા, એમ જણાવી શ્રી રધુવીર ચૌધરીએ જોસેફ મેકવાનની વાર્તા કે રેખાચિત્રો જ નહિ એમની ચરોતરી ભાષા પર પણ પી.એચ.ડી. કરવા નવયુવાન અનુસ્‍નાતકોને અનુરોધ કર્યો હતો. 

મુંબઇના પૂર્વ શેરીફ, જાણીતા ઉદ્યોગપતિ, સાહિત્‍યકાર અને જોસેફ મેકવાનના જિલ્‍લા ખેડા(હવે આણંદ)ના ઉત્‍તરસંડાના મૂળ વતની અને આ સમારોહના અધ્‍યક્ષ ડો. મોહનભાઇ પટેલે જોસેફભાઇની ઉપસ્‍થિતિમાં જ એમનું અમૃતપર્વ ઉજવવાનો મનસૂબો મનમાંને મનમાં રહી ગયો ને જોસેફભાઇ મહેફિલ છોડીને અચાનક આમ ચાલ્‍યા ગયા તેનો સંતાપ વ્‍યકત કરી, મુંબઇની ‘કલાગુર્જરી’ અને એવી અનેક સંસ્‍થાઓના ઉપક્રમે અવાર-નવાર જોસેફભાઇનું સાંન્‍નિધ્‍ય માણવાનો પોતાને જે અવસર મળતો હતો, તે હવે નહિં મળે એનો વસવસો વ્‍યકત કર્યો હતો. 

શ્રી મોહનભાઇએ જોસેફભાઇના સર્જનમાંથી સેન્‍ટ(અત્‍તર)ની ખુશ્‍બૂ નહિ પણ માટીની સુંગંધ મહેકતી હતી અને ચરોતરી બોલીના એમના સર્જનમાં આબેહૂબ દર્શન થતાં હતાં, એમ જણાવી ઉમેર્યુ હતું કે, અનેક મુદ્દામાં મારે એમની સાથે ચર્ચા થતી, પણ અમારી વચ્‍ચે મનભેદ કયારેય ન હતો. 

સમારોહના અંતે સૌનો ઋણસ્‍વીકાર કરતાં પ્રતિભાવમાં, જોસેફ દાદાના સૌ પરિવારજનો વતી એમના જયેષ્‍ઠ પૂત્ર શ્રી ચંદ્રવદન મેકવાને શ્રી જોસેફ મેકવાન જેવા પ્રતાપી સર્જકના અંશ એવા પરિવારજનો બનવાનું સદભાગ્‍ય તેમને સાંપડયું તે બદલ પરમપિતા ઇશ્‍વર પ્રતિ આભારની લાગણી વ્‍યકત કરી હતી. 

શ્રેષ્‍ઠ શકિતઓનું ઇશ્‍વરદત્‍ત વરદાન પામેલા સર્જક જોસેફ મેકવાનનો અંતરંગ હિસ્‍સો બની રહેવાનું ગૌરવ એમના પરિવારજનો તરીકે પ્રાપ્‍ત થયું એ જ વિધિનો મોટો આશીર્વાદ, એનો નમ્રભાવે-આર્જવ સ્‍વરે એકરાર કરતાં શ્રી ચંદ્રવદન મેકવાને કહ્યું : ‘મારા પિતા જોસેફ મેકવાનની વિદાય પછી ચો તરફથી અંજલિઓનો ધોધ વરસ્‍યો એ સૌમાં અદના માણસો એવા પીડિતો-શોષિતો-વંચિતોએ પણ પોતાના સ્‍વજન ગુમાવ્‍યાની અંજલિઓ જે પોસ્‍ટકાર્ડમાં ઠાલવી, તે વાંચીને ખરેખર જ સમજાયું કે મારા પિતાને જીંદગી જિવ્‍યાનો હરખ શા કારણે હતો?’ તેમણે એમ પણ કહ્યું કે છેવાડાના માણસોનો જે સ્‍નેહ-પ્રેમ મારા પિતાજીને મળ્યા છે, તે જ્ઞાનપીઠ કે રણજીતરાય ચંદ્રકથી પણ મોટા પુરસ્‍કારો છે અને એથી જ મારા પિતા જોસેફ મેકવાનને જીંદગી જિવ્‍યાનો હરખ હતો. 

આ પ્રસંગે મુંબઇના પૂર્વ શેરીફ અને સાહિત્‍યશ્રેષ્‍ઠી ડો. મોહનભાઇ પટેલે સ્‍વ. જોસેફભાઇના ધર્મપત્‍ની રેગીનાબેનને અમૃતપર્વ સમિતિ વતી સ્‍મૃતિચિન્‍હ અને સન્‍માનપત્ર એનાયત કર્યા હતા.

 

સમારોહના પ્રારંભે દાદા જોસેફ મેકવાને મોરારિબાપુની ઉપસ્‍થિતિમાં મહુવામાં મળેલા ‘અસ્‍મિતાપર્વ’ના અવસરે સ્‍વકંઠે ગાયેલ ભજનના સૂર પુનઃ વહેતા થયા ત્‍યારે વાતાવરણ આખું જ જોસેફમય બની ગયું હતું. એ પછી દાદાના જીવન અને કવનને આવરી લેતી દ્રશ્‍ય-શ્રાવ્‍ય પ્રસ્‍તુતિ ‘વંચિતોના વાણેતર’ ગુર્જરવાણી-અમદાવાદ દ્વારા રજૂ થઇ ત્‍યારે તો અનેકની આંખો સજળ બની હતી.

આ પ્રસંગે અમૃત સ્‍મૃતિપર્વ સમિતિના કન્‍વીનરશ્રી કિશોર મારવાડીએ પણ જોસેફ મેકવાનના જીવનકર્મ વિશે વાત કરી હતી. જયારે આ સમિતિના હોદ્દેદારો સર્વશ્રી જયંતી એમ. દલાલ (મુંબઇ), ધર્મેશ ભટ્ટ (મુંબઇ), લીલધર ગડા (કચ્‍છ), નગીનદાસ શાહ (મુંબઇ)એ પણ સમારોહને શુભેચ્‍છા વાંચ્‍છી હતી.

 

દાદા જોસેફની જીવનગાથાને-તેમના સાહિત્‍યકર્મને વર્ણવતા મણીલાલ હ.પટેલ સંપાદિત સ્‍મૃતિગ્રંથ ‘જિંદગી જીવ્‍યાનો હરખ’નું પણ સૌ ઉપસ્‍થિત અતિથિઓએ લોકાર્પણ કર્યુ હતું.

 

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સાહિત્‍યકાર-પત્રકાર ડો. સુનિલ જાદવ(કાલાવડ-શીતલા)એ કર્યુ હતું. સંચાલનમાં દાદા જોસેફ મેકવાનના સર્જક અને કર્મશીલ તરીકેના વિધવિધ પાસાંઓની ડો. જાદવે અભ્‍યાસપૂર્ણ રજૂઆત કરી હતી. 

દાદા જોસેફ મેકવાનના પરિવારજનોને અર્પણ થયેલા અભિવાદન પત્રનું વાંચન નટુભાઇ પરમારે જયારે આભારવિધિ દાદાના માનસપૂત્ર સમા હરેશ મકવાણા(પાટણ)એ કર્યુ હતું.

 

આ સમારોહમાં જોસેફ મેકવાનના પરિવારના સર્વશ્રી જયેશભાઇ, અમિતાભ, દીકરીઓ વંદના-અર્ચના-હીરલ-પુત્રવધુ પારૂલ-જયા-અન્‍નપૂર્ણા પૌત્રો સૌ ઉપસ્‍થિત હતા. આ ઉપરાંત સર્વશ્રી યશવન્‍ત મહેતા, કિશોરસિંહ સોલંકી, ઉષા ઉપાધ્‍યાય, રમેશ તન્‍ના, હરિશ મંગલમ, દલપત ચૌહાણ, ચંદુ મહેરિયા, માર્ટિન મેકવાન, ચંદ્રાબેન શ્રીમાળી, પી.કે.વાલેરા, ડેનિયલ મેકવાન, રમણ મેકવાન, શંકર પેન્‍ટર, ડો. રાજેશ મકવાણા, અરવિન્‍દ વેગડા, નૈષધ મકવાણા, એ.એ.દેસાઇ, મુંબઇથી ધર્મેશ ભટ્ટ, ધિરજ વણકર, ડિવાઇન પબ્‍લીકેશનના શ્રી અમૃત ચૌધરી સહિતના સાહિત્‍યભાવિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત હતા.

સ્‍વ.જોસેફ મેકવાન અમૃત સ્‍મૃતિપર્વ સન્‍માન સમિતિના કન્‍વીનરશ્રી કિશોર મારવાડી(મુંબઇ)એ આ કાર્યક્રમમાં જાહેરાત કર્યા મુજબ હવેથી દર બે વર્ષે દાદા જોસેફ મેકવાનની યાદમાં તેમના જ નામથી એક એવોર્ડ શ્રેષ્‍ઠ સાહિત્‍યકાર અને કર્મશીલને એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત સાહિત્‍ય પરિષદના પ્રાંગણમાં જોસેફ મેકવાનને પ્રાપ્‍ત થયેલા પુરસ્‍કારો-સન્‍માનપત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું.

 

Follow

Get every new post delivered to your Inbox.