A gift on this year Navratri – “Akahand Garbo” from Rathin Mehta, Himali & Chitan Nayak. September 27, 2019
Posted by jagadishchristian in સંગીત, સમાચાર-હેવાલ.Tags: ચિંતન નાયક, નવગુજરાત સમય, નવરાત્ર, પરાશર ત્રિવેદી, રથીન મહેતા, હર્ષિત આચાર્ય, હિમાલી-વ્યાસ-નાયક, Chintan Naik, Harshit Acharya, Himali-Vyas-Naik, NavGujarat Samay, Navratri, Parashar Trivedi, Rathin Mehta
add a comment
A gift on this year Navratri – “Akahand Garbo” from Rathin Mehta, Himali & Chitan Nayak.
શબ્દ, સંગીત અને સૂર-સ્વર નો સમાગમ – चाँद से लिपटी हुइ सेी रात है पर तु नहीँ…. April 23, 2019
Posted by jagadishchristian in ગઝલ, સંગીત, સમાચાર-હેવાલ.Tags: જલસો, નંદિની ત્રિવેદી, ભગવતીકુમાર શર્મા, રથીન મહેતા, હિમાલી-વ્યાસ-નાયક, હૈયાને દરબાર, Bhagwatikumar Sharma, Himali-Vyas-Naik, Jalso, Nandini Trivedi, Rathin Mehta
add a comment
જુલાઈ ૧૮, ૨૦૧૦ ના દિવસે “સમન્વય – રથીન મહેતા અને ઓસમાન મીર” નામે એક લેખ અહીં પ્રકાશિત કરેલો. અમદાવાદ ખાતે ૨૦૧૦ ના કાવ્યસંગીત સમારોહ દરમ્યાન રથીનનાં સ્વરાંકન શ્રી. ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર, સોનિક સુથાર, પ્રહર વોરા ના સ્વરમાં રજૂ કરવામાં આવ્યા હતાં. એપ્રિલ ૧૮, ૨૦૧૯ ના મુંંબઈ સમાચાર ના લાડકી મેેેગેજીનમાં હૈયાનેે દરબાર નામની કોલમમાંં શ્રી. નંદિની ત્રિવેદીએ આ શબ્દ, સ્વરાંકન અને સૂર-સ્વરનો મહિમા રજૂ કર્યો છે.
જલસોના ૧૦૦ મા એપિસોડ દરમ્યાન હિમાલી-વ્યાસ-નાયકે આ ગઝલની રજૂઆત કરેલી એ વિડિયો પણ નીચે છે જે જોવાનું, સાંભળવાનું રખે ચૂકતા…… (જલસો ના સૌજન્ય થકી…)
જો વાંચવામાં તકલીફ પડે તો અહીં ક્લિક કરી PDF ફોર્મેટમાં વાંચી શકાશો….
ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહી
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી
ગઝલનો ઉઘાડ હિન્દી-ઉર્દૂ અંદાજમાં અને બીજી જ પંક્તિ ગુજરાતી ગઝલના રૂઆબમાં ચાલે એવો પ્રયોગ માત્ર ગુજરાતી ભાષામાંં જ થયો હોવાની સંભાવના છે. પછી તો આ ગઝલ રાગેશ્રી-બાગેશ્રીનો હાથ ઝાલીને રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે
મુંબઈ સમાચાર – લાડકી – હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી
ચૈત્રી બપોરની દાહકતામાં લીલુંછમ ડિપ્રેશન પજવી રહ્યું હોય અથવા નિ:સ્તબ્ધ ચાંદની રાતે સ્મરણોએ મન પર કબજો લઇ લીધો હોય ત્યારે ગઝલ યાદ આવે છે. ગઝલ સાંભળવી એ મારે માટે જાતને મળવાનો અવસર છે. આંસુની સાથે બધાં દુઃખો વહાવી દઈને સાવ હળવા અને નિર્ભાર થઈ જવાનો પ્રયાસ એટલે ગઝલ. યોગાનુયોગે આજે પૂનમ છે. તપ્ત તન-મન પર ચાંદની સુંવાળો લેપ કરશે. પરંતુ, વિરહી નાયિકાનું મન તો યાદોમાં ખોવાયેલું છે. એના વ્યાકુળ હ્રદયમાંથી શબ્દો સરી પડે છે…
ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી…
વાહ, ક્યા બાત હૈ! કેવો સરસ શેર, એ પણ બાયલિન્ગ્યુઅલ એટલે કે દ્વિભાષી! આવો પ્રયોગ અન્ય ભાષામાં થયો હોય એવું મારા ધ્યાનમાં નથી. ગઝલ એ બહુ નાજુક કાવ્યપ્રકાર છે. એની વ્યાખ્યા ભલે પરમેશ્વર અથવા તો પ્રિયતમા સાથેની વાતચીત હોય પરંતુ, ખરેખર તો જાત સાથેનો જ સંવાદ હોય છે. ગઝલ સાંભળતી વખતે આપણે જ આપણી જાતને એમાં ઓગાળી દેતાં હોઈએ છીએ. તાજેતરમાં ગુજરાતી ભાષાની પ્રથમ હરોળની ગાયિકા હિમાલી વ્યાસ-નાયકના કંઠે ભગવતીકુમાર શર્મા લિખિત આ અદભુત ગઝલ સાંભળી ત્યારથી મન પર હાવી થઈ ગઈ છે.
ગીત, ગઝલ, ભજન, સોનેટ અને ગદ્યકાવ્ય જેવાં વિવિધ સ્વરૂપોને ખેડનારા કવિ ભગવતીકુમાર શર્મા આ ગઝલમાં એમના વ્યક્તિત્વમાં જોવા મળે એવી કોમળતા અને ઋજુતા લઈને આવ્યા છે. ભગવતીભાઇએ ગઝલમાં અવનવા પ્રયોગો કર્યા છે. એમણે ક્યારેક આખે આખો શેર અંગ્રેજીમાં આપ્યો છે જેમકે આઈ ફીડ માય વર્ડ્ઝ ટુ કમ્પ્યુટરાઈઝ્ડ વર્લ્ડ. હિન્દી-વ્રજ અને ઉર્દૂનો પ્રયોગ કરીને એમણે લખ્યું છે;
જબ સે ગયે હૈ છોડ કે સાજન બિદેસવા, કજરી સૂની સૂની, સુમસામ નેજવાં…!
દ્વિરુક્તિની એમની આ અર્થસભર ગઝલ વાંચો ;
અક્ષર બક્ષર કાગળ બાગળ શબ્દો બબ્દો
પરપોટે બરપોટે ક્યાંથી દરીયો બરીયો?
કલમ બલમ ને ગઝલ બઝલ સૌ અગડમ્ બગડમ્
અર્થ બર્થ સૌ વ્યર્થ ભાવ તો ડોબો બોબો
ભગવતીભાઈની ગઝલો પરંપરા, સમકાલીનતા અને આધુનિકતાના ત્રિભેટે ઊભેલી છે.
ગઝલના શેરોમાં પ્રેમ, પ્રેમમાં એકરાર-ઇનકાર, પ્રણય મુગ્ધતા, નિષ્ફળતા, પ્રિય પાત્ર દ્વારા ઉપેક્ષા, વેદના, અસહાયતા, પીડા, અધ્યાત્મ, ચિંતન જેવા અનેક વિષયો વણાયેલા હોય છે જે મનુષ્યની જિંદગી સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા છે. એટલે જ કદાચ સાહિત્યમાં ગઝલનું સ્વરૂપ આટલી બધી લોકપ્રિયતાને વર્યું છે. ગઝલ કંઈ એમ જ નથી લખાઈ જતી. એમાં લાઘવ, ઊંડી દાર્શનિકતા જોઈએ, મૌલિક અભિવ્યક્તિ અને સુંવાળું હૃદય પણ જોઈએ. ગઝલ એ વસંતઋતુનો ગુલઝાર છે તો પાનખરનો પર્ણપાતી મિજાજ. હિમ પ્રદેશનો હૂંફાળો તડકો છે તો રૂપા મઢેલ રાત્રીની રંગીનીયત. ભગવતીકુમાર શર્માની ગઝલો પાસે જઈએ તો એમાં કલાઈડોસ્કોપિક રંગછટાઓ જોવા મળે.
આ ગઝલ મને સ્પર્શી ગઈ એનું કારણ છે સ્વરાંકન. ખૂબ જ મીઠી અને હ્રદયસ્પર્શી આ ગઝલ સાંભળી ત્યારે ખબર નહોતી કે આ સ્વરાંકન અમેરિકાસ્થિત રથિન મહેતાનું છે. અમેરિકામાં ‘ચલો ગુજરાત’ દ્વારા આખું ગુજરાત ખડું કરનાર સ્થાપકોમાંના એક વ્યક્તિ તથા સંગીતચાહક તરીકે એમનું નામ બેશક સાંભળ્યું હતું પરંતુ, એ ગુજરાતી ગીતો સ્વરબદ્ધ કરે છે એ ખબર બહુ મોડી પડી. વ્યવસાયે બાયોટેક કન્સલ્ટન્ટ રથિન મહેતા માત્ર સંગીતના ચાહક, ઉપાસક જ નહીં, પ્રસારક પણ છે. અમેરિકામાં રહીને ગરબા, સુગમ તથા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને યથોચિત ઉજાગર કરે છે. સંગીતની વિધિવત્ તાલીમ ન હોવા છતાં ઉત્તમ સ્વરાંકન કરે છે જેનો તાદ્રશ નમૂનો છે આ ગઝલ. ઉ. ગુલામ અલી સાહેબની ગાયકીની યાદ અપાવે એવી આ ગઝલનો ઉપાડ જ ઉર્દૂ અંદાજમાં છે. પછી તો રાગ બાગેશ્રી-રાગેશ્રીનો હાથ ઝાલીને આ ગઝલ રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે. પરાકાષ્ઠાએ આહિર ભૈરવના સૂર મનમાં એવા જડબેસલાક બેસી જાય કે વારંવાર આ ગઝલ સાંભળ્યાં કરવાની ઈચ્છા થાય.
“આ સ્વરાંકન નિપજ્યું કેવી રીતે?” રથિનભાઈ ઉત્સાહપૂર્વક વાતની માંડણી કરે છે.
“મા-બાપે થિયેટર, મ્યુઝિક અને લિટરેચરનું સંપૂર્ણ વાતાવરણ ઘરમાં જ પૂરું પાડ્યું હતું. હું વ્યાવસાયિક કે તાલીમ પામેલો સંગીતકાર નથી પરંતુ, જરૂર કહી શકું કે મારી ‘સેલ્ફ લર્ન્ડ મ્યુઝિશિયન’ બનવાની પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક ચાલુ છે. ગુજરાતી સુગમ સંગીતના સુપ્રસિદ્ધ કલાકારો રાસબિહારી દેસાઇ અને વિભા દેસાઇ મારાં મામા-મામી થાય એટલે નાનપણથી જ ઘરમાં સુગમસંગીતનો માહોલ હતો. આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા દેસાઇ, પરેશ ભટ્ટ, શ્યામલ-સૌમિલ મુનશી, નયનેશ જાની અને મારા ગુરુ નયન પંચોલીની ઉત્કૃષ્ટ રચનાઓ સાંભળીને જ મોટો થયો છું. મારા પિતા કશ્યપ મહેતાનો નાટ્ય કલાકારો સાથે ઘરોબો રહ્યો હોવાથી આઇએનટીના લગભગ બધાં નાટકો મેં જોયાં છે અને એ થિયેટર પ્રેમનો મારી સંગીતસર્જન પ્રક્રિયા પર ઊંડો પ્રભાવ છે. કવિતા હું એવી પસંદ કરૂં જેમાં દ્રશ્ય હોય, તેથી મારી સર્જનપ્રક્રિયા આસાન થઈ જાય. સાચું પૂછો તો જેમાં આખું ચિત્ર ખડું થતું હોય એવી કવિતા સામેથી જ મારી પાસે આવે અને સ્વરાંકન પોતે જ એના રંગ, મૂડ, તાલ પોતાની રીતે શોધી લે છે. હું અને કવિતા અમે બંને હાર્મોનિયમના હાઇવે ઉપર સાથે ચાલીએ અને કવિતા મને સૂરના સરનામે પહોંચાડે. ચાંદ સે લિપટી…ગઝલ સ્વરબદ્ધ કરવાનો અનુભવ એ રીતે અનોખો હતો કે એની એક લાઈન હિન્દીમાં અને બીજી ગુજરાતીમાં. મારે માટે ચેલેન્જ એ હતી કે હિન્દી લાઈન મારે હિન્દી કે ઉર્દૂ ફોર્મેટમાં અને ગુજરાતી પંક્તિ ગુજરાતી ગઝલના રૂઆબમાં ચાલે એ રીતે સ્વરબદ્ધ કરવી હતી. ગઝલ પોતે જ એટલી મુખર અથવા તો સમજાઈ જાય એવી સરળ હતી કે સહજતાથી હું એમાં સંગીતના રંગો પૂરી શક્યો. આ ગઝલ સૌપ્રથમ 2010માં રાસબિહારી દેસાઈએ કેનેડામાં ગાઈ હતી અને પહેલા જ પ્રયોગમાં વન્સમોર થઈ હતી. ત્યારબાદ ઓસમાન મીરે એને વધુ લોકપ્રિય બનાવી અને હવે તો યુવા કલાકારો હિમાલી વ્યાસ, આલાપ દેસાઈ, પ્રહર વોરા ઇત્યાદિ ઘણી કોન્સર્ટમાં ખૂબ સરસ રીતે ગાય છે. સુગમ સંગીતની નવી પેઢીમાં આલાપ દેસાઈના સર્જનથી હું ખૂબ પ્રભાવિત છું. ખાસ કરીને એમનાં સ્વરાંકનો અને અરેન્જમેન્ટમાંથી મને ઘણી પ્રેરણા મળે છે.”
હિમાલી વ્યાસ-નાયક ગુજરાતી સહિત અનેક સંગીતપ્રકારો સહજતાથી ગાનાર કલાકાર છે તથા દરેક સ્વરાંકનના મૂળને વળગીને પોતાની અમેઝિંગ ગાયન શૈલી દ્વારા ગીતને બહેલાવી શકે છે.
ચાર વર્ષની વયથી હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યૂઝિક શીખનાર હિમાલીએ લંડનની ટ્રિનિટી કોલેજમાંથી પાશ્ચાત્ય સંગીતની તાલીમ લીધી છે તથા છેલ્લાં ૧૫ વર્ષથી દેશવિદેશમાં વૈવિધ્યપૂર્ણ સંગીત કાર્યક્રમો આપે છે. ૧૨થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કંઠ આપનાર હિમાલીએ અત્યારે ચાલી રહેલી ફિલ્મ ‘કાચિંડો’માં દિવિજ નાયક સાથે ઊડી ઊડી… નામનું સરસ ડ્યુએટ ગાયું છે. આ ગઝલ વિશે હિમાલી કહે છે, “૨૦૧૫માં ‘ગ્લોરિયસ ગુજરાત’માં હું અમેરિકા ગઈ હતી ત્યારે રથિનભાઈ પાસે હું આ ગઝલ શીખી હતી. શીખ્યા બાદ તરત જ બીજે મહિને અમદાવાદમાં પૂજ્ય મોરારીબાપુના ‘ગઝલ સપ્તાહ’ કાર્યક્રમનું આયોજન થયું જેમાં પહેલી વાર મેં રજૂ કરી અને ખૂબ ચાહના પામી હતી. રથિન મહેતા ગિફ્ટેડ કમ્પોઝર છે. વિરહના ભાવની આ ગઝલનો છેલ્લો શેર, હૈ ઝમીં બંજર… એમણે અરેબિક અને ઈન્ડિયન ક્લાસિકલનો અદ્ભુત સ્પર્શ આપીને સ્વરબદ્ધ કર્યો છે જે મારો સૌથી પ્રિય શેર છે. દરેક શેર અલગ અને મુક્ત રીતે ખૂલે છે. કવિએ શેરની શરૂઆત ક્યાંક હિન્દીમાં કરી છે તો ક્યાંક ગુજરાતીમાં. ઓસમાન મીરે ગાયાં પછી ગુજરાતના યુથ ફેસ્ટિવલમાં પણ હવે આ ગઝલ ખૂબ ગવાય છે.” વાહ, આફરીન આફરીન!
આ ગઝલના રચયિતા ભગવતીકુમાર શર્માએ સાત મહિના પહેલાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. પરંતુ એમની કવયિત્રી દીકરી રીના મહેતા ભગવતીભાઈની સર્જન પ્રક્રિયા અને મૃદુ સ્વભાવ વિશે મુંબઈ સમાચારના વાચકો સાથે સરસ વાતો શેર કરે છે. “લેખનની શરૂઆત કરી ત્યારથી જ મારા પિતાજીનો ગઝલ પ્રેમ વ્યક્ત થઈ ગયો હતો. એમના આરંભિક સંઘર્ષકાળમાં તથા અંતિમ સમયે ગઝલે જ એમને જીવતા રાખ્યા હતા. 11 કાવ્યસંગ્રહો તથા પુરસ્કૃત નવલકથાઓ વચ્ચે શેર-શાયરી તો એમના મનમાંથી સાવ સહજ પણે ફૂટી નીકળતા. આજની ગઝલ લગભગ સિત્તેરના દાયકાની છે, એ વખતે હું ખૂબ નાની હતી પરંતુ એમના પાછલાં વર્ષોમાં હું એમની સર્જન પ્રક્રિયાની સાક્ષી રહી છું. આંખની જન્મજાત તકલીફ હોવા છતાં એમણે સતત શબ્દ સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું. એમનું મગજ એટલું બધું સતર્ક રહેતું કે જીવનના આખરી તબક્કામાં દ્રષ્ટિ લગભગ ગુમાવી ચૂક્યા હોવા છતાં ટેબલ ઉપર કાગળ અને પેન તો હોય જ અને જ્યારે જે શેર કે કવિતા મગજમાં આવે એ એમાં ટપકાવી લે, બેશક, એમને દેખાતું તો ન જ હોય એટલે એક શેરની ઉપર બીજો શેર લખાઈ જાય. ક્યારેક બોલપેનની શાહી સુકાઈ ગઈ હોય ત્યારે એમને તો ખ્યાલ જ ના આવે કે પાના ઉપર શબ્દો લખાઈ રહ્યા નથી. એટલે કોરા ને કોરા પાનાં ઘણી વાર પ્રેસમાં જાય. ત્યારપછી ફરીથી લખવાની તથા બધું રિ-રાઈટ કરવાની મહેનત હું કરું. બીજાને આ બધી તકલીફ ઉઠાવવી પડે એનો એમને ઘણો જ રંજ રહેતો પરંતુ એ હંમેશા કહેતા કે શબ્દ વિના મારું અસ્તિત્વ છે જ નહીં. લખું નહીં તો સાવ નકામો થઈ જાઉં!”
આવા પ્રતિબદ્ધ સાહિત્યકાર, રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા, પુરસ્કૃત નવલકથાઓ ‘ઊર્ધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ના રચયિતા ભગવતીકુમાર શર્મા સાહિત્યના આકાશમાં આજીવન સૂરજની જેમ ઝળહળતા રહ્યા. ગઝલ ક્ષેત્રે એમનું માતબર પ્રદાન છે. આજની ગઝલ જોકે ભગવતીભાઈની અન્ય ગઝલોની તુલનાએ પ્રમાણમાં સરળ છે. પરંતુ સુંદર સ્વરાંકન તથા મિશ્ર ગઝલ હોવાને લીધે એની સાહિત્યિક મહત્તા વધી જાય છે. એમની આ ગઝલનો શેર સાંભળો ;
અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે
તળેટીથીયે શિખરે પહોંચવું છે
કોઈ રીતે સમીપે પહોંચવું છે
‘હું’-’તું’-‘તે’ ના અભેદે પહોંચવું છે…!
તેમની આ પઝલગઝલ, અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! તો એટલી લોકપ્રિય છે કે ચોમાસું બેસતાં જ સોશિયલ મીડિયા ઉપર ફરવા માંડે છે.
આમ, એ રીતે વિચારીએ તો આપણી ભાષામાં શું સમૃદ્ધ ગીત-ગઝલ રચાયાં છે અને ગવાયાં છે! આ પ્રકારના પ્રયોગો ખરેખર નવી પેઢીને ગુજરાતી સંગીત તરફ આકર્ષી શકે છે. બસ, એમણે આપણું જ ગુજરાતી-ગર્વીલુ સંગીત સાંભળવાની તત્પરતા બતાવવાની જરૂર છે.
*****
ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી
આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે
હર તરફ બરસાત હી બરસાત હૈ, પર તૂ નહીં
મૌસમ-એ-બારિશ મેં કશ્તી કો ડૂબોના ચાહિએ
પત્રરૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી
હૈ ઝમીં બંજર મગર યાદોં કિ હરિયાલી ભી હૈ
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી
બોજ આહોં કા અકેલા મૈં ઉઠા સકતા નહીં
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નથી
કવિ : ભગવતીકુમાર શર્મા
સંગીતકાર : રથિન મહેતા
ગાયિકા : હિમાલી વ્યાસ-નાયક
સમન્વય – રથીન મહેતા અને ઓસમાન મીર July 18, 2010
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, સંગીત, સમાચાર-હેવાલ.Tags: Ahmedabad, ઓસમાન મીર, કવિતા, ભગવતીકુમાર શર્મા, રથીન મહેતા, સમન્વય, Rathin Mehta
6 comments
મારી આગળની પોસ્ટ “આજે અમેરિકામાં ૨૫ વરસ પૂરાં થયાં” ના સંદર્ભે ઘણા બધાં મિત્રોએ મુલાકાત લીધી એના માટે હું બધાંનો આભારી છું. બ્લોગ પર પ્રતિભાવ આપી અભિનંદન આપ્યા એ મિત્રો અને શુભેચ્છકોનો અને મને સીધી ઇમેલ કરી શુભેચ્છા આપનારા બધા મિત્રોનો પુરા દિલથી આભાર માનું છું. દરેકને વ્યક્તિગત જવાબ નથી આપી શક્યો એનો અફસોસ છે. ઘણાં વડીલોના આશીર્વાદ પણ મળ્યા એમને પ્રણામ.
સપ્ટેમ્બર ૧૯ ૨૦૦૯ ના દિવસે એક પોસ્ટ મૂકી હતી જેમાં મેં જણાવ્યું હતું કે છેલ્લા થોડા વરસથી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત સમાચાર અને સમન્વય ના સહયોગથી કાવ્યસંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. ૨૦૦૮ ના કાર્યક્રમ દરમ્યાન એક નવો અવાજ સાંભળવા મળેલો અને ગમી ગયેલો તે શ્રી. ઓસમાન મીર. આ વરસના ફેબ્રુઆરીમાં કાર્યક્રમ થયો એમાં એક અલગ સમન્વય જોવા મળ્યો. પ્રખ્યાત ગઝલકાર શ્રી. આદિલ મન્સૂરીના ૬૦ મા જન્મદિવસની ઉજવણી અને તેમના પુસ્તક “મળે ન મળે” નું વિમોચન કરવા ૧૮ મે ૧૯૯૬ ના દિવસે એડિસન ન્યુ જર્સી ખાતે ગઝલ મહેફિલ ‘૯૬ નામના એક કાર્યક્રમનું આયોજન થયેલું. એ કાર્યક્રમ દરમ્યાન એક સ્થાનિક યુવાન કલાકારને સાંભળીને દિલ ખુશ થઈ ગયેલું – રથીન મહેતા. તેઓ સારા કંઠના માલિક તો છે જ અને એટલાં જ મધૂરાં સ્વરાંકન પણ કરે છે. ત્યાર પછી ઘણા કાર્યક્રમ દરમ્યાન તેમને સાંભળવાનો મોકો મળ્યો અને મન ભરીને માણ્યા છે. હમણાં “સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ” દરમ્યાન રથીન સાથે મુલાકાત થઈ અને આ કાર્યક્રમમાં શ્રી. ઓસમાન મીર આવવાના હતા પણ આવી ન શક્યા એનો રંજ મેં બતાવ્યો. ત્યારે તેમણે જણાવ્યું કે આ વખતના કાવ્યસંગીત સમારોહ દરમ્યાન તેમનાં સ્વરાંકન શ્રી. ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર, સોનિક સુથાર, પ્રહર વોરા ના સ્વરમાં રજૂ કરવામાં આવ્યા હતાં. મને પુષ્કળ આનંદ થયો. મારા ગમતા આ બે કલાકારનો સમન્વય સાંભળવો જ પડશે. તો તેમણે એક નાની ઝલક આપતી વીડીઓ ક્લિપ મોકલી આપી છે. તો માણો કવી શ્રી. ભગવતીકુમાર શર્માની ગઝલ જેનું સ્વરાંકન રથીન મહેતાનું છે અને સ્વર શ્રી. ઓસમાન મીર. આ ગઝલની એક ખાસિયત એ છે કે શેરનો પહેલો મિસરો હિન્દીમાં અને બીજો મિસરો ગુજરાતીમાં.
આ કાર્યક્રમનો અહેવાલ ગુજરાત સમાચારમાં વાંચવા માટે અહીં ક્લિક કરો.