jump to navigation

દીવો રે પ્રગટાવો… October 31, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , ,
16 comments

image from myorkutglitter.com

હમણાં દશેરા (વિજ્યાદશમી) ઊજવાઈ ગઈ અને થોડા દિવસ પછી દિવાળી ઊજવાશે. દર મહિને ઇઝલીનમાં આવેલા ગુજરાત-દર્પણના કાર્યાલય માં સાહિત્ય-સભાનું આયોજન થાય છે. ૧૬ ઑક્ટોબરના રોજની સાહિત્ય-સભામાં દિવાળી વિષય પર ગદ્ય કે પદ્ય રચના રજૂ કરવી એવું નક્કી કર્યું હતું ત્યારે મેં નીચેનું કાવ્ય રજૂ કર્યું હતું. આશા છે કે તમને ગમશે. આ દુનિયામાંથી આતંક અને વેરભાવથી ફેલાયેલો અંધકાર દૂર થાય અને શાંતિનો પ્રકાશ પ્રજ્વળે એવી પ્રભુને પ્રાર્થના.

દીવો રે પ્રગટાવો…

પાપી રાવણ હણાયો
વિજય રામને વર્યો
સીતાનો છુટકારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

રાજાનો તાજ ધર્યો
સિંહાસન વિરાજ્યો
પૂરો વનવાસ વારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

સૂણી ધોબીની વાતો
સતી સીતાને જાકારો
કેવો ભરથાર સહારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

રામરાજ્યનો નારો
બધે હિંસાનો ધખારો
લાખો રાવણ વધારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો 

અંધારું દૂર કરો
આતમ શુદ્ધ કરો
જગે પ્રકાશ ફેલાવો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો
– જગદીશ ક્રિશ્ચિયન ઑક્ટોબર ૨૦૧૦

અમૃત સ્મૃતિપર્વ સન્માન સમારોહ – શ્રી. જોસેફ મેકવાન October 11, 2010

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , ,
7 comments

ગુજરાતી સાહિત્યના માનવંતા સાહિત્યકાર આદરણીય સ્વ. શ્રી. જોસેફ મેકવાનનો જન્મદિવસ ઑક્ટોબરની ૯ તારીખે હતો. તેમના અમૃત મહોત્સવ ઊજવવાની તૈયારી તેઓ હયાત હતા ત્યારથી ચાલતી હતી. પણ ૨૮ માર્ચ ૨૦૦૯ ના દિવસે તેમના અચાનક દુઃખદ અવસાન પછી પણ એમના સાહિત્યરસિક મિત્રોએ “અમૃત સ્મૃતિપર્વ સન્માન સમારોહ”નું આયોજન કરી એક અનોખી શ્રધ્ધાંજલી અર્પી ગણાય. આ કાર્યક્રમમાં જોડાવા માટે જાહેર આમંત્રણ અને વિનંતી છે. વધુ માહિતી નીચે આપી છે.

આવું તારી કને! October 3, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , ,
12 comments

Image from web

આવું તારી કને!

પારદર્શી પહેરણમાંથી
ગંજી પર પડેલા
તારા હાથના થાપા
શોધું છું!
મળતા નથી.
તારી જેમ એ પણ
અદૃશ્ય?
યાદ છે,
અવકાશ છે,
કૅન્વાસ છે,
છબી નથી બનતી!
ધૂંધળું કેમ દેખાય છે?
ચશ્મા ફરી ફરી સાફ કર્યા!
બારીમાંથી ચકલી આવી ફરર…
ઉપર જોયું તો ગાલ ભીના થયા.
આંખ સાફ કરી,
રૂમાલના ખૂણે નામ શોધ્યું,
તારા હાથે
ભરત ભરેલું, 
મળ્યું નહીં!
ચાલ હું જ આવું છું,
તારી કને.
– જગદીશ ક્રિશ્ચિયન – સપ્ટેમ્બર ૨૦૧૦

હમણાં ઓગસ્ટની ૨૯ તારીખે એક કાર્યક્રમમાં હાજર રહેલો ત્યાં અનાથ બાળકો માટે દાન માટે એક ઘોષણા કરવામાં આવી. આ બાળકોની માતાનું અવસાન થયું અને બીજાજ દિવસે એમના પતિનું પણ અવસાન થયું. ત્યારથી પતિ-પત્નીના પ્રેમ અને એમાંથી એકની વિદાય અને પછીનો ખાલિપો આ બધા વિચાર મનમાં ઘોળાતા હતા. તો એ વિષય પર લખવાનો વિચાર આવ્યો.  ત્યાં જ સપ્ટેમ્બરની પહેલી તારીખે મારા કાકાની દીકરીનો ૪૫ વરસનો દીકરો જે પોતે પણ બે દીકરાનો બાપ એ ભારે હ્રદયરોગના હુમલાનો ભોગ બન્યો અને બચી ન શક્યો. આ આઘાતની કળ વળી ત્યાં જ સપ્ટેમ્બરની ૨૯ તારીખે મારી પત્નીની નાની બહેનના ૨૪ વરસના એકના એક દીકરાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું.  વિચારો બદલાતા રહ્યા પણ વિષય પકડીને ઉપર પ્રમાણેની આ કવિતા લખાઈ ગઈ.