પરી! May 1, 2012
Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.Tags: કવિતા, જગદીશ ક્રિશ્ચિયન, પરી!, Jagadish Christian
10 comments
પ્રિય મિત્રો
ઘણા વખત પછી આજે એક નવી કવિતા લઈને આવ્યો છું. કવિતા જાણે કે મારાથી રિસાઈ જ ગઈ હોય એમ લાગે છે. એને પાછી મેળવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. આશા છે કે ગમશે.
પરી!
ઓ નદીની રેત લીંપેલી
જળપરી!
ક્યાં છે તું?
એજ આકાશ છે,
એજ કિનારો છે,
મળતાં હતાં જ્યાં રોજ!
આજે
અદૃશ્ય બની છે તુ?
કે
મારી દ્ગષ્ટિને અંધત્વ?
તારી મહેક શ્વસી શકાય છે!
તારી ચહેક સુણી શકાય છે!
તારા અસ્તિત્વની
લાક્ષણિક સંવેદનાનો
અહેસાસ અનુભવી શકાય છે!
સ્પર્શ્યા વગર પણ
તારી સુંવાળપ
કળી શકાય છે!
તારા તા થૈ કરતાં પગલાંનો પગરવ
પારખી શકાય છે!
તારા ઉચ્છવાસનો ગરમાવો
મારી પીઠ પર વરતી શકાય છે!
તો પછી!
તું છે કે મારી કલ્પના છે તું?
તું છે કે મારી સ્વપ્ન-પરી છે તું?
તું છે તો આવ અને
મારી વિહ્વવળતાનો અંત લાવ!
નહીં તો મારો સ્વપ્નભંગ કરી
મને જગાવ!
આવ! આવ! આવ!
જગદીશ ક્રિશ્રિયન – મે ૦૧, ૨૦૧૨
Y2K – 911 – નવા મિલેનિયમને મલિન કરતો ત્રાસવાદ. September 11, 2011
Posted by jagadishchristian in કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.Tags: 2001, 9-11, ત્રાસવાદ, Jagadish Christian, September 11, WTC, Yankee
2 comments
૧૯૯૮-૧૯૯૯ દરમ્યાન જ્યારે સહસ્ત્રાબ્દી (મિલેનિયમ) નો સમય નજીક આવતો હતો ત્યારે એક ભય અને ચિંતાનું વાતાવરણ ઊભું થયું હતું. યાદ છે ને તમને. અને ચિંતાનું કારણ હતું Y2K. આમ તો મુખ્ય ચિંતા કમ્પ્યુટરના પ્રોગ્રામીંગની હતી અને એને સંલગ્ન બધા આવિષ્કાર અને ઉપકરણની. બધા ચિંતિત હતા કે જ્યારે ૦૦ થશે ત્યારે આ બધા જ ઉપકરણો પોતાની ક્ષમતા ગુમાવી દેશે. અને આ બધાં જ ઉપકરણોનો ઉપયોગ આપણી રોજબરોજની જીંદગીમાં એટલો વણાઈ ગયેલ છે કે જો એ કામ કરતા બંધ થાય તો કેટલી તકલીફ ઊભી થઈ શકે એ તો કલ્પનાનો જ વિષય હતો. અને ૨૦૦૦ આવે તે પહેલાં દુનિયાના બધા જવાબદાર કાર્યકરોએ જરૂરી ફેરફાર કરી એ ભયને દૂર કર્યો. છતાં કેટલીય જગ્યાએ સમયાનુસાર ફેરફારના અભાવે થોડી મુશ્કેલીઓ થઈ પણ ખરી પણ એને પણ સુધારી લેવાઈ. આટલી મોટી આફતનો આપણે માનવજાત ભેગાં મળી એનો ઉપાય કરી શક્યા. કેટલા આનંદની વાત.
પણ આજ સમય દરમ્યાન શેતાની દિમાગ ધરાવતા મુઠ્ઠીભર લોકો દુનિયાને ત્રાસ આપવાનું ગોઠવી રહ્યા હતા. અને એમણે દિવસ નક્કી કર્યો સપ્ટેમ્બર ૧૧ ૨૦૦૧. જ્યારે આખી દુનિયા Y2K ના ભયમાંથી નીકળી આનંદોલ્લાસ કરી રહી હતી ત્યારે આ ટોળકી કાંઈક જુદું જ રાંધી રહી હતી. અને એમણે ત્રાસવાદી હુમલો કરીને સ્વતંત્રતા અને અમન-ચમન ને અસ્તવ્યસ્ત કરી નાંખી. આ ઘાના પ્રવિભાવ રૂપે જે પ્રતિક્રિયા અમેરિકા અને બીજા બધા દેશોએ આપી એનાથી આખા વિશ્વનું નાણાકીય તંત્ર ખોરવાઈ ગયું. બબ્બે યુદ્ધના ખર્ચ અને દેશની સુરક્ષા માટે વધારાનો ખર્ચ વગેરેના કારણે અમેરિકામાં મંદીના મોજાં ફરી વળ્યાં. AAA ક્રેડિટ ક્રમાંકથી પહેલી વખત નીચલા ક્રમાંકે જવું પડ્યું. દુનિયાના બીજા ઘણાં દેશોમાં પણ આ ત્રાસવાદી તત્વોએ નાના મોટા હુમલાઓ કરતા રહ્યા છે.
NEVER FORGET
સપ્ટેમ્બર ૧૧ ની યાદ થતાં આજે પણ હાથના રુવાડાં ઊભા થઈ જાય છે અને આંખમાં ભીનાશ અનુભવાય છે. એ ગોઝારા દિવસને યાદ કરતાં જનાબ ફરહત શેહનાઝની પ્રખ્યાત ગઝલનો મતલા યાદ આવે છે.
खुलेी जो आँख तो वो था ना वो जमाना था
दहेकतेी आग थेी तन्हाई थेी फसाना था
એ દિવસે ચાર વિમાન જે કેલિફોર્નિયા તરફ જવા રવાના થયા હતા પણ ન્યુ યોર્ક વોશિંગ્ટન ડીસી અને પેન્સિલવેનિયામાં ત્રાસવાદીઓએ આત્મઘાતી હુમલાઓમાં હોમી દીધા. એજ દિવસે સાંજે સાત વાગે ન્યુ યોર્કના યાન્કી સ્ટૅડિયમમાં રમાનારી ગેમની ચાર ટિકિટ મારી પાસે હતી જે વણ વપરાયેલ હજુ મારા સંગ્રહમાં છે. (જુઓ નીચે) અને આજે દસ વર્ષ પછી એજ સપ્ટેમ્બરની ૧૧ છે અને યાન્કી ન્યુ યોર્કથી દૂર કેલિફોર્નિયામાં આજની ગેમ રમશે. અને આજે ભારતીય ટીમ પણ ઈંગલેંડ સામે ચોથી વન ડે મેચ રમશે. અને બીજા દસ વર્ષ પછી નવા ટાવર ઊભા થઈ ગયા હશે અને આપણા બધાના સહયોગથી આ દુનિયાને ત્રાસવાદથી મુક્ત કરી શક્યા હોઈશું.
હેજી એવાં કોરાં રે અષાઢ – શ્રી. શિવરાજ અવકાશ અને શ્રી. નયનેશ જાની September 6, 2011
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સંગીત.Tags: કલોલ, ગીત, ગુજરાત સમાચાર, જગદીશ ક્રિશ્ચિયન, નયનેશ જાની, શિવરાજ અવકાશ, સંગીત, સમન્વય
8 comments
પ્રિય મિત્રો,
સાત મહિનાના અંતરાલ પછી મારા બ્લોગની વાપસીને આપ સૌનો મીઠો આવકાર મળ્યો છે એના માટે આપ સૌનો આભારી છું.
ગયા વિકએન્ડમાં (ઓગસ્ટ ૨૭/૨૮) અમારા વિસ્તારમાં હરિકેન આઈરીને હાહાકાર મચાવ્યો હતો. ૮૫ માઈલ કરતાં પણ વધારે ઝડપથી ફૂંકાતા પવન સાથે વરસાદની હેલી. જોકે હવામાન ખાતાએ અઠવાડિયા પહેલાથી ચેતવણી આપવાની શરૂ કરી હતી. જોકે હું જ્યાં રહું છું ત્યાં પૂર કે રેલ આવે એવી શક્યતા ઓછી એટલે ખાસ ચિંતા હતી નહીં. પણ એક વાતની ચિંતા હતી કે વિદ્યુત વ્યવસ્થા ખોરવાઈ જશે. સામાન્ય રીતે અહીં અમેરિકામાં વીજળી ૨૪/૭ હોય જ છે. ભાગ્યેજ કોઈ વખત એકાદ-બે મિનિટ માટે બંધ થાય. અને એમજ થયું (શનિવારની રાત્રે) રવિવારની વહેલી સવારે ૧૨:૩૦ વાગે વીજળીએ વિદાય લીધી તો છેક રવિવારે બપોરે ૩:૧૫ વાગે પાછી ફરી. ખેર બહુ લાંબી વાત કરતો નથી. આના હેવાલ ટીવી અને વર્તમાનપત્રમાં વાંચ્યા જ હશે.
ભારતીય પંચાંગ પ્રમાણે અષાઢ પૂરો થઈ ગયો, શ્રાવણ પૂરો થવાની તૈયારી અને ભાદરવાનો આરંભ એવો આ સમય અને વરસાદ. ઊની ઊની રોટલી અને કારેલાંનું શાક કે પછી ગરમા-ગરમ ભજિયાં અચૂક યાદ આવે અને માણીએ પણ ખરા. અને જો આ મહિનાઓમાં વરસાદ ના આવે તો ક્યાંક કોઈ પ્રેયસી ચાતક નજરે પ્રિયતમની પ્રતીક્ષા કરતી ઘરના પ્રાંગણમાં બેઠી બેઠી વિરહની વેદના નીતરતું કોઈ ગીત ગણગણતી હોય અને આંખથી અશ્રુ સ્ખલિત થઈ સુકા આંગણ પર પડતાં જ બાષ્પ થઈ ઉડી જતું કલ્પી કંઈ કેટલાય સાહિત્યકારો પોતાની નવલકથામાં એકાદ-બે પ્રકરણ ઉમેરી દે. તો કોઈ કવિ વેદના ચીરતું ગીત લખી નાખે. આવા જ કંઈક વિચારોને રજૂ કરતું કંઈક બ્લોગ પર આપ સૌ સાથે વહેંચવું હતું. ત્યાં જ ગઈકાલે પાલનપુરના મારા મિત્ર (અને આપના પણ હશે) શ્રી. નરેન્દ્રભાઈ જગતાપે આવા મિજાજનું એક લયબધ્ધ ગીત એમના બ્લોગ પર મૂક્યું “કેમ કરી ભીંજાવું”. એટલે એમના પડોશ કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશનું એક ખૂબજ સુંદર ગીત અને એટલીજ સુંદર સ્વરરચના આપ મિત્રો સાથે વહેંચવાની ઇચ્છા ને કારણ મળી ગયું. આશા છે આપ સૌને ગમશે.
શબ્દ – કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશ.
સ્વર અને સ્વરકાર – શ્રી.નયનેશ જાની
પ્રાપ્તિસ્થાન – સમન્વય ગુજરાત સમાચાર આયોજિત કાર્યક્રમની સીડી.
હેજી એવાં કોરાં રે અષાઢ!
હેજી એવાં કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હોજી
હેજી એવાં મેહુલિયા વરસેને હૈયાં કોરાં હોજી
અમને હાંભરે મેળા ને હાંભરે ફરતા ચકડોળ
મેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર હેજી
તમે દૂર રે દેશાવર નથી કાંઈ ઓરાં હોજી…..
ચિતડાંના ચાતક કેરી પાંખ્યું રે કરમાતી
કૂણાં રે કાળજડાં કકડે આંખ્યું રાતી રાતી
હેજી એવાં યાદ્યું લઈને આવે તારલાના ટોળાં હોજી….
થનગનતા ઘોડલે પહોંચું હું પળવારે
જીવડો ના જંપે બેઠી પાદરને પગથારે
હેજી મારો નાવલિયો વરસે જેમ ઘનઘોરાં હોજી……
કવિશ્રી. શિવરાજ અવકાશ, કલોલ.
મારો જન્મ દિવસ – મા, મારી! August 30, 2011
Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.Tags: કવિતા, જગદીશ ક્રિશ્ચિયન, મારી કવિતા, Jagadish Christian
28 comments
પ્રિય મિત્રો,
વિસ્મય પામ્યા! લગભગ સાત મહિનાના અંતરાલ પછી આજે ગુજરાતી બ્લોગની દુનિયામાં પાછો પ્રવેશ કરતાં ઉલ્લાસ સાથે થોડો ક્ષોભ અને વ્યાકુળતા પણ છે. પણ અપેક્ષા છે કે ફરી પાછો પહેલાં જેવોજ આવકાર મળશે. આજે મારો જન્મ દિવસ છે. જન્મની વાત સાથે મા અચૂક જોડાયેલી છે. મા (સ્ત્રી) વગર જન્મ તો શક્ય જ નથી. પ્રભુ પરમેશ્વર માટે પણ એ અશક્ય છે. પરમપિતાએ પવિત્ર મારિયાના કૂખે પ્રભુ ઈસુનો જન્મ કરાવ્યો, તો ભગવાન કૃષ્ણ પણ દેવકીના ખોળે જન્મ્યા. તો પ્રભુ પુરુષોત્તમ રામ પણ કૌશલ્યાની ઉદરે જન્મ્યા. અને આપણો સંબંધ મા સાથે આપણા જન્મ પૂર્વે જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારથી બંધાય જાય છે. આ દુનિયામાં આપણું આગમન એકમાત્ર માના આધારે અને સહારે થાય છે. સ્ત્રી માટે કહેવાય છે કે તે પોતાના દેખાવ માટે ઘણી સચેત હોય છે. જો ગાલ પર એકાદ નાનો ખીલ (પિમ્પલ) થયો હોય તો નવરાત્રિના ગરબામાં પણ જવાનું ટાળે. અને સગર્ભા થયા પછી નવ નવ માસ સુધી બેડોળ બનેલ શરીર લઈને એ જ સ્ત્રી બધે ફરે છે. અને પ્રસવ વખતની પીડા જોઈને ચોક્કસપણે કહી શકાય કે આ કામ પુરુષ કરી જ ના શકે. હવે આ વાત એટલે કહી શકું છું કે મારા પુત્રના જન્મ પૂર્વે જ્યારે હોસ્પિટલમાં ગયા તો એક વ્યક્તિને જોડે જવાની રજા આપી તો મેં મારી મમ્મીને જવા વિનંતી કરી તો ત્યાંના કર્મચારીએ કહ્યું ફક્ત પતિ સાથે જઈ શકે છે બીજું કોઈ નહીં. એટલે ફરજિયાત મારે જવું પડ્યું અને એ પ્રસવની પીડાનો સાક્ષાત્કાર થયો.
આજના મારા જન્મ દિવસમાં પહેલી વખત મારી મમ્મીની ગેરહાજરી છે. ૧૯૯૫માં સ્ટ્રોકના હુમલામાં મારી મમ્મીનું જમણું અંગ લકવા મારી ગયું. જાન્યુઆરીની ૨૧ તારીખે એને બીજો સ્ટોકનો હુમલો આવ્યો અને બ્રેઈન હેમોરેજ થઈ ગયું. ડોક્ટરોએ જવાબ આપી દીધો પણ અમારી વિનંતી પછી થોડી સારવાર ચાલુ કરી. એક મહિનો કોમામાં રહ્યા પછી ધીરે ધીરે ભાન આવવા માંડ્યું અને આંખ-હાથથી વાત અને વહાલ કરવાનું શરૂ કર્યું. પ્રભુનો ચમત્કાર વધાવી અમે તો આનંદી ગયા. પણ આ આનંદ મે મહિનાની ૩૧ તારીખે સવારે સાડા છ વાગે પ્રભુમાં પોઢી ગયો.
આજે આ બ્લોગમાં પુનરાગમન ટાણે મારી જન્મદાતા મમ્મીને યાદ કરી થોડા શબ્દો અને લાગણીના તાણાવાણા વણવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે જે મારી વ્યક્તિગત અભિવ્યક્તિ છે. જાત સાથે થોડા ડિબેટ (ચર્ચા) પછી આપની સમક્ષ રજૂ કરું છું. આશા છે કે તમને ગમશે. એક વાતનો એકરાર કરું કે બ્લોગ પર લખવાનું બંધ થયું હતું પણ વારંવાર મુલાકાત લેતો હતો પણ અભિપ્રાય આપવાથી અલિપ્ત રહ્યો હતો એના માટે ક્ષમા યાચું છું.
મા, મારી!
પતિને અવગણી
બચ્ચીથી બચકારી
છાતીથી ચાંપી
રાખ્યો, ખબર નથી!
ઘરનો મોટો બની
નાનાને જોયા પછી
પ્રશ્ન કે શું એ સાચી?
છે, પણ ખબર નથી
બાપાએ ધમકાવ્યો
ના એણે બચાવ્યો
પછીથી પંપાળ્યો
કાં, આજેય ખબર નથી!
પ્રાર્થના અને પ્રભુ
ઓળખ કરાવી, ભજુ
રસોઈ બનાવું શીખું
કારણ ખબર નથી!
પ્રભુ છે કહ્યું સાચવશે
તો તારી શું જરૂર હશે?
આધાર તો તારોજ હશે
શાને? ખબર નથી!
પ્રભુને તો જોયો નથી
તું જ હતી બસ તું હતી
તારી મમતા તારી હતી
પ્રભુને શું ખબર નથી?
જો તને ખબર હોય તો હવે એને સાચવવાની જવાબદારી તારી છે!
અમે અમારી જવાબદારી પૂરી કરી ચૂક્યા છે. પ્રભુ જવાબદારી તારી છે.
જગદીશ ક્રિશ્ચિયન – ઓગસ્ટ ૨૦૧૧
અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 9, 2010
Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.Tags: કવિતા, ક્લેરા-જગદીશના દાંપત્યજીવનની રજતજયંતિ, ગઝલ, જગદીશ ક્રિશ્ચિયન, હશે!, Clera-Jagadish's 25 wedding anniversary, ghazal, Jagadish Christian, kavita
43 comments
આજે નવેમ્બરની ૯ તારીખે અમારા લગ્ન જીવનના ૨૫ વરસ પૂરાં થયાં. છેલ્લાં ૨૫ વરસ હસતાં-રડતાં, રિસાતાં-મનાવતાં, ગુસ્સે થતાં-માફી માગતાં, એકબીજાને વેઠતાં-વેઠાવતાં વીતી ગયાં. ક્યારેક આ જંજાળમાં ક્યાં ફસાયા એવું લાગે પણ મોટા ભાગના સમયે એક અનેરા આનંદનો અનુભવ થયો છે. દાંપત્ય સંબંધ જાળવવા માટે એકબીજાની માન-મર્યાદા, બાંધ-છોડ અને સમાધાનની સમજણ એ ખૂબ જરૂરી છે. અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વચ્ચેનું સમતોલન જાળવવું એ અત્યંત આવશ્યક છે. અને જે આ પ્રમાણે જાળવી નથી શકતા એમના સંબંધમાં તિરાડ પડી જાય છે. અને આ તિરાડ બાળકોના જન્મ પશ્ચાત્ પણ યથાવત્ રહે છે અને પરિણામે છૂટા થતા હોય છે. પ્રેમ-લગ્ન નિષ્ફળ જતા હોય છે તો કેટલાય લગ્ન પછી પ્રેમ પ્રગટાવતા હોય છે. આજકાલ લગ્ન-વિચ્છેદના ઘણા કિસ્સા જોવા મળે છે. તો ઘણા ધાર્મિક કે કાયદેસર રીતે લગ્ન બંધનમાં જોડાયા સિવાય વૈવાહિક જીવનના લાભ લેતા હોય છે. તો ઘણા સમલિંગી સંબંધોને લગ્નનું સ્વરૂપ આપવાની લડાઈ લઈને બેઠાં છે. ઈશ્વરે આદમ અને હવા બનાવ્યા અને આ સંસારની શરૂઆત થઈ એવું કહેવાય છે. એ જ ઈશ્વરને આપણે બનાવતા થઈ ગયા છીએ. આ કથાવસ્તુને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આશા છે તમને ગમશે.
દીવો રે પ્રગટાવો… October 31, 2010
Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.Tags: કવિતા, જગદીશ ક્રિશ્ચિયન, દીવો રે પ્રગટાવો, મારી કવિતા, Jagadish Christian, kavita
16 comments
હમણાં દશેરા (વિજ્યાદશમી) ઊજવાઈ ગઈ અને થોડા દિવસ પછી દિવાળી ઊજવાશે. દર મહિને ઇઝલીનમાં આવેલા ગુજરાત-દર્પણના કાર્યાલય માં સાહિત્ય-સભાનું આયોજન થાય છે. ૧૬ ઑક્ટોબરના રોજની સાહિત્ય-સભામાં દિવાળી વિષય પર ગદ્ય કે પદ્ય રચના રજૂ કરવી એવું નક્કી કર્યું હતું ત્યારે મેં નીચેનું કાવ્ય રજૂ કર્યું હતું. આશા છે કે તમને ગમશે. આ દુનિયામાંથી આતંક અને વેરભાવથી ફેલાયેલો અંધકાર દૂર થાય અને શાંતિનો પ્રકાશ પ્રજ્વળે એવી પ્રભુને પ્રાર્થના.
દીવો રે પ્રગટાવો…
પાપી રાવણ હણાયો
વિજય રામને વર્યો
સીતાનો છુટકારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો
રાજાનો તાજ ધર્યો
સિંહાસન વિરાજ્યો
પૂરો વનવાસ વારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો
સૂણી ધોબીની વાતો
સતી સીતાને જાકારો
કેવો ભરથાર સહારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો
રામરાજ્યનો નારો
બધે હિંસાનો ધખારો
લાખો રાવણ વધારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો
અંધારું દૂર કરો
આતમ શુદ્ધ કરો
જગે પ્રકાશ ફેલાવો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો
– જગદીશ ક્રિશ્ચિયન ઑક્ટોબર ૨૦૧૦
આવું તારી કને! October 3, 2010
Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.Tags: કવિતા, જગદીશ ક્રિશ્ચિયન, મારી કવિતા, Jagadish Christian, kavita
12 comments
આવું તારી કને!
પારદર્શી પહેરણમાંથી
ગંજી પર પડેલા
તારા હાથના થાપા
શોધું છું!
મળતા નથી.
તારી જેમ એ પણ
અદૃશ્ય?
યાદ છે,
અવકાશ છે,
કૅન્વાસ છે,
છબી નથી બનતી!
ધૂંધળું કેમ દેખાય છે?
ચશ્મા ફરી ફરી સાફ કર્યા!
બારીમાંથી ચકલી આવી ફરર…
ઉપર જોયું તો ગાલ ભીના થયા.
આંખ સાફ કરી,
રૂમાલના ખૂણે નામ શોધ્યું,
તારા હાથે
ભરત ભરેલું,
મળ્યું નહીં!
ચાલ હું જ આવું છું,
તારી કને.
– જગદીશ ક્રિશ્ચિયન – સપ્ટેમ્બર ૨૦૧૦
હમણાં ઓગસ્ટની ૨૯ તારીખે એક કાર્યક્રમમાં હાજર રહેલો ત્યાં અનાથ બાળકો માટે દાન માટે એક ઘોષણા કરવામાં આવી. આ બાળકોની માતાનું અવસાન થયું અને બીજાજ દિવસે એમના પતિનું પણ અવસાન થયું. ત્યારથી પતિ-પત્નીના પ્રેમ અને એમાંથી એકની વિદાય અને પછીનો ખાલિપો આ બધા વિચાર મનમાં ઘોળાતા હતા. તો એ વિષય પર લખવાનો વિચાર આવ્યો. ત્યાં જ સપ્ટેમ્બરની પહેલી તારીખે મારા કાકાની દીકરીનો ૪૫ વરસનો દીકરો જે પોતે પણ બે દીકરાનો બાપ એ ભારે હ્રદયરોગના હુમલાનો ભોગ બન્યો અને બચી ન શક્યો. આ આઘાતની કળ વળી ત્યાં જ સપ્ટેમ્બરની ૨૯ તારીખે મારી પત્નીની નાની બહેનના ૨૪ વરસના એકના એક દીકરાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. વિચારો બદલાતા રહ્યા પણ વિષય પકડીને ઉપર પ્રમાણેની આ કવિતા લખાઈ ગઈ.
આઉટસોર્સિંગ – સમસ્યા, સગવડીયું સમાધાન કે ઘરનાં છોકરાં ઘંટી ચાટે…. September 15, 2010
Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.Tags: આઉટસોર્સિંગ, એચ-૧, જગદીશ ક્રિશ્ચિયન, H-1 Visa, Jagadish Christian, NBC, Outsourced, Outsourcing
7 comments
છેલ્લા ત્રણ વરસથી અમેરિકાની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હોવાના કારણે વાણિજ્ય-વ્યવહારને માઠી અસર થઈ છે અને એના પરિણામે ઘણા લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. આખું આર્થિક માળખું કકડભૂસ થઈને પડી ભાગ્યું છે. શૅરબજાર અને બેંકને આર્થિક મંદીમાંથી ઉગારવા સરકારે અબજો ડોલરની લોન-સહાય આપી છતાં રોજગારની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જણાતો નથી. મોંઘવારીએ માઝા મૂકી છે, સ્થાવર મિલકતોનું મૂલ્ય સરેરાશ ૩૦% જેટલું ઓછું થઈ ગયું છે. કેટલાય લોકોએ જીવનભર કામ કરી નિવૃત્તિ માટે સાચવેલી ૪૦૧(કે) ની બચત રાતોરાત ગુમ થઈ ગઈ કે વેતરાઈને અડધી કરતાં ય ઓછી થઈ ગઈ. કેટલાય લોકો મોર્ગેજના હપતા ભરવા અશક્તિમાન હોવાના કારણે પોતાના નિવાસસ્થાન ગુમાવી રહ્યા છે. યુદ્ધના ખર્ચ અને આતંકવાદ સામે લડવા માટેના ખર્ચને પહોંચી વળવા માટે ટેક્ષમાં વધારો થઈ રહ્યો છે અને સેવાઓ છિનવાઈ રહી છે કે તેમાં કાપ મૂકાયો છે. હોસ્પિટલ, સ્કૂલ બંધ થવા લાગ્યાં છે. સરકારી સેવાઓમાં કાપ મૂકાવા માંડ્યો છે. બસ, રેલવે, હવાઈ વગેરે સેવાઓમાં ભાડા વધારા સાથે કાપ મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ આર્થિક વિટંબણાથી કાયમી છુટકારો મેળવવા પોતાના કુટુંબની હત્યા કરી આત્મહત્યા કરનારા નાસીપાસ લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. શેરબજારના કેટલાય કૌભાંડોનો ભાંડો ફૂટી ગયો છે. કેટકેટલી બેંક અને સંસ્થાને તાળા લાગી ગયાં છે. અને આ આર્થિક સંકટના ભરડામાં પૈસાદારથી માંડી સામાન્ય કક્ષાના લોકો પાયમાલ થઈ ગયા છે.
છતાં અમેરિકા આવનાર બિનકાયદેસર વસાહતીઓની ઘૂસણખોરી યથાવત્ ચાલુ જ છે. બેરોજગારીના કારણે બિનકાયદેસર વસ્તુઓની હેરાફેરી વધી રહી છે. આ ઘૂસણખોરી અટકાવવા અમેરિકાની સરહદને વધુ મજબૂત બનાવવા માટે ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં ન હોવાના કારણે તથા બેરોજગારીના ભરડામાં અટવાયેલા અમેરિકાના નાગરિકો પર બોજો ન પડે એટલે બીજો કોઈ રસ્તો શોધવો પડ્યો. એચ-૧ વિઝાની ફી વધારો કરી એની જોગવાઈ કરી નાખી. એક કાંકરે બે પક્ષી માર્યા. જે લોકોને અમેરિકા રહેવું જ છે અને આવવું જ છે એ વધારે ફી આપે અથવા નોકરી છોડી પાછાં પોતાના વતન જઈને એ નોકરી બેરોજગાર અમેરિકન માટે ખાલી કરે. અને નવા આવનારા ન આવે તો બેરોજગાર અમેરિકનોને નોકરી મળવાનું શક્ય બને. પણ સવાલ એ છે કે જો અમેરિકામાં કુશળ અને યોગ્ય તાલીમ મેળવેલા કામ કરનારા ઉપલબ્ધ હોય તો શા માટે એચ-૧ વિઝા હેઠળ બહારથી લાવવા પડે? કારણ કે અમેરિકામાં કુશળ કારીગરોની અછત છે અને જેટલા છે તેઓ જે વેતન મેળવવા માગે છે એનાથી ઓછા વેતનમાં એચ-૧ વાળા મળી રહે છે. તો આ ફી વધારાથી અમેરિકાની બેરોજગારીનો પ્રશ્ન તો હતો ત્યાં જ રહે છે પણ સરહદ સાચવવાના વધારાના ખર્ચને પહોંચી વળાશે.
બેરોજગારીને કારણે આ દેશમાંથી બીજા દેશોમાં ઠલવાતી રોજગારની તકો (outsourcing) ને લઈને વિવાદ ઊભો થયો છે. ઘણી બધી કંપનીઓ ઓછા ખર્ચમાં પોતાનાં કામ કરાવી પોતાના નફામાં વધારો કરી એક્ઝેક્યુટીવના ગજવા ભરવા માટે બીજા દેશોમાં પોતાના કામનું આઉટસોર્સિંગ કરે છે. ખર્ચ ઓછો થાય છે પણ તેમની સેવા કે વસ્તુની કિંમતમાં ઘટાડાની જગ્યાએ વધારો જ થતો હોય છે. આઉટસોર્સિંગથી બેરોજગારી સિવાય બીજો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે તે ગુણવત્તા. ખાસ કરીને કોલ-સેન્ટર ના ભાષા ઉચ્ચારણના કારણે ક્યારેક ગેરસમજ કે ગૂંચવણ ઊભી થતી હોવાનો અને જરૂર કરતાં વધારે સમય લેવાતો હોવાની ફરિયાદ થતી હોય છે. અમેરિકાના ઓહાયો રાજ્ય સરકારે તાજેતરમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે. બીજા રાજ્યો પણ આવા કાયદાની જોગવાઈ કરે તો નવાઈ નહીં.
વિશ્વભરમાં આ આર્થિક મંદીની અસર ઓછા-વધતા પ્રમાણે થઈ છે છતાં બીજા દેશની સરખામણીમાં ઇન્ડિયાને આ મંદીની અસર બહુ ઓછી થઈ છે. એચ-૧ વિઝા પર બીજા દેશોની સરખામણીમાં ઇન્ડિયન લોકો વધારે લાભ મેળવી શક્યા છે. એ જ રીતે આઉટસોર્સિંગમાં પણ બીજા દેશોની સરખામણીમાં ઇન્ડિયાને પ્રાધાન્ય મળે છે. એટલે આ બંને મુદ્દા પર ઇન્ડિયનો અને ઇન્ડિયન સરકાર પણ ચિંતિત છે. ઇન્ડિયાના વિદેશપ્રધાન શ્રી. એસ. એમ. કૃષ્ણા અને વિદેશસચિવ નિરૂપમા રાવ સપ્ટેમ્બર ૨૦ થી શરૂ થતી સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દરમ્યાન અમેરિકાના ટોચના અધિકારીઓ સાથે બીજા વિષયો સાથે આ બે મુદ્દાની પણ ચર્ચા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજવાના છે એવા અહેવાલ છે. અને જ્યારે અમેરિકન પ્રૅસિડેન્ટ ઓબામા નવેમ્બરની નવમીથી ઇન્ડિયાની મુલાકાત લેશે ત્યારે પણ આ બે મુદ્દા પર વધારે વિચારવિમર્શ થશે.
આ આઉટસોર્સિંગ ફક્ત આર્થિક કે રોજગાર ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી રહ્યું. અમેરિકન ચેનલ એન.બી.સી. તરફથી એક હાસ્યપ્રધાન ટીવી શ્રેણી સપ્ટેમ્બરની ૨૩, રાત્રે ૯ (ઇસ્ટર્ન ટાઈમ) થી શરૂ થાય છે જેનું નામ છે “OUTSOURCED”. આ શ્રેણીમાં ભારતીય ઉચ્ચારણના કારણે જન્મતા હાસ્ય અને બે દેશ વચ્ચેના કલ્ચર ક્લેશને વણી લેવામાં આવ્યો છે. સાથે સાથે અમેરિકન રોજગાર છિનવાઈ ગયાનો વ્યંગ પણ. હવે આ હાસ્ય અને કલ્ચર ક્લેશ ફક્ત મનોરંજનની સીમામાં રહે છે કે પછી કલ્ચર અને ક્રીચર પર કીચડ ઉછાળે છે એ તો આવતો સમય જ બતાવશે. આ શ્રેણી રમૂજી હશે કે અપમાનકારક? (બંને દેશ માટે). એક મઝાની વાત છે કે આ શ્રેણી આઉટસોર્સ્ડ ના મુખ્ય કલાકારો અમેરિકાના જ (મૂળ ભારતીય) છે. પણ એનું ઘણું બધું ફિલ્માંકન ઇન્ડિયામાં થયું છે. આ શ્રેણીનું પૂર્વદર્શન (preview) જુઓ.
આ શ્રેણી વિષે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
આ સંદર્ભે થોડા પ્રશ્નો:
અમેરિકાએ પોતાની આર્થિક સુધારણા માટે કેવાં પગલાં લેવા જોઈએ?
શું અમેરિકાએ એચ-૧ વિઝાધારકની ફીમાં ઘટાડો કરવો જોઈએ?
શું અમેરિકાએ અહીંના બેરોજગાર લોકોને મફતમાં કે ઓછા ખર્ચે તાલિમ આપી
એચ-૧ પર નિર્ભર રહેવાનું ટાળવું જોઈએ?
શું અમેરિકાએ એચ-૧ વિઝા સદંતર બંધ કરી દેવા જોઈએ?
શું અમેરિકાએ આઉટસોર્સિંગ પર પ્રતિબંધ લાદવો જોઈએ?
શું ઇન્ડિયાને કોઈ અધિકાર છે કે તે અમેરિકન કાયદા-વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરી શકે?
શું ઇન્ડિયાને અધિકાર છે કે તે અમેરિકાને એચ-૧ વિઝા ફીમાં ઘટાડા માટે દબાણ કરી શકે?
શું ઇન્ડિયાને અધિકાર છે કે તે અમેરિકાને આઉટસોર્સિંગ પર પ્રતિબંધ ન મૂકવા માટે દબાણ કરી શકે?
આ આઉટસોર્સ્ડ શ્રેણી જો ઇન્ડિયનોની મઝાક ઉડાવે અને અપમાનજનક રજૂઆત કરે તો શું આપણે વિરોધ કરવો જોઈએ? જો હા તો કેવી રીતે અને ના હોય તો કેમ નહીં?
ઉપરના પ્રશ્નો વિચાર માંગી લે છે. ઇન્ડિયાની બધી ભાષાના વર્તમાનપત્ર અને સામયિકમાં આ વિષય પર ઘણા લેખ અને ચર્ચાઓ થઈ છે. હવે હું તો ઇન્ડિયન મૂળનો અમેરિકન છું એટલે મારા માટે આ પરિસ્થિતિ catch 22 જેવી છે. આ વિષય પર ઘણા અમેરિકન બ્લોગરોએ તો ઘણું બધું લખ્યું છે એ લખાણ પરના ઘણા પ્રતિભાવ રમૂજી તો ઘણા અપમાનકારક છે. સમય મળે તો ગુગલ થકી વાંચી લેશો.તો આવો આ ચર્ચામાં ભાગ લો અને તમારા નિષ્પક્ષ પ્રતિભાવ જણાવો.
પુનર્જન્મ August 30, 2010
Posted by jagadishchristian in અવનવું, કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.Tags: 1955, August 30, કવિતા, ગઝલ, જગદીશ ક્રિશ્ચિયન, પુનર્જન્મ, મારી કવિતા, Jagadish Christian
24 comments
હમણાં જુલાઈમાં અમેરિકામાં ૨૫ વર્ષ પૂરાં થયાની (એક જીવન-મુકામ) વાત કરી હતી અને મારા અનુભવો અને અમેરિકાની જીવનશૈલી વિષે એક ગઝલ લખી હતી. ઘણાં મિત્રો અને શુભેચ્છકોએ અભિનંદન આપ્યા એ બધાંનો ખૂબ ખૂબ આભાર. આજે એક બીજા જીવન-મુકામની વાત કરવી છે. આજે ઓગસ્ટની ૩૦ તારીખ એટલે મારો જન્મદિવસ. હવે કેટલાં થયાં એની ગણતરી કરવા ન બેસતા. હું જ કહી દઉં, ૫૫ થયાં. ઈશ્વરની કૃપાથી શરીર તંદુરસ્ત છે અને સભાનતાપૂર્વક પ્રયત્ન પણ કરું છું કે તંદુરસ્ત રહું. શ્વેત થતા માથાના વાળ અને મૂછો કેમિકલના કમાલ થકી શ્યામ રાખી યુવાન દેખાવાનો ડોળ હજુ જાળવી રાખ્યો છે. આછાં થતા વાળને કારણે પડેલી ટાલને ઢાંકવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરતો રહું છું. ઇન્ડિયામાં હોત તો નિવૃત્ત થવાનો સમય થયો ગણાય પણ અહીં અમેરિકામાં તો ૬૮ વર્ષે નિવૃત્ત થવાનો નિયમ છે. અને છેલ્લા થોડા વર્ષોથી વયમર્યાદા ધીરે ધીરે વધારતા જાય છે એટલે કામ કરવાનું (વૈતરું કરવાનું) હજુ ચાલુ જ રહેશે (જીવનકાળ કે આયુષ્ય વધી રહ્યું છે ને?). વાનપ્રસ્થાશ્રમ તરફનું પ્રયાણ હવે કાલ્પનિક લાગે છે. જીવન જે દશામાં અને દિશામાં લઈ જાય એ તરફ પ્રમાણિકતાથી પ્રયાણ કરવું એજ હિતાવહ છે. આ પડાવ પર પહોંચ્યા પછી પાછળની કેટલીય એવી પરિસ્થિતિને કંઈક જુદી રીતે સંભાળી હોત તો સારું એવું લાગે, પણ ભૂતકાળને થોડો બદલી શકાય છે? જન્મદિવસ આવે એટલે પાછલાં વર્ષો અચૂક યાદ આવે અને એ બહુ જલદી વીતી ગયાનો અફસોસ થાય. અને ખાસ કરીને બચપણનો સમય તો બધાંને સાંભરે. ૫૫ વર્ષ પહેલાં બાળકનો જન્મ થાય અને અત્યારે બાળકનો જન્મ થાય તે બંને પરિસ્થિતિ વચ્ચે કેટલાય ફેરફાર થયા છે. કેટલાક સારા તો કેટલાક વણ-જોઇતા અને અજુગતા પણ છે. જો આજે આપણો પુનર્જન્મ થાય તો કેવી પરિસ્થિતિ હોય એને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આજે જન્મતા બાળકો શું નથી મેળવી શકતા એ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમને ગમશે.
પુનર્જન્મ!
આજ મારો પુનર્જન્મ થ્યો
આજ આનંદ ઘરમાં ભયો
ના સુયાણી, પડોશણ નથી
દાકતર ના સહારે થયો
ના કશો શોર, ઘોંઘાટ ના
નાદ થાળી તણો ના થયો
મા નથી પાસ પડખે હજી
દૂધ પીવા સમય છે થયો
બાટલીમાં અમૂલ પેય પણ
ધાવવાની અધૂરપ ધયો
કેશ લાંબા, હશે ચોટલો
કાપ આ જોઈ હબકી ગયો
મા તણી ગોદ મળશે હતું
પારણે ગોઠવાઈ ગયો
બાપની ગોદ ભીંજાય પણ
સામનો ડાયપરથી થયો
ખોદતાં ભોંયને નખ વતી
મારબલ ફર્શ લસરી ગયો
ભીંતને ખોતરી ચાટવા
ના મળે ચૂનો, એ કાં ગયો
બાપ ઑફિસ જતા છે ખબર
મા ગઈ, તો અચંબી ગયો
આ સજા સમય “જગદીશ” છે
આજ મારો પુનર્જન્મ થ્યો
– જગદીશ ક્રિશ્ચિયન ઓગસ્ટ ૨૦૧૦
છંદ વિધાન: ગાલગા ગાલગા ગાલગા
પુનર્જન્મ પર શ્રી. સૂફી પરમારની સુંદર ગઝલ
આજે અમેરિકામાં ૨૫ વરસ પૂરાં થયાં July 15, 2010
Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.Tags: અમરિકામાં, અમેરિકા, કવિતા, ગઝલ, જગદીશ ક્રિશ્ચિયન, ghazal, Jagadish Christian, kavita
35 comments
આજે જુલાઈની ૧૫ તારીખ એટલે મને અમેરિકા આવ્યાના ૨૫ વરસ પૂરાં થયાનો દિવસ. પોતાનો દેશ છોડી અમેરિકાને કર્મભૂમિ બનાવી અમેરિકન નાગરિકત્વ મેળવીને સ્થાયી થયાનો રંજ સાથે આનંદ છે. કેટલું ગુમાવ્યું તો કંઈ કેટલુંય મેળવ્યું. અલગ સમાજ વ્યવસ્થાને આધીન રહી ગળથૂથીની સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી સમતોલન કેળવવાના કપરાં પ્રયત્નો. ભાષા અને ઉચ્ચારણને આત્મસાત્ કરવાની તનતોડ કોશિશ અને આત્મસંતોષ મેળવ્યા પછી અહીં જન્મેલા પુત્ર-પુત્રીઓની ઉચ્ચારણ શુધ્ધીની ટકોર. પણ એજ અહીં જન્મેલા બાળકોને ગુજરાતી બોલતા રાખ્યાનું ગૌરવ. ઇટાલિયન બેકરીના ચીકણા વાસણ ધોવાથી માંડી ન્યૂઝસ્ટેન્ડ પર નોકરી અને કારખાનાની કપરી કામગીરી પછી કન્ટ્રોલરની ખુરશી સુધીનો પરિશ્રમ અને પરિણામ. વૈવાહિક જીવનના મૂળભૂત પ્રશ્નો ઉપરાંત અમેરિકન જીવનશૈલીથી ઉમેરો થતા પ્રશ્નોને વેઠી, સમજી અને ઉકેલવાની કસોટી. બાળકોના યોગ્ય ઉછેરના પડકાર. ભાઈબહેન પોતપોતાના પરિવાર સાથે રહેવા છતાં સંયુક્ત કુટુંબની ભાવના, પ્રેમ અને લાગણીની જાળવણી. નવા મિત્રો અને જુના સંબંધોનો સમન્વય. ભાડાના મકાનથી પોતાનું ઘર હોવાનો પરિતોષ. કેટલીક ટેવ-કુટેવમાંથી મુક્તિ મળી તો નવી ટેવ-કુટેવનો પગપેસારો. ટેલિવિઝન અને ઈન્ટરનેટના માધ્યમે એવો અટવાવી દીધો કે વાંચવાનું અને એમાંય ખાસ કરીને ગુજરાતી ઓછું થતું ગયું. છત્રીસની છાતીની જગ્યાએ કમર મેદાન મારી ગઈ. જીવનનિર્વાહની વિટંબણા અને કૌટુંબિક જવાબદારીએ શોખને ક્યારે અભરાઈ ઉપર ચડાવી દીધા એ ખ્યાલ પણ ન રહ્યો. ક્યારેક અતીતને વાગોળી લીધો તો ક્યારેક અભરાઈ ઉપરથી ઉતારી ધૂળ ખંખેરી પાછાં મૂકી દીધા. દીકરો મોટો થયો એટલે થોડી હળવાશ અને નવરાશ મળી તો પાછું લખવાનું-વાંચવાનું ચાલું થયું. નિષ્ફળતાને નિસરણી બનાવી સફળતા સુધી પહોંચવાનો શ્રમ. માતૃભાષાનું અવિરતપણે ખેડાણ કરવાની ખેવના. દરેક દિશા તરફ પ્રયાણ અને દરેક દશાનો સામનો કરવાનો નિર્ધાર.
પણ ઉપર જણાવેલી બધીજ દિશા અને દશા માતૃભૂમિ હોય કે પરદેશ અત્ર તત્ર સર્વત્ર લગભગ સરખી જ હોય છે. કોઈ જગ્યાએ એક પરિસ્થિતિ થોડી હળવાશ કે સરળતાથી ઉદભવે અને બીજે… પણ જીવનનો એક સીધો સાદો નિયમ દુનિયાના બધા ખૂણે, બધી દિશાએ, બધી દશામાં, બધી ભાષામાં એક જ છે. સપનાં જોઈને એને પૂરા કરવા સીધા રસ્તે ઈશ્વર પર સઘળી શ્રદ્ધા સાથે સંપૂર્ણ પ્રમાણિક પ્રયત્નપૂર્વક બીજાને નડ્યા વગર ચાલ્યા કરવું અને મંજિલ સુધી પહોંચી જ જવાશે. પહોંચ્યા પછી સંતોષ ન થાય તો વાંક આપણો પોતાનો છે. આપણે સપના જોવા અને મંજિલને પહોંચવાના પ્રવાસ દરમ્યાન કશુંક ચૂકી ગયા છીએ કે આડરસ્તો લીધો અને ભટકી ગયા અને મોડા પહોંચ્યા કે બીજાને નડવા માટે એટલો સમય અને શક્તિ બગાડ્યા કે પછી મોડા પડ્યા કે આગળ વધવા માટે તાકાત બચી નહીં.
ખેર! આ જીવનનો ક્રમ છે અને બધા એમાંથી પસાર થતા હોય છે. અમેરિકામાં આપણા લોકો કેવી રીતે રહે છે અને કેવાં ફેરફાર થતા હોય છે એને એક ગઝલ સ્વરૂપ આપ્યું છે. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવાની જરૂર નથી. કોઈની લાગણી દુભાવવાનો જરાય આશય નથી. જે હકીકત છે એને રજૂ કરવાનો પ્રામાણિક પ્રયાસ છે.
અમેરિકન દેશી!
દેશ છોડી પાર ખેડી સાત સાગર અમરિકામાં
રૂપિયા ઓગણપચાનો એક ડોલર અમરિકામાં
હાઇ બોલી હાય ડોલર એ જ ઈશ્વર અમરિકામાં
સેલ હો તો લે ખરીદી બસ ભરે ઘર અમરિકામાં
શ્યામ બનતો સેમ તો પ્રદીપ પીટર અમરિકામાં
પાઉન્ડ નહિ ગ્રામ બનતું યાર્ડ મીટર અમરિકામાં
જોબ જેવી તે પ્રમાણે રંગ કૉલર અમરિકામાં
ખુદ કરે છે કામ ખુદનાં, ના જ નોકર અમરિકામાં
ખુદ ચલાવે, સાફ કરતા જાત મોટર અમરિકામાં
વેડફે ના રાખવા આનોય શોફર અમરિકામાં
નામ તો ગાંધી રટે પણ સ્ટોર લીકર અમરિકામાં
ભાલ પર તો છે તિલક, શોપ કિંગબર્ગર અમરિકામાં
માલિકી મોટલ છતાં ખુદ બેડમેકર અમરિકામાં
શાકભાજી ઘેર વાવે, બહુ કરકસર અમરિકામાં
લો દફન સૌ છે ઘરેણાં બેંક લોકર અમરિકામાં
છોકરાંઓ કેડ છોડી શયન સ્ટ્રોલર અમરિકામાં
ના નદી ના વાવ, મિનરલ હોય વોટર અમરિકામાં
સોમરસનું પાન કાળી જોન વોકર અમરિકામાં
રોટલી ને શાક ભેગાં નામ રૅપર અમરિકામાં
પાંવ-ભાજી, ના વડા ના પાંવ, વ્હોપર અમરિકામાં
હાથથી ફુટબોલ પગની લાત સોકર અમરિકામાં
નામ તો પીચર અહીં કહેવાય બોલર અમરિકામાં
ભોગવે આઝાદી તો પણ ગાળ મોં ભર અમરિકામાં
ભાગ પાછો જા તજી આ દેશ ઠોકર અમરિકામાં
હાશ આ “જગદીશ” ખાઈ લાખ ઠોકર અમરિકામાં
આજ ખુશ તો છે બની ગૂર્જર બ્લોગર અમરિકામાં
– જગદિશ ક્રિશ્ચિયન જૂન ૨૦૧૦
છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
આ રજત જયંતિ ઉજવણી ઇન્ડિયાની મુલાકાત વગર પૂરી ન થાય. તો જુલાઈની ૨૨ તારીખે હું મારી પત્ની ક્લેરા અને પુત્ર રૉડની સાથે બસ દસ દિવસ માટે ઇન્ડિયાની મુલાકતે જઈએ છીએ. ૨૪ જુલાઈથી ૨૯ જુલાઈ હું નડિયાદ ખાતે રહેવાનો છું. જુલાઈ ૩૦ થી ઓગસ્ટ ૩ સુધી ચેનાઈ (મદ્રાસ) રહેવાનો છું. આ મુલાકાત દરમ્યાન કોઈપણ ગુજરાતી બ્લોગરની મુલાકાત શક્ય બને તો આનંદ થશે.