jump to navigation

હિન્દ-રતન નો ખિતાબ શ્રી. કેતન ક્રિશ્ચિયનને (મારો નાનો ભાઈ) January 16, 2012

Posted by jagadishchristian in અવનવું, કવિતા, કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
47 comments

એનઆરઆઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી હિન્દ-રતન એવોર્ડ ૨૦૧૨ મેળવતો મારો નાનો ભાઈ કેતન ક્રિશ્રિયન.

કેતન ક્રિશ્ચિયન મારો નાનો ભાઈ બહુમુખી પ્રતિભા ધરાવે છે અને એના કાજે આનંદ સાથે હંમેશા ગૌરવ અનુભવ્યું છે. એને એનઆરાઅઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી હિન્દ-રતન નો ખિતાબ મળી રહ્યો છે ત્યારે ગર્વથી છાતી ગજ ગજ ફુલે છે. એને બાળપણથી કવિતા અને કથનીનો શોખ. પીજના નવાસવા એકમાત્ર દુરદર્શન પર એના લખેલા ગ્રામ્યલક્ષી નાટકો પ્રસારિત થતા હતા. એની કવિતાઓ મેગેઝિનમાં છપાતી હતી.

આજે એની કવિ પ્રતિભાનો પુરાવો આપવાનો આ એક મોકો લઉ છું. આ કવિતાને વાંચો અને સાંભળો પણ ખરા. આ કવિતાનો સંગીત-સંકેત રોબિનસન રાઠોડનો  છે અને જેનું સ્વરાંકન, સ્વર-નિયોજન અને સ્વર આપ્યો છે પ્રતિભાશાળી દેશના નિખિલ ભાવસારે.

હળવેથી!

હળવેથી કોણ ભરી દે મારાં સૂના નયનોને સાવ સુંવાળા સ્વપ્નોથી?

કોણ હસી દે સાવ કોમળ કોમળ મારાં શુષ્ક મુખેથી?

આવેગોની આ ઊંચી-નીચી અણધારી પાળેથી ઝૂકી ઝૂકીને

કોણ સ્પર્શી લે સાવ નજીક મારાં ધ્રૂજતા અંગોથી?

બેફામ બનીને ઉદ્ ભવતા ભાવોને પળમાં ચહેરે આમ મઢાવી

કોણ ચૂમી લે સાવ નશીલું મારા સળવળતા હોઠોથી?

આકાશની ઝૂકેલી છાયામાં સળવળતી લાખો આંખો માંહેથી

કોણ શ્વસી લે એકપ્રાણ બનીને મારા શ્વાસ-ઉચ્છવાસેથી?

ઊગી નીકળેલા ભીનાં રણનાં જોજન વચ્ચેથી

કોણ ઊગી લે ધબકાર થઈને મારા નાનાં હૈયેથી?

કવિ – કેતન ક્રિશ્ચિયન

સ્વરાંકન, સંગીત-નિયોજન અને સ્વર – દેશના નિખિલ ભાવસાર

મારા બ્લોગના વર્ષ ૨૦૧૦ ના લેખાં-જોખાં January 3, 2011

Posted by jagadishchristian in અવનવું, સમાચાર-હેવાલ, Uncategorized.
Tags: , , ,
3 comments

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

A Boeing 747-400 passenger jet can hold 416 passengers. This blog was viewed about 12,000 times in 2010. That’s about 29 full 747s.

In 2010, there were 34 new posts, growing the total archive of this blog to 66 posts. There were 52 pictures uploaded, taking up a total of 36mb. That’s about 4 pictures per month.

The busiest day of the year was November 9th with 293 views. The most popular post that day was અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ..

Where did they come from?

The top referring sites in 2010 were mail.yahoo.com, mail.live.com, mysite.verizon.net, gu.wordpress.com, and WordPress Dashboard.

Some visitors came searching, mostly for મહાત્મા ગાંધી, સત્યના પ્રયોગો, pointing finger, સ્કેટીંગ, and નકશા.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 2010
41 comments and 4 Likes on WordPress.com

2

મહાત્મા ગાંધી – સત્યના પ્રયોગો October 2009
4 comments

3

સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન – માર્ચ ૨૮, ૨૦૧૦. March 2010
43 comments

4

Renunciation of Indian Citizenship and Obtaining Surrender Certificate May 2010
1 comment

5

મારો પરિચય May 2009
31 comments

આઉટસોર્સિંગ – સમસ્યા, સગવડીયું સમાધાન કે ઘરનાં છોકરાં ઘંટી ચાટે…. September 15, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , ,
7 comments

છેલ્લા ત્રણ વરસથી અમેરિકાની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હોવાના કારણે વાણિજ્ય-વ્યવહારને માઠી અસર થઈ છે અને એના પરિણામે ઘણા લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. આખું આર્થિક માળખું કકડભૂસ થઈને પડી ભાગ્યું છે. શૅરબજાર અને બેંકને આર્થિક મંદીમાંથી ઉગારવા સરકારે અબજો ડોલરની લોન-સહાય આપી છતાં રોજગારની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જણાતો નથી. મોંઘવારીએ માઝા મૂકી છે, સ્થાવર મિલકતોનું મૂલ્ય સરેરાશ ૩૦% જેટલું ઓછું થઈ ગયું છે. કેટલાય લોકોએ જીવનભર કામ કરી નિવૃત્તિ માટે સાચવેલી ૪૦૧(કે) ની બચત રાતોરાત ગુમ થઈ ગઈ કે વેતરાઈને અડધી કરતાં ય ઓછી થઈ ગઈ. કેટલાય લોકો મોર્ગેજના હપતા ભરવા અશક્તિમાન હોવાના કારણે પોતાના નિવાસસ્થાન ગુમાવી રહ્યા છે. યુદ્ધના ખર્ચ અને આતંકવાદ સામે લડવા માટેના ખર્ચને પહોંચી વળવા માટે ટેક્ષમાં વધારો થઈ રહ્યો છે અને સેવાઓ છિનવાઈ રહી છે કે તેમાં કાપ મૂકાયો છે. હોસ્પિટલ, સ્કૂલ બંધ થવા લાગ્યાં છે. સરકારી સેવાઓમાં કાપ મૂકાવા માંડ્યો છે. બસ, રેલવે, હવાઈ વગેરે સેવાઓમાં ભાડા વધારા સાથે કાપ મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ આર્થિક વિટંબણાથી કાયમી છુટકારો મેળવવા પોતાના કુટુંબની હત્યા કરી આત્મહત્યા કરનારા નાસીપાસ લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. શેરબજારના કેટલાય કૌભાંડોનો ભાંડો ફૂટી ગયો છે. કેટકેટલી બેંક અને સંસ્થાને તાળા લાગી ગયાં છે. અને આ આર્થિક સંકટના ભરડામાં પૈસાદારથી માંડી સામાન્ય કક્ષાના લોકો પાયમાલ થઈ ગયા છે.

છતાં અમેરિકા આવનાર બિનકાયદેસર વસાહતીઓની ઘૂસણખોરી યથાવત્ ચાલુ જ છે. બેરોજગારીના કારણે બિનકાયદેસર વસ્તુઓની હેરાફેરી વધી રહી છે. આ ઘૂસણખોરી અટકાવવા અમેરિકાની સરહદને વધુ મજબૂત બનાવવા માટે ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં ન હોવાના કારણે તથા બેરોજગારીના ભરડામાં અટવાયેલા અમેરિકાના નાગરિકો પર બોજો ન પડે એટલે બીજો કોઈ રસ્તો શોધવો પડ્યો. એચ-૧ વિઝાની ફી વધારો કરી એની જોગવાઈ કરી નાખી. એક કાંકરે બે પક્ષી માર્યા. જે લોકોને અમેરિકા રહેવું જ છે અને આવવું જ છે એ વધારે ફી આપે અથવા નોકરી છોડી પાછાં પોતાના વતન જઈને એ નોકરી બેરોજગાર અમેરિકન માટે ખાલી કરે. અને નવા આવનારા ન આવે તો બેરોજગાર અમેરિકનોને નોકરી મળવાનું શક્ય બને. પણ સવાલ એ છે કે જો અમેરિકામાં કુશળ અને યોગ્ય તાલીમ મેળવેલા કામ કરનારા ઉપલબ્ધ હોય તો શા માટે એચ-૧ વિઝા હેઠળ બહારથી લાવવા પડે? કારણ કે અમેરિકામાં કુશળ કારીગરોની અછત છે અને જેટલા છે તેઓ જે વેતન મેળવવા માગે છે એનાથી ઓછા વેતનમાં એચ-૧ વાળા મળી રહે છે. તો આ ફી વધારાથી અમેરિકાની બેરોજગારીનો પ્રશ્ન તો હતો ત્યાં જ રહે છે પણ સરહદ સાચવવાના વધારાના ખર્ચને પહોંચી વળાશે.

બેરોજગારીને કારણે આ દેશમાંથી બીજા દેશોમાં ઠલવાતી રોજગારની તકો (outsourcing) ને લઈને વિવાદ ઊભો થયો છે. ઘણી બધી કંપનીઓ ઓછા ખર્ચમાં પોતાનાં કામ કરાવી પોતાના નફામાં વધારો કરી એક્ઝેક્યુટીવના ગજવા ભરવા માટે બીજા દેશોમાં પોતાના કામનું આઉટસોર્સિંગ કરે છે. ખર્ચ ઓછો થાય છે પણ તેમની સેવા કે વસ્તુની કિંમતમાં ઘટાડાની જગ્યાએ વધારો જ થતો હોય છે. આઉટસોર્સિંગથી બેરોજગારી સિવાય બીજો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે તે ગુણવત્તા. ખાસ કરીને કોલ-સેન્ટર ના ભાષા ઉચ્ચારણના કારણે ક્યારેક ગેરસમજ કે ગૂંચવણ ઊભી થતી હોવાનો અને જરૂર કરતાં વધારે સમય લેવાતો હોવાની ફરિયાદ થતી હોય છે. અમેરિકાના ઓહાયો રાજ્ય સરકારે તાજેતરમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે. બીજા રાજ્યો પણ આવા કાયદાની જોગવાઈ કરે તો નવાઈ નહીં.        
વિશ્વભરમાં આ આર્થિક મંદીની અસર ઓછા-વધતા પ્રમાણે થઈ છે છતાં બીજા દેશની સરખામણીમાં ઇન્ડિયાને આ મંદીની અસર બહુ ઓછી થઈ છે. એચ-૧ વિઝા પર બીજા દેશોની સરખામણીમાં ઇન્ડિયન લોકો વધારે લાભ મેળવી શક્યા છે. એ જ રીતે આઉટસોર્સિંગમાં પણ બીજા દેશોની સરખામણીમાં ઇન્ડિયાને પ્રાધાન્ય મળે છે. એટલે આ બંને મુદ્દા પર ઇન્ડિયનો અને ઇન્ડિયન સરકાર પણ ચિંતિત છે. ઇન્ડિયાના વિદેશપ્રધાન શ્રી. એસ. એમ. કૃષ્ણા અને વિદેશસચિવ નિરૂપમા રાવ સપ્ટેમ્બર ૨૦ થી શરૂ થતી સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દરમ્યાન અમેરિકાના ટોચના અધિકારીઓ સાથે બીજા વિષયો સાથે આ બે મુદ્દાની પણ ચર્ચા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજવાના છે એવા અહેવાલ છે. અને જ્યારે અમેરિકન પ્રૅસિડેન્ટ ઓબામા નવેમ્બરની નવમીથી ઇન્ડિયાની મુલાકાત લેશે ત્યારે પણ આ બે મુદ્દા પર વધારે વિચારવિમર્શ થશે.

આ આઉટસોર્સિંગ ફક્ત આર્થિક કે રોજગાર ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી રહ્યું. અમેરિકન ચેનલ એન.બી.સી. તરફથી એક હાસ્યપ્રધાન ટીવી શ્રેણી સપ્ટેમ્બરની ૨૩, રાત્રે ૯ (ઇસ્ટર્ન ટાઈમ) થી શરૂ થાય છે જેનું નામ છે “OUTSOURCED”. આ શ્રેણીમાં ભારતીય ઉચ્ચારણના કારણે જન્મતા હાસ્ય અને બે દેશ વચ્ચેના કલ્ચર ક્લેશને વણી લેવામાં આવ્યો છે. સાથે સાથે અમેરિકન રોજગાર છિનવાઈ ગયાનો વ્યંગ પણ. હવે આ હાસ્ય અને કલ્ચર ક્લેશ ફક્ત મનોરંજનની સીમામાં રહે છે કે પછી કલ્ચર અને ક્રીચર પર કીચડ ઉછાળે છે એ તો આવતો સમય જ બતાવશે. આ શ્રેણી રમૂજી હશે કે અપમાનકારક? (બંને દેશ માટે). એક મઝાની વાત છે કે આ શ્રેણી આઉટસોર્સ્ડ ના મુખ્ય કલાકારો  અમેરિકાના જ (મૂળ ભારતીય) છે. પણ એનું ઘણું બધું ફિલ્માંકન ઇન્ડિયામાં થયું છે. આ શ્રેણીનું પૂર્વદર્શન (preview) જુઓ.

આ શ્રેણી વિષે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

આ સંદર્ભે થોડા પ્રશ્નો:

 અમેરિકાએ પોતાની આર્થિક સુધારણા માટે કેવાં પગલાં લેવા જોઈએ?
  શું અમેરિકાએ એચ-૧ વિઝાધારકની ફીમાં ઘટાડો કરવો જોઈએ?
 શું  અમેરિકાએ અહીંના બેરોજગાર લોકોને મફતમાં કે ઓછા ખર્ચે તાલિમ આપી
 એચ-૧ પર નિર્ભર રહેવાનું ટાળવું જોઈએ?
 શું અમેરિકાએ એચ-૧ વિઝા સદંતર બંધ કરી દેવા જોઈએ?
 શું અમેરિકાએ આઉટસોર્સિંગ પર પ્રતિબંધ લાદવો જોઈએ?
 શું ઇન્ડિયાને કોઈ અધિકાર છે કે તે અમેરિકન કાયદા-વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરી શકે?
 શું ઇન્ડિયાને અધિકાર છે કે તે અમેરિકાને એચ-૧ વિઝા ફીમાં ઘટાડા માટે દબાણ કરી શકે?
 શું ઇન્ડિયાને અધિકાર છે કે તે અમેરિકાને આઉટસોર્સિંગ પર પ્રતિબંધ ન મૂકવા માટે દબાણ કરી શકે?
 આ આઉટસોર્સ્ડ શ્રેણી જો ઇન્ડિયનોની મઝાક ઉડાવે અને અપમાનજનક રજૂઆત કરે તો શું આપણે વિરોધ કરવો જોઈએ? જો હા તો કેવી રીતે અને ના હોય તો કેમ નહીં?     

ઉપરના પ્રશ્નો વિચાર માંગી લે છે. ઇન્ડિયાની બધી ભાષાના વર્તમાનપત્ર અને સામયિકમાં આ વિષય પર ઘણા લેખ અને ચર્ચાઓ થઈ છે. હવે હું તો ઇન્ડિયન મૂળનો અમેરિકન છું એટલે મારા માટે આ પરિસ્થિતિ catch 22 જેવી છે. આ વિષય પર ઘણા અમેરિકન બ્લોગરોએ તો ઘણું બધું લખ્યું છે એ લખાણ પરના ઘણા પ્રતિભાવ રમૂજી તો ઘણા અપમાનકારક છે. સમય મળે તો ગુગલ થકી વાંચી લેશો.તો આવો આ ચર્ચામાં ભાગ લો અને તમારા નિષ્પક્ષ પ્રતિભાવ જણાવો.

ચાલો આપણા મલકમાં – સપ્ટેમ્બર ૧૦-૧૧ ૨૦૧૦ September 6, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , ,
2 comments

Friends of Gujarat present “Swarnim Gujarat” celebration – ચાલો આપણા મલકમાં

વધુ માહિતી માટે પિક્ચર પર ક્લિક કરો

પુનર્જન્મ August 30, 2010

Posted by jagadishchristian in અવનવું, કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , ,
24 comments

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

હમણાં જુલાઈમાં અમેરિકામાં ૨૫ વર્ષ પૂરાં થયાની (એક જીવન-મુકામ) વાત કરી હતી અને મારા અનુભવો અને અમેરિકાની જીવનશૈલી વિષે એક ગઝલ લખી હતી. ઘણાં મિત્રો અને શુભેચ્છકોએ અભિનંદન આપ્યા એ બધાંનો ખૂબ ખૂબ આભાર. આજે એક બીજા જીવન-મુકામની વાત કરવી છે. આજે ઓગસ્ટની ૩૦ તારીખ એટલે મારો જન્મદિવસ. હવે કેટલાં થયાં એની ગણતરી કરવા ન બેસતા. હું જ કહી દઉં, ૫૫ થયાં. ઈશ્વરની કૃપાથી શરીર તંદુરસ્ત છે અને સભાનતાપૂર્વક પ્રયત્ન પણ કરું છું કે તંદુરસ્ત રહું. શ્વેત થતા માથાના વાળ અને મૂછો કેમિકલના કમાલ થકી શ્યામ રાખી યુવાન દેખાવાનો ડોળ હજુ જાળવી રાખ્યો છે. આછાં થતા વાળને કારણે પડેલી ટાલને ઢાંકવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરતો રહું છું. ઇન્ડિયામાં હોત તો નિવૃત્ત થવાનો સમય થયો ગણાય પણ અહીં અમેરિકામાં તો ૬૮ વર્ષે નિવૃત્ત થવાનો નિયમ છે. અને છેલ્લા થોડા વર્ષોથી વયમર્યાદા ધીરે ધીરે વધારતા જાય છે એટલે કામ કરવાનું (વૈતરું કરવાનું) હજુ ચાલુ જ રહેશે (જીવનકાળ કે આયુષ્ય વધી રહ્યું છે ને?). વાનપ્રસ્થાશ્રમ તરફનું પ્રયાણ હવે કાલ્પનિક લાગે છે. જીવન જે દશામાં અને દિશામાં લઈ જાય એ તરફ પ્રમાણિકતાથી પ્રયાણ કરવું એજ હિતાવહ છે. આ પડાવ પર પહોંચ્યા પછી પાછળની કેટલીય એવી પરિસ્થિતિને કંઈક જુદી રીતે સંભાળી હોત તો સારું એવું લાગે, પણ ભૂતકાળને થોડો બદલી શકાય છે? જન્મદિવસ આવે એટલે પાછલાં વર્ષો અચૂક યાદ આવે અને એ બહુ જલદી વીતી ગયાનો અફસોસ થાય. અને ખાસ કરીને બચપણનો સમય તો બધાંને સાંભરે. ૫૫ વર્ષ પહેલાં બાળકનો જન્મ થાય અને અત્યારે બાળકનો જન્મ થાય તે બંને પરિસ્થિતિ વચ્ચે કેટલાય ફેરફાર થયા છે. કેટલાક સારા તો કેટલાક વણ-જોઇતા અને અજુગતા પણ છે. જો આજે આપણો પુનર્જન્મ થાય તો કેવી પરિસ્થિતિ હોય એને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આજે જન્મતા બાળકો શું નથી મેળવી શકતા એ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમને ગમશે.    

પુનર્જન્મ!

આજ મારો પુનર્જન્મ થ્યો
આજ આનંદ ઘરમાં ભયો

ના સુયાણી, પડોશણ નથી
દાકતર ના સહારે થયો

ના કશો શોર, ઘોંઘાટ ના
નાદ થાળી તણો ના થયો

મા નથી પાસ પડખે હજી
દૂધ પીવા સમય છે થયો

બાટલીમાં અમૂલ પેય પણ
ધાવવાની અધૂરપ ધયો

કેશ લાંબા, હશે ચોટલો
કાપ આ જોઈ હબકી ગયો

મા તણી ગોદ મળશે હતું
પારણે ગોઠવાઈ ગયો

બાપની ગોદ ભીંજાય પણ
સામનો ડાયપરથી થયો

ખોદતાં ભોંયને નખ વતી
મારબલ ફર્શ લસરી ગયો

ભીંતને ખોતરી ચાટવા
ના મળે ચૂનો, એ કાં ગયો

બાપ ઑફિસ જતા છે ખબર
મા ગઈ, તો અચંબી ગયો

આ સજા સમય “જગદીશ” છે
આજ મારો પુનર્જન્મ થ્યો

– જગદીશ ક્રિશ્ચિયન ઓગસ્ટ ૨૦૧૦
છંદ વિધાન: ગાલગા ગાલગા ગાલગા

પુનર્જન્મ પર શ્રી. સૂફી પરમારની સુંદર ગઝલ

 

મારા સાળાએ હમણાં જ મોકલેલ બર્થડે કાર્ડ-૨૦૧૦ નો જગદીશ

હમારા ભારત મહાન! May 23, 2010

Posted by jagadishchristian in અવનવું, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , ,
6 comments

હમણાં સાત-આઠ દિવસ પહેલાં ન્યુ યોર્કમાં આવેલી ઇન્ડિયન કોન્સુલેટની વેબસાઈટ પર ફ્લેશીંગ ન્યૂઝ આપ્યા હતા. અને એ ન્યૂઝના શબ્દો ભાષા વગેરે રોજ રોજ બદલાઈ રહ્યા છે.

આ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ સમાચાર વાંચીને હસવું ગુસ્સો કરવો દયા ખાવી કે તેમની સામે દાવો માંડવો દેખાવો કરવા એની ગડમથલમાં ઇન્ડિયન અમેરિકન લોકો છે. એમાં જણાવ્યું છે કે ઇન્ડિયન સિટિઝનશીપ એક્ટ ૧૯૫૫ પ્રમાણે બે દેશનું નગરીત્વ રાખવાની મનાઈ છે. અને બીજા દેશની નાગરીગતા મેળવ્યા પછી ઇન્ડિયન પાસપોર્ટ રાખવો કે એનો ઉપયોગ કરી પ્રવાસ કરવો એ ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ ૧૯૬૭ હેઠળ સજાપાત્ર ગુનો બને છે. એટલે હવે ઓરિજિનલ પાસપોર્ટ જમા કરાવી $175.00 ફી ભરી અને ત્રણ વરસ પહેલા સિટિઝન થયા હોય તો $250.00 અને તે પહેલા થયા હોય તો $625.00 પેનલ્ટી ભરી ઇન્ડિયન સિટિઝનશીપ છોડવાનું સર્ટીકિકેટ મેળવવું પડશે. અને એ સરેન્ડર સર્ટિફિકેટ વગર અમને અમારી માતૃભૂમી પર જવા માટે વિઝા આપવામાં નહીં આવે.

તો હવે પ્રશ્ન એ થાય છે કે શું ઇ ન્ડિયન ગવર્નમેન્ટ ૧૯૬૭ થી ૨૦૧૦ એટલે કે ૪૩ વરસથી ઉંઘતી હતી કે બસ પૈસા પડાવવનું કાવતરું છે.  

જે પણ વ્યક્તિ અમેરિકન સિટિઝન સ્વિકારે તેમને ઇન્ડિયાના વિઝા મેળવવા તેમનો ઇન્ડિયન પાસપોર્ટ ઇન્ડિયન કોન્સુલેટને આપવો પડે છે  જે

તે વિઝા સાથે સસ્નેહ પરત કરે છે. તો હવે આજે જે લોકો અમેરિકાના ૧૫ કે તેના કરતાં વધારે વરસથી અમેરિકન સિટિઝન બન્યા હોય અને એ લોકો પાસે હવે પછી પાસપોર્ટ પાછો માગે એ કેટલું યોગ્ય કહેવાય. અને જો ખોવાઈ ગયો હોય તો પોલિસ ફરિયાદ નોંધાવી એની કોપી અને નોટરાઈઝ્ડ એફિડેવિટ રજુ કરો અને ફી તથા પેનલ્ટી ભરો તોજ તમને સરેન્ડર સર્ટિફિકેટ મળે. ભલે એ ખોવાઈ ગયો પણ પાસપોર્ટનો નંબર તમને યાદ હોવો જોઈએ (૧૫-૨૦ વરસથી જેનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ ના કર્યો હોય અને ખોવાઈ ગયો હોય તો તે નંબર મેળવવો ક્યાંથી)

ઇન્ડિયન કોન્સુલેટ આ કાયદાનું પાલન કરવાનું ચૂકી ગઈ અને હવે મારી પાસે પૈસા માગે છે એમની ફરજ ના પાળવા માટે. આ તો ચોર કોટવાળને ડંડે એવી વાત થઈ.

અને આ ન્યૂઝની ભાષા અને શબ્દો વગેરે રોજ રોજ બદલાતા હોય છે. તો જ્યારે તમે કોઈ નિયમનું પાલન કરવાનું ૫૫ વરસ કે ૪૩ વરસ સુધી ચૂકી ગયા છો અને એ તમારી ભૂલ નથી પણ પાસપોર્ટ ધારણ કરનારની છે એ છાતી ઠોકી ઠોકીને બોલો છો તો કોઈ લાજ-શરમ છે કે નહીં.

બીજો એક પ્રશ્ન એ થાય છે કે અમેરિકન સિટિઝન થયા ઇન્ડિયન પાસપોર્ટ પર કેવી રીતે મુસાફરી કરી શકાય. અમેરિકન સિટિઝન બનતાં પહેલાં ગ્રીનકાર્ડ મળતું હોય છે. અને ઇન્ડિયન પાસ્પોર્ટ પર મુસાફરી કરીને પાછા અમેરિકન એરપોર્ટ પર ઉતરે ત્યારે ગ્રીનકાર્ડ રજૂ કરવું પડે અને એની ચકાસણી થતી હોય છે. જ્યારે સિટિઝનશીપ સ્વિકારતા હોઈએ છીએ ત્યારે ગ્રીનકાર્ડ પાછું લઈ લે છે અને અમેરિકન પાસપોર્ટ કઢાવવો પડે છે. એટલે અમેરિકન સિટિઝન બન્યા પછી પણ જો ઇન્ડિયન પાસપોર્ટ પર મુસાફરી કરી હોય તો જ્યારે પાછા અમેરિકા આવો ત્યારે ક્યાં તો અમેરિકન વિઝા ગ્રીન કાર્ડ અથવા અમેરિકન પાસપોર્ટ હોવો જરૂરી છે નહીં તો તમને બહાર નીકળવા ન દે.

દરેક પાસપોર્ટની મર્યાદા દસ વર્ષની હોય છે. અને દસ વર્ષ પછી એ પાસપોર્ટનો મુસાફરી માટે કે બીજા કોઈ કારણ માટે ઉપયોગ કરી શકાતો નથી.

અને જે વ્યક્તિ બીજા દેશની સિટિઝનશીપ સ્વિકાર્યા પછી પણ ઇન્ડિયન પાસપોર્ટ રીન્યુ કરાવી શકે તો એ ઇન્ડિયન ગવર્નમેન્ટની ગેરવવ્યસ્થા છે.  

ઇકોનોમિક ટાઇમ્સનો લેખ વાંચો.

ઇન્ડિયાવેસ્ટનો લેખ વાંચો.  

મજ્જાની લાઇફ – આરજે ધ્વનિત – રેડીઓ મિર્ચી March 7, 2010

Posted by jagadishchristian in અવનવું, કવિતા, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , ,
8 comments

હજુ હમણાં અમદાવાદે એના ૬૦૦ વરસની ઉજવણી કરી. ગઈકાલે મારા મિત્ર, સંગીતકાર જયેશ સરૈયા જે “સંગીત” સ્ટોરના માલિક પણ છે તેમના સ્ટોર પર ગયો તો તેમણે ધ્વનિતનું આલ્બમ “મજ્જાની લાઇફ” બતાવ્યું તો લઈ લીધું. ૨૦૦૮ માં “ચાલો ગુજરાત” દરમ્યાન પહેલી વખત એને સાંભળવાનો અને મળવાનો મોકો મળ્યો હતો. આ આલ્બમમાં અમદાવાદને લગતું એક ગીત છે તો અમદાવાદને જન્મદિવસની વધામણી માટે અહીં રજૂ કરું છું. ઓન લાઈન જઈ થોડી શોધખોળ કરી થોડી માહિતી મેળવી નીચે આપી છે.

દેશગુજરાત અને સંદેશના લેખમાંથી નીચેની માહિતી:

સપ્ટેમ્બરની પહેલી તારીખે પોતાના કર્ણપ્રિય અવાજથી ‘હેલ્લો અમદાવાદ’ કહીને લોકોને જગાડનાર આર.જે.ધ્વનિતે પોતાના અવાજમાં ગાયેલા આઠ ગીતો  ‘મજ્જાની લાઇફ’ શીર્ષકવાળા આલ્બમ સાથે રિલીઝ કર્યા છે. આ પ્રસંગ હોટેલ એપ્સિલોન ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના ખ્યાતનામ ગાયકો શ્યામલ મુનશી દેવાંગ પટેલ ઐશ્વર્યા મજમુદાર અને કવિ શ્રી. તુષાર શુક્લ ફોટોગ્રાફર સંજય વૈદ્ય વગેરે હાજર હતા. આ આલ્બમના ગીતો ચિરાગ ત્રિપાઠીએ લખ્યા છે જ્યારે સંગીત બાવીસ વરસના પાર્થ ઠક્કરે આપ્યું છે.

આ આલ્બમનું એક ગીત ‘પપ્પા તો ડ્યુડ છે.’ નવા જમાનાના ફાધરની વાત કરતું ફાસ્ટ બીટ ગીત છે. તો ‘પરી’ શીર્ષકવાળું સોફટ ગીત કોઈ અજાણી છતાંય સપનામાં આવતી છોકરી માટે ગવાયેલું ગીત છે. પહેલા પ્રેમની શીર્ષકવાળું ગીત ખરેખર પહેલા પ્રેમના રોમાંચ ને સંગીતમય છતાંય સરળ રીતે રજૂ કરે છે જ્યારે બાળપણની યાદો તાજી કરાવતું ગીત ‘ફૂલ-ટુ મસ્તી’ નવી દુનિયા સાથે દોડી રહેલા માણસને જરા થંભીને મસ્તીથી જીવી લેવા માટે અપીલ કરે છે. ઈશ્વર એક છે નો સંદેશ આપતું ‘હરિ ઓમ’ ગીત ઈશ્વર પ્રાર્થનાના બહાને પોતાનો અહં મોટો કરવાની પ્રવૃત્તિ પર હળવો કટાક્ષ કરી જાય છે જ્યારે ‘જિંદગી’ ગીત ખરેખર જિંદગી જીવવાની સાદી છતાંય અસરકારક ફિલોસોફી સમજાવે છે.

એલઆઈસીમાં કર્મચારી તરીકે પોતાની વ્યાવસાયિક કારકિર્દી શરૃ કરનાર ધ્વનિત, રેડીઓ મિર્ચી ૯૮.૩ એફ.એમ.નું આર.જે. હંટ જીતી અમદાવાદના શ્રોતાઓના હૃદયને જીતનારો રેડીઓ જોકી તો બની જ ગયો હતો પણ હવે તાજગીસભર સંગીતથી સજેલા આલ્બમ ‘મજ્જા ની લાઈફ’ના રિલીઝ સાથે આર.જે. ધ્વનિત ગાયક પણ બની ગયો  છે. તે કહે છે કે, ‘‘મજ્જાની લાઈફ આલ્બમ દ્વારા મારે શ્રોતાઓને એજ સંદેશ આપવો છે કે ગુજરાતી મ્યુઝિક એટલે ખાલી ગરબા અને ભજન એવું નથી. બીજી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા પણ આધુનિક પ્રકારનાં ગીતોનું સર્જન થઈ શકે તેવા હળવા અને ગમતાં શબ્દો આપવા સમર્થ છે.

યુટ્યુબ પરથી નીચેનો વિડીયો મળી ગયો તો થયું કે ખાલી ઓડીયો નથી મુકવી. તો માણો…

દેશી ટીવી ચેનલનો ત્રાસ! January 30, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
14 comments

દર સપ્તાહ એક પોસ્ટ મૂકવી એવો એક લક્ષ્ય રાખ્યો છે. આજે કોઈ ગઝલ કે વાર્તા મારા સંપાદન માટે તૈયાર નથી તો એક લેખ ઑગસ્ટ મહિનામાં તૈયાર કરેલો તે કોઈપણ કારણસહ પ્રકાશિત નથી કરી શક્યો તે આજે પ્રસ્તુત કરું છું.

દેશી ટીવી ચેનલનો ત્રાસ

પેટ ચોળીને પીડા વહોરી એ કહેવત એકદમ યથાયોગ્ય પુરવાર થઈ જ્યારે પૈસા ખરચીને દેશી ચેનલો લીધી. ડિશ નેટવર્કનું જોડાણ લેવાથી મહિને ૫૩ ડોલરમાં ૨૦૦ અમેરિકન ચેનલ જોવાનો લાવો મળે. આ ૨૦૦ ચેનલ ન્યૂઝ થી માંડીને વિવિધ વિષયને લગતી મનોરંજન સાથે માહિતી પીરસે છે. ખેલજગત, વિજ્ઞાન, આધ્યાત્મિક વગેરે જાત જાતની માહિતીની મોટા ભાગે જીવંત પ્રસારણ સાથે (ખાલી અમેરિકા સ્થિત નહીં પણ દુનિયાના કોઈ પણ ખૂણેથી) દરેક રસના દર્શકોને મનોરંજન સાથે જાણકારી, માહિતી, શિક્ષણ અને દેશ-વિદેશની વિવિધતાના રસદર્શન કરાવે છે. પણ મહિને ૬૦ ડોલર ખરચીને દેશી ચેનલ લેવી પડે છે.  (અત્યારે ૧૫ ચેનલ છે – દરેક ચેનલ બીજી ચેનલને વાંધો હોય, તકલીફ થાય, હરીફાઈ કરવી પડે એવા કોઈજ પ્રયત્ન અજાણે પણ કરતી નથી. અને બધી ચેનલ સાથે મળી કેવી રીતે કેટલા ડોલર એકઠા કરવા એના માટે એકમત થઈ આ વિષય વગરની વાત કરવામાં રસ લેતા જ નથી. કારણ એ સિવાયની વાત આવે તો હરીફાઈ આવે અને હરીફાઈ આવે તો મહેનત કરવી પડે, ખર્ચ કરવો પડે વગેરે વગેરે). સૌ પ્રથમ તો આ દેશી ચેનલ લેવાથી ખોટો ખર્ચ થાય છે. ઘરમાં જો એક કરતાં ઓછાં ટેલિવિઝન હોય તો બિનજરૂરી ઝગડાનું કારણ બને છે. બાળકો અને પતિને બલિદાનમૂર્તિ સ્વરૂપ સ્ત્રીના માટે બલિદાન આપવાની અનોખી પરિસ્થિતિ પેદા કરે છે. અરે આ તો ટીવી સિરિયલનો નવો સબ્જેક્ટ થઈ ગયો! હવે આ દેશી ચેનલમાં નામ એવાં લક્ષણ નથી હોતાં. હવે જો કોઈએ ડૉક્ટર થવું હોય અને મેડિકલ કૉલેજમાં જાય અને અને થિયોલોજીના ક્લાસ ફરજિયાત કરવા પડે તો! જો કોઈ સાહિત્યના રસને લઈ આર્ટ્સ કૉલેજમાં જાય અને ગણિતના ક્લાસ ફરજિયાત કરવા પડે તો! હેડલાઈન્સ ટુડે, આજતક કે સમય પર સવારે ૬-૮ વચ્ચે દુનિયામાં કોઈપણ સ્થળે તો શું પણ ભારતમાં કોઈ નવાજૂની થતી હોય તો એની પરવા કર્યા વગર આધ્યાત્મિક કાર્યક્રમ યથાવત્ ચાલતા હોય છે જે બાકીની ૧૩ ચેનલો બતાવતી જ હોય છે (જોકે દરેક ચેનલના પોત પોતાના સંતો અને સાધ્વીઓ હોય છે.) આનો મતલબ એ ન કરતા કે મને આધ્યાત્મિકતા સાથે વાંધો છે. મારા વખાણ નથી કરતો પણ માણસાઈ ન ચૂંકું એનું સતત ધ્યાન રાખું છું. પણ આજ ન્યૂઝ ચેનલો સંજય દત્ત ક્યારે જેલમાં પહોંચશે અને છૂટશે એનું જીવંત પ્રસારણ કરશે, અમિતાભ ક્યારે કયા મંદિરમાં પહોંચશે એનું જીવંત પ્રસારણ કરશે, બીજા બધા કાર્યક્રમને રદ કરીને. આધ્યાત્મિક હોય કે દેશજનના હિતમાં હોય એવા કોઈ પણ કાર્યક્રમને રદ કરી એમની ચેનલને મહત્તમ દર્શકો મળે એવા પ્રયોજન કરે છે. હમણાં એકાદ અઠવાડિયા પહેલાં હું ઑફિસમાંથી નીકળતો હતો અને એક ન્યૂઝફ્લેશ જોઈ કે હીન્દી મહાસાગરમાં આંદામાન નજીક ૭.૧ તીવ્રતા વાળો ધરતીકંપ થયો છે અને સુનામી થવાની શક્યતાની ચેતવણી જાહેર કરી છે. જેમાં ભારત સિવાયના નજીકના ઘણા દેશમાં નુકશાન થવાની ચેતવણી હતી. ઘરે પહોંચતા મને લગભગ કલાક જેવું થાય છે. ઘરે પહોંચી તરતજ મેં દેશી ન્યૂઝ ચેનલ ઑન કરી અને એક કલાક સુધી ત્રણ ચેનલને વારાફરતી બદલતો રહયો પણ એ બધા તો એમની સાથી-સખી-ભગિની ચેનલાના reality show (વાસ્તવિકતાનું પ્રદર્શન??) ના અંશ કે બોલિવુડની નવાજૂની બતાવવામાં મશગૂલ હતા. ઈશ્વરકૃપાથી બે કલાક પછી આ ચેતવણી રદ કરવામાં આવી હતી. (કદાચ મારી માન્યતા ખોટી પણ હોઈ શકે કે આ ચેનલોનું જીવંત પ્રસારણ થાય છે)

આ ત્રણ ન્યૂઝ ચેલનને છોડીને બાકીની ૧૩ ચેનલોમાંથી એક સંગીતની ચેનલ છે જે લગભગ ચોવીસ કલાક નવાં આધુનિક ગીતો બતાવે અને જુનાં ગીત હોય ખરાં પણ એ remix. બાકીની ૧૨ ચેનલ એજ જુના-પૂરાણા સાસુ-વહુ દેરાણી-જેઠાણી ના ઝગડા અને ઘરને નર્ક બનાવવાના પ્રપંચો વાળી ધારાવાહિક. પૈસાનો ભભકો આધુનિક સુવિધાનો વધુ પડતો દેખાવ સ્ત્રી-પાત્રની હીણ કક્ષાની વિલનગીરી વગેરે સમાજમાં જાગૃતિ ક્યાંથી લાવી શકે. સંયુક્ત કુટુંબની ભાવના ક્યાંય નજરે પડતી નથી. અને આપણી ભારતીય સ્ત્રીઓ (થોડા પુરુષો પણ ખરા) ટેલિવિઝનની આ ધારાવાહિક શ્રેણી જોવા માટે કલાકોના કલાક બગાડતા હોય છે. ભારતીય કલા, સંગીત, મૂલ્યો કે સૌજન્યને ઉજાગર કરે એવી ધારાવાહિક બનાવવી જોઈએ. અને આજ ચેનલો બે-પાંચ વર્ષ જુની મૂવિ બતાવે જે લગભગ આ બારે બાર ચેનલ પર લગભગ દર અઠવાડિયે બતાવતા હોવા છતાં એની જાહેરાત કરે તો જણાવે કે only on this channel. આ ચેનલો પર ક્યારેય ગઝલનો, કાવ્યપઠનનો, મુશાયરાનો, ખેલ-કૂદનો કે શૈક્ષણિક કોઈજ કાર્યક્રમ આવતા નથી. ZEE TV વાળાઓએ હદ કરી જ્યારે તેમણે ICL શરૂ કર્યા પહેલાં અમેરિકામાં ZEE SPORTS (વળી પાછી અલગ પૈસા ખરચીને લેવાની) ચેનલ શરૂ કરી એવી જાહેરાત સાથે કે હવે અમેરિકાસ્થિત ક્રિકેટપ્રેમીઓને ક્રિકેટથી વંચિત નહીં રહેવું પડે. બિલકુલ જૂઠ.

આ દેશમાં દરેક ચેનલ એમના કાર્યક્રમ દરમ્યાન એક કે બે મિનિટની કમર્શિયલ મૂકતા હોય છે. આપણી દેશી ચેનલ ૧૫-૨૦ મિનિટ સુધી કમર્શિયલ મૂકતા હોય છે અને એકજ જાહેરાત એક કરતા વધારે વખત ફરી ફરી બતાવીને કાર્યક્રમ જોવાની મઝા તો બગાડે છે પણ કિંમતી સમય બરબાદ પણ કરે છે. એ જાહેરાત આપનારા અને ચેનલ વાળા એમ માનતા હોય કે એનાથી એ જાહેરાત કરનારી કંપનીને ફાયદો થશે તો એ માન્યતા ખોટી છે. હું તો આ જાહેરાતની એક પણ વસ્તુ જરૂર હોય અને કોઈ પર્યાય ન હોય તો પણ ન લેવાની તરફેણમાં છું. હમણાં ઓગસ્ટની ૧૬ તારીખે ન્યુ યોર્ક શહેરમાં ભારતીય સ્વતંત્રતા દિવસની પરેડનું જીવંત પ્રસારણ પહેલી વખત કરવામાં આવ્યું. એ પ્રસારણ એટલું નબળું અને અવ્યવસ્થિત હતું જે અપેક્ષાથી જોજન દૂર હતું. આ પ્રસારણમાં સંકળાયેલા લોકોએ આ દેશમાં યોજાતી કોઈ પણ પરેડના જીવંત પ્રસારણનો પૂર્વ અભ્યાસ કરવાની તસ્દી લીધી નથી એ ઊડીને આંખે દેખાતું હતું.

સેન્ટ મેરી સ્કૂલ મરિયમપુરા પેટલાદ – સુવર્ણજયંતી મહોત્સવ January 18, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
9 comments

૦૧/૧૭/૧૦: આજે સેન્ટ મેરી સ્કૂલ મરિયમપુરા, પેટલાદ નો સુવર્ણજયંતી મહોત્સવ રંગેચંગે પતી ગયો. આજે એ શાળાના સુવર્ણજયંતી પર્વે આનંદ અને આભારદર્શનની લાગણી થાય છે. સ્કૂલ, શિક્ષણ અને શિક્ષકો આપણને જીવનનું અણમોલ ભાથું પુરું પાડે છે. જીર્ણ થતી એ શાળાને સંભાળવાની અને મજબૂત બનાવવી એ આપણી ફરજ છે. આપણાથી થતું યથાયોગ્ય યોગદાન આપવું એ આવશ્યક છે.  

મેં ૧૯૬૯ માં સુણાવ વી. બી. મલ્ટીપર્પસ હાઈસ્કૂલમાંથી આઠમું પુરું કરીને મરિયમપુરાની સેન્ટ મેરી હાઈસ્કૂલમાં નવમું ધોરણ શરૂ કર્યું. ત્રણ વર્ષ આ સ્કૂલમાં ભણીને ૧૯૭૨ માં એસ.એસ.સી. પાસ કર્યું. ત્યાર પછી પણ ૧૯૭૯ સુધી અમે મરિયમપુરા જ રહ્યા હતા એટલે સ્કૂલ છોડ્યા છતાં રોજ એ સ્કૂલના પ્રાંગણમાં ફરવાનો લાહવો મળતો રહ્યો. જુના શિક્ષકો તથા નવા વિદ્યાર્થીઓને મળવાનો મોકો મળતો રહ્યો. આજે એ સ્કૂલના દિવસો તરફ પાછી નજર નાખતાં કંઈ કેટલાય ચહેરાઓ જે ધૂંધળા થઈ ગયેલા એ આંખો સમક્ષ સ્પષ્ટ થઈ રહ્યા છે. એ સમયની તારુણ્ય સભર નાદાનિયત, મસ્તી, અકારણ આકર્ષણ અને મુગ્ધાવસ્થા ભરી ગગનચુંબી અપેક્ષા પરથી વાસ્તવિકતાની સપાટી પરની પછડાટ. અને પછી મૂર્છામાંથી વાસ્તવિકતા સુધી પહોંચવાના ધાંધિયા પછી આજના સ્થિર અજવાળામાં કાલને જોવાનો રોમાંચ અદભૂત છે.  

સ્કૂલના મારા આ ત્રણ વર્ષ દરમ્યાનના શિક્ષકો અને સંચાલક:

સ્કૂલનો વિસ્તાર અને વિકાસના પ્રણેતા – ફાધર ગોરસ

અંગ્રેજી ફાધર જોન ઓલ્ફોન્સો, ફાધર વેલી પરેરા, ફાધર સર્જીઓ ડાયસ (આચાર્ય) 

ગુજરાતી જોન કાનિસ સાહેબ

હિન્દી દિનેશ પટેલ સાહેબ

સંસ્કૃત જાની સાહેબ 

ગણિત અને વિજ્ઞાન રાઠોડ સાહેબ

ઇતિહાસ ભૂગોળ માર્ટીન સાહેબ  

ચિત્રકામ જસવંત સાહેબ  

વ્યાયામ બળવંત સાહેબ 

વ્યવસ્થાપક ( Clerk) રમણ સાહેબ અને પીટરભાઈ  

અને છગનભાઈ અને એમના પત્ની દિવાળીબેન  

મારા બધા સહાધ્યાયીઓના નામ જણાવવાનું ટાળું છું. આજે પણ મારો જેમની સાથે સંપર્ક છે એમના નામ જણાવું છું. 

સિસ્ટર વર્ષા, આગ્નેસ (કેનેડા) લલિતા (અમદાવાદ) ફિલિપ (મરિયમપુરા) સેમ્યુલ (પેટલાદ) સિરીલ (અમેરિકા) જ્યોતિ (આણંદ)

આજના આ મહોત્સવમાં હાલ ભણતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો વગેરે મળીને ૩૦૦૦ કરતાં પણ મોટી સંખ્યમાં હાજર રહી પ્રસંગને ચાર ચાંદ લગાવી દીધા. આજના મહોત્સવને પેટલાદના ધારાસભ્ય શ્રી. નિરંજન પટેલના હસ્તે ખૂલ્લો મુક્યો હતો અને અમદાવાદ ધર્મપ્રાંતના પરમપૂજ્ય બિશપ થોમાસ મેકવાનના અધ્યક્ષપદે તથા ગુજરાત રાજ્યના માજી પ્રધાન શ્રી. સી. ડી. પટેલ અને આણંદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી. બી. કે પટેલ ના મુખ્ય મહેમાન પદે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બીજા ઘણા મહાનુભાવો હજર હતા અને બધાના નામ લખવાનું ટાળું છું પણ નીચેના પિક્ચરમાં જોઈને ઓળખી જજો.

આ પ્રસંગના પિક્ચર કનુભાઈ પરમાર તરફથી મળ્યા છે જે જોવા માટે અહીં ક્લિક કરો.

આ સ્કૂલનો એક વિડિયો યુટ્યુબ પરથી મળ્યો છે એ જોવા અહીં ક્લિક કરો. 

જુના સમયની યાદ જાગી છે તો મારા એ સ્કૂલ દરમ્યાનનું એક પિક્ચર (એ પણ ઘણું જુનું થઈ ગયું છે)     

 

 

 

“દૂત” શતાબ્દી મહોત્સવની શરૂઆત January 11, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
17 comments

દૂત માસિક સો વરસની લાંબી સફળ સફર પૂરી કરી રહ્યો છે. આ શતાબ્દી વર્ષના ઉજવણી ની શરૂઆત આજે અમદાવાદમાં એક સમારોહ દ્વારા કરવામાં આવી. દૂતના સો વરસના ઇતિહાસને વાચા આપતા પોસ્ટરો સાથે એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. ગુજરાતના ખૂણે ખૂણેથી લગભગ ૩૦૦૦ જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક આ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહના આયોજકો અને એમાં ભાગ લેનાર દરેક અભિનંદનના હકદાર છે. શરૂઆત શાનદાર થઈ છે અને આ વરસ દરમ્યાન અવનવા કાર્યક્રમ થતા રહેશે એવી અપેક્ષા અસ્થાને નહીં ગણાય. 

આ મેગેઝીનમાં જેમના લેખ અને કવિતા પ્રગટ થયા છે  એવા થોડા ખ્યાતનામ નામઃ

ફાધર વાલેસ – ખ્યાતનામ લેખક
જોસેફ મેકવાન – જાણીતા અને માનીતા નવલકથાકાર અને રેખાચિત્ર સર્જક
યોસેફ મેકવાન – જાણીતા કવિ
ફિલિપ ક્લાર્ક – જાણીતા કવિ અને દૂતના કવિતા વિભાગના સંપાદક
ફાધર વર્ગીસ પૉલ – જાણીતા લેખક – દૂતના ભૂતપૂર્વ તંત્રી

આ સમારોહના પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.   Provided by Kanubhai Parmar, Anand   

દૂત-પ્રદર્શન પિક્ચર જોવા માટે ઈશિતા જેકબના ફેસબૂક પેજની મુલાકાત લો. 

 “DOOT” CENTENARY CELEBRATIONS LAUNCHED– Fr. Cedric Prakash sj

Report of this event in Times of India

Report of this event in Indian Express