Y2K – 911 – નવા મિલેનિયમને મલિન કરતો ત્રાસવાદ. September 11, 2011
Posted by jagadishchristian in કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.Tags: 2001, 9-11, ત્રાસવાદ, Jagadish Christian, September 11, WTC, Yankee
2 comments
૧૯૯૮-૧૯૯૯ દરમ્યાન જ્યારે સહસ્ત્રાબ્દી (મિલેનિયમ) નો સમય નજીક આવતો હતો ત્યારે એક ભય અને ચિંતાનું વાતાવરણ ઊભું થયું હતું. યાદ છે ને તમને. અને ચિંતાનું કારણ હતું Y2K. આમ તો મુખ્ય ચિંતા કમ્પ્યુટરના પ્રોગ્રામીંગની હતી અને એને સંલગ્ન બધા આવિષ્કાર અને ઉપકરણની. બધા ચિંતિત હતા કે જ્યારે ૦૦ થશે ત્યારે આ બધા જ ઉપકરણો પોતાની ક્ષમતા ગુમાવી દેશે. અને આ બધાં જ ઉપકરણોનો ઉપયોગ આપણી રોજબરોજની જીંદગીમાં એટલો વણાઈ ગયેલ છે કે જો એ કામ કરતા બંધ થાય તો કેટલી તકલીફ ઊભી થઈ શકે એ તો કલ્પનાનો જ વિષય હતો. અને ૨૦૦૦ આવે તે પહેલાં દુનિયાના બધા જવાબદાર કાર્યકરોએ જરૂરી ફેરફાર કરી એ ભયને દૂર કર્યો. છતાં કેટલીય જગ્યાએ સમયાનુસાર ફેરફારના અભાવે થોડી મુશ્કેલીઓ થઈ પણ ખરી પણ એને પણ સુધારી લેવાઈ. આટલી મોટી આફતનો આપણે માનવજાત ભેગાં મળી એનો ઉપાય કરી શક્યા. કેટલા આનંદની વાત.
પણ આજ સમય દરમ્યાન શેતાની દિમાગ ધરાવતા મુઠ્ઠીભર લોકો દુનિયાને ત્રાસ આપવાનું ગોઠવી રહ્યા હતા. અને એમણે દિવસ નક્કી કર્યો સપ્ટેમ્બર ૧૧ ૨૦૦૧. જ્યારે આખી દુનિયા Y2K ના ભયમાંથી નીકળી આનંદોલ્લાસ કરી રહી હતી ત્યારે આ ટોળકી કાંઈક જુદું જ રાંધી રહી હતી. અને એમણે ત્રાસવાદી હુમલો કરીને સ્વતંત્રતા અને અમન-ચમન ને અસ્તવ્યસ્ત કરી નાંખી. આ ઘાના પ્રવિભાવ રૂપે જે પ્રતિક્રિયા અમેરિકા અને બીજા બધા દેશોએ આપી એનાથી આખા વિશ્વનું નાણાકીય તંત્ર ખોરવાઈ ગયું. બબ્બે યુદ્ધના ખર્ચ અને દેશની સુરક્ષા માટે વધારાનો ખર્ચ વગેરેના કારણે અમેરિકામાં મંદીના મોજાં ફરી વળ્યાં. AAA ક્રેડિટ ક્રમાંકથી પહેલી વખત નીચલા ક્રમાંકે જવું પડ્યું. દુનિયાના બીજા ઘણાં દેશોમાં પણ આ ત્રાસવાદી તત્વોએ નાના મોટા હુમલાઓ કરતા રહ્યા છે.
NEVER FORGET
સપ્ટેમ્બર ૧૧ ની યાદ થતાં આજે પણ હાથના રુવાડાં ઊભા થઈ જાય છે અને આંખમાં ભીનાશ અનુભવાય છે. એ ગોઝારા દિવસને યાદ કરતાં જનાબ ફરહત શેહનાઝની પ્રખ્યાત ગઝલનો મતલા યાદ આવે છે.
खुलेी जो आँख तो वो था ना वो जमाना था
दहेकतेी आग थेी तन्हाई थेी फसाना था
એ દિવસે ચાર વિમાન જે કેલિફોર્નિયા તરફ જવા રવાના થયા હતા પણ ન્યુ યોર્ક વોશિંગ્ટન ડીસી અને પેન્સિલવેનિયામાં ત્રાસવાદીઓએ આત્મઘાતી હુમલાઓમાં હોમી દીધા. એજ દિવસે સાંજે સાત વાગે ન્યુ યોર્કના યાન્કી સ્ટૅડિયમમાં રમાનારી ગેમની ચાર ટિકિટ મારી પાસે હતી જે વણ વપરાયેલ હજુ મારા સંગ્રહમાં છે. (જુઓ નીચે) અને આજે દસ વર્ષ પછી એજ સપ્ટેમ્બરની ૧૧ છે અને યાન્કી ન્યુ યોર્કથી દૂર કેલિફોર્નિયામાં આજની ગેમ રમશે. અને આજે ભારતીય ટીમ પણ ઈંગલેંડ સામે ચોથી વન ડે મેચ રમશે. અને બીજા દસ વર્ષ પછી નવા ટાવર ઊભા થઈ ગયા હશે અને આપણા બધાના સહયોગથી આ દુનિયાને ત્રાસવાદથી મુક્ત કરી શક્યા હોઈશું.