અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 9, 2010
Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.Tags: કવિતા, ક્લેરા-જગદીશના દાંપત્યજીવનની રજતજયંતિ, ગઝલ, જગદીશ ક્રિશ્ચિયન, હશે!, Clera-Jagadish's 25 wedding anniversary, ghazal, Jagadish Christian, kavita
43 comments
આજે નવેમ્બરની ૯ તારીખે અમારા લગ્ન જીવનના ૨૫ વરસ પૂરાં થયાં. છેલ્લાં ૨૫ વરસ હસતાં-રડતાં, રિસાતાં-મનાવતાં, ગુસ્સે થતાં-માફી માગતાં, એકબીજાને વેઠતાં-વેઠાવતાં વીતી ગયાં. ક્યારેક આ જંજાળમાં ક્યાં ફસાયા એવું લાગે પણ મોટા ભાગના સમયે એક અનેરા આનંદનો અનુભવ થયો છે. દાંપત્ય સંબંધ જાળવવા માટે એકબીજાની માન-મર્યાદા, બાંધ-છોડ અને સમાધાનની સમજણ એ ખૂબ જરૂરી છે. અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વચ્ચેનું સમતોલન જાળવવું એ અત્યંત આવશ્યક છે. અને જે આ પ્રમાણે જાળવી નથી શકતા એમના સંબંધમાં તિરાડ પડી જાય છે. અને આ તિરાડ બાળકોના જન્મ પશ્ચાત્ પણ યથાવત્ રહે છે અને પરિણામે છૂટા થતા હોય છે. પ્રેમ-લગ્ન નિષ્ફળ જતા હોય છે તો કેટલાય લગ્ન પછી પ્રેમ પ્રગટાવતા હોય છે. આજકાલ લગ્ન-વિચ્છેદના ઘણા કિસ્સા જોવા મળે છે. તો ઘણા ધાર્મિક કે કાયદેસર રીતે લગ્ન બંધનમાં જોડાયા સિવાય વૈવાહિક જીવનના લાભ લેતા હોય છે. તો ઘણા સમલિંગી સંબંધોને લગ્નનું સ્વરૂપ આપવાની લડાઈ લઈને બેઠાં છે. ઈશ્વરે આદમ અને હવા બનાવ્યા અને આ સંસારની શરૂઆત થઈ એવું કહેવાય છે. એ જ ઈશ્વરને આપણે બનાવતા થઈ ગયા છીએ. આ કથાવસ્તુને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આશા છે તમને ગમશે.