jump to navigation

અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 9, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , ,
43 comments

Clera & Jagadish getting married on Novermber 09 1985

આજે નવેમ્બરની ૯ તારીખે અમારા લગ્ન જીવનના ૨૫ વરસ પૂરાં થયાં. છેલ્લાં ૨૫ વરસ હસતાં-રડતાં, રિસાતાં-મનાવતાં, ગુસ્સે થતાં-માફી માગતાં, એકબીજાને વેઠતાં-વેઠાવતાં વીતી ગયાં. ક્યારેક આ જંજાળમાં ક્યાં ફસાયા એવું લાગે પણ મોટા ભાગના સમયે એક અનેરા આનંદનો અનુભવ થયો છે. દાંપત્ય સંબંધ જાળવવા માટે એકબીજાની માન-મર્યાદા, બાંધ-છોડ અને સમાધાનની સમજણ એ ખૂબ જરૂરી છે. અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વચ્ચેનું સમતોલન જાળવવું એ અત્યંત આવશ્યક છે. અને જે આ પ્રમાણે જાળવી નથી શકતા એમના સંબંધમાં તિરાડ પડી જાય છે. અને આ તિરાડ બાળકોના જન્મ પશ્ચાત્ પણ યથાવત્ રહે છે અને પરિણામે છૂટા થતા હોય છે. પ્રેમ-લગ્ન નિષ્ફળ જતા હોય છે તો કેટલાય લગ્ન પછી પ્રેમ પ્રગટાવતા હોય છે. આજકાલ લગ્ન-વિચ્છેદના ઘણા કિસ્સા જોવા મળે છે. તો ઘણા ધાર્મિક કે કાયદેસર રીતે લગ્ન બંધનમાં જોડાયા સિવાય વૈવાહિક જીવનના લાભ લેતા હોય છે. તો ઘણા સમલિંગી સંબંધોને લગ્નનું સ્વરૂપ આપવાની લડાઈ લઈને બેઠાં છે. ઈશ્વરે આદમ અને હવા બનાવ્યા અને આ સંસારની શરૂઆત થઈ એવું કહેવાય છે. એ જ ઈશ્વરને આપણે બનાવતા થઈ ગયા છીએ. આ કથાવસ્તુને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આશા છે તમને ગમશે. 

  

 

દીવો રે પ્રગટાવો… October 31, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , ,
16 comments

image from myorkutglitter.com

હમણાં દશેરા (વિજ્યાદશમી) ઊજવાઈ ગઈ અને થોડા દિવસ પછી દિવાળી ઊજવાશે. દર મહિને ઇઝલીનમાં આવેલા ગુજરાત-દર્પણના કાર્યાલય માં સાહિત્ય-સભાનું આયોજન થાય છે. ૧૬ ઑક્ટોબરના રોજની સાહિત્ય-સભામાં દિવાળી વિષય પર ગદ્ય કે પદ્ય રચના રજૂ કરવી એવું નક્કી કર્યું હતું ત્યારે મેં નીચેનું કાવ્ય રજૂ કર્યું હતું. આશા છે કે તમને ગમશે. આ દુનિયામાંથી આતંક અને વેરભાવથી ફેલાયેલો અંધકાર દૂર થાય અને શાંતિનો પ્રકાશ પ્રજ્વળે એવી પ્રભુને પ્રાર્થના.

દીવો રે પ્રગટાવો…

પાપી રાવણ હણાયો
વિજય રામને વર્યો
સીતાનો છુટકારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

રાજાનો તાજ ધર્યો
સિંહાસન વિરાજ્યો
પૂરો વનવાસ વારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

સૂણી ધોબીની વાતો
સતી સીતાને જાકારો
કેવો ભરથાર સહારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

રામરાજ્યનો નારો
બધે હિંસાનો ધખારો
લાખો રાવણ વધારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો 

અંધારું દૂર કરો
આતમ શુદ્ધ કરો
જગે પ્રકાશ ફેલાવો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો
– જગદીશ ક્રિશ્ચિયન ઑક્ટોબર ૨૦૧૦

આવું તારી કને! October 3, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , ,
12 comments

Image from web

આવું તારી કને!

પારદર્શી પહેરણમાંથી
ગંજી પર પડેલા
તારા હાથના થાપા
શોધું છું!
મળતા નથી.
તારી જેમ એ પણ
અદૃશ્ય?
યાદ છે,
અવકાશ છે,
કૅન્વાસ છે,
છબી નથી બનતી!
ધૂંધળું કેમ દેખાય છે?
ચશ્મા ફરી ફરી સાફ કર્યા!
બારીમાંથી ચકલી આવી ફરર…
ઉપર જોયું તો ગાલ ભીના થયા.
આંખ સાફ કરી,
રૂમાલના ખૂણે નામ શોધ્યું,
તારા હાથે
ભરત ભરેલું, 
મળ્યું નહીં!
ચાલ હું જ આવું છું,
તારી કને.
– જગદીશ ક્રિશ્ચિયન – સપ્ટેમ્બર ૨૦૧૦

હમણાં ઓગસ્ટની ૨૯ તારીખે એક કાર્યક્રમમાં હાજર રહેલો ત્યાં અનાથ બાળકો માટે દાન માટે એક ઘોષણા કરવામાં આવી. આ બાળકોની માતાનું અવસાન થયું અને બીજાજ દિવસે એમના પતિનું પણ અવસાન થયું. ત્યારથી પતિ-પત્નીના પ્રેમ અને એમાંથી એકની વિદાય અને પછીનો ખાલિપો આ બધા વિચાર મનમાં ઘોળાતા હતા. તો એ વિષય પર લખવાનો વિચાર આવ્યો.  ત્યાં જ સપ્ટેમ્બરની પહેલી તારીખે મારા કાકાની દીકરીનો ૪૫ વરસનો દીકરો જે પોતે પણ બે દીકરાનો બાપ એ ભારે હ્રદયરોગના હુમલાનો ભોગ બન્યો અને બચી ન શક્યો. આ આઘાતની કળ વળી ત્યાં જ સપ્ટેમ્બરની ૨૯ તારીખે મારી પત્નીની નાની બહેનના ૨૪ વરસના એકના એક દીકરાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું.  વિચારો બદલાતા રહ્યા પણ વિષય પકડીને ઉપર પ્રમાણેની આ કવિતા લખાઈ ગઈ.

આજે અમેરિકામાં ૨૫ વરસ પૂરાં થયાં July 15, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , ,
35 comments

Image from web

આજે જુલાઈની ૧૫ તારીખ એટલે મને અમેરિકા આવ્યાના ૨૫ વરસ પૂરાં થયાનો દિવસ. પોતાનો દેશ છોડી અમેરિકાને કર્મભૂમિ બનાવી અમેરિકન નાગરિકત્વ મેળવીને સ્થાયી થયાનો રંજ સાથે આનંદ છે. કેટલું ગુમાવ્યું તો કંઈ કેટલુંય મેળવ્યું. અલગ સમાજ વ્યવસ્થાને આધીન રહી ગળથૂથીની સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી સમતોલન કેળવવાના કપરાં પ્રયત્નો. ભાષા અને ઉચ્ચારણને આત્મસાત્ કરવાની તનતોડ કોશિશ અને આત્મસંતોષ મેળવ્યા પછી અહીં જન્મેલા પુત્ર-પુત્રીઓની ઉચ્ચારણ શુધ્ધીની ટકોર. પણ એજ અહીં જન્મેલા બાળકોને ગુજરાતી બોલતા રાખ્યાનું ગૌરવ. ઇટાલિયન બેકરીના ચીકણા વાસણ ધોવાથી માંડી ન્યૂઝસ્ટેન્ડ પર નોકરી અને કારખાનાની કપરી કામગીરી પછી કન્ટ્રોલરની ખુરશી સુધીનો પરિશ્રમ અને પરિણામ. વૈવાહિક જીવનના મૂળભૂત પ્રશ્નો ઉપરાંત અમેરિકન જીવનશૈલીથી ઉમેરો થતા પ્રશ્નોને વેઠી, સમજી અને ઉકેલવાની કસોટી. બાળકોના યોગ્ય ઉછેરના પડકાર. ભાઈબહેન પોતપોતાના પરિવાર સાથે રહેવા છતાં સંયુક્ત કુટુંબની ભાવના, પ્રેમ અને લાગણીની જાળવણી. નવા મિત્રો અને જુના સંબંધોનો સમન્વય. ભાડાના મકાનથી પોતાનું ઘર હોવાનો પરિતોષ. કેટલીક ટેવ-કુટેવમાંથી મુક્તિ મળી તો નવી ટેવ-કુટેવનો પગપેસારો. ટેલિવિઝન અને ઈન્ટરનેટના માધ્યમે એવો અટવાવી દીધો કે વાંચવાનું અને એમાંય ખાસ કરીને ગુજરાતી ઓછું થતું ગયું. છત્રીસની છાતીની જગ્યાએ કમર મેદાન મારી ગઈ. જીવનનિર્વાહની વિટંબણા અને કૌટુંબિક જવાબદારીએ શોખને ક્યારે અભરાઈ ઉપર ચડાવી દીધા એ ખ્યાલ પણ ન રહ્યો. ક્યારેક અતીતને વાગોળી લીધો તો ક્યારેક અભરાઈ ઉપરથી ઉતારી ધૂળ ખંખેરી પાછાં મૂકી દીધા. દીકરો મોટો થયો એટલે થોડી હળવાશ અને નવરાશ મળી તો પાછું લખવાનું-વાંચવાનું ચાલું થયું. નિષ્ફળતાને નિસરણી બનાવી સફળતા સુધી પહોંચવાનો શ્રમ. માતૃભાષાનું અવિરતપણે ખેડાણ કરવાની ખેવના. દરેક દિશા તરફ પ્રયાણ અને દરેક દશાનો સામનો કરવાનો નિર્ધાર.

પણ ઉપર જણાવેલી બધીજ દિશા અને દશા માતૃભૂમિ હોય કે પરદેશ અત્ર તત્ર સર્વત્ર લગભગ સરખી જ હોય છે. કોઈ જગ્યાએ એક પરિસ્થિતિ થોડી હળવાશ કે સરળતાથી ઉદભવે અને બીજે… પણ જીવનનો એક સીધો સાદો નિયમ દુનિયાના બધા ખૂણે, બધી દિશાએ, બધી દશામાં, બધી ભાષામાં એક જ છે. સપનાં જોઈને એને પૂરા કરવા સીધા રસ્તે ઈશ્વર પર સઘળી શ્રદ્ધા સાથે સંપૂર્ણ પ્રમાણિક પ્રયત્નપૂર્વક બીજાને નડ્યા વગર ચાલ્યા કરવું અને મંજિલ સુધી પહોંચી જ જવાશે. પહોંચ્યા પછી સંતોષ ન થાય તો વાંક આપણો પોતાનો છે. આપણે સપના જોવા અને મંજિલને પહોંચવાના પ્રવાસ દરમ્યાન કશુંક ચૂકી ગયા છીએ કે આડરસ્તો લીધો અને ભટકી ગયા અને મોડા પહોંચ્યા કે બીજાને નડવા માટે એટલો સમય અને શક્તિ બગાડ્યા કે પછી મોડા પડ્યા કે આગળ વધવા માટે તાકાત બચી નહીં.

ખેર! આ જીવનનો ક્રમ છે અને બધા એમાંથી પસાર થતા હોય છે. અમેરિકામાં આપણા લોકો કેવી રીતે રહે છે અને કેવાં ફેરફાર થતા હોય છે એને એક ગઝલ સ્વરૂપ આપ્યું છે. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવાની જરૂર નથી. કોઈની લાગણી દુભાવવાનો જરાય આશય નથી. જે હકીકત છે એને રજૂ કરવાનો પ્રામાણિક પ્રયાસ છે.

અમેરિકન દેશી!

દેશ છોડી પાર ખેડી સાત સાગર અમરિકામાં
રૂપિયા ઓગણપચાનો એક ડોલર અમરિકામાં

હાઇ બોલી હાય ડોલર એ જ ઈશ્વર અમરિકામાં
સેલ હો તો લે ખરીદી બસ ભરે ઘર અમરિકામાં

શ્યામ બનતો સેમ તો પ્રદીપ પીટર અમરિકામાં
પાઉન્ડ નહિ ગ્રામ બનતું યાર્ડ મીટર અમરિકામાં

જોબ જેવી તે પ્રમાણે રંગ કૉલર અમરિકામાં
ખુદ કરે છે કામ ખુદનાં, ના જ નોકર અમરિકામાં

ખુદ ચલાવે, સાફ કરતા જાત મોટર અમરિકામાં
વેડફે ના રાખવા આનોય શોફર અમરિકામાં

નામ તો ગાંધી રટે પણ સ્ટોર લીકર અમરિકામાં
ભાલ પર તો છે તિલક, શોપ કિંગબર્ગર અમરિકામાં

માલિકી મોટલ છતાં ખુદ બેડમેકર અમરિકામાં
શાકભાજી ઘેર વાવે, બહુ કરકસર અમરિકામાં

લો દફન સૌ છે ઘરેણાં બેંક લોકર અમરિકામાં
છોકરાંઓ કેડ છોડી શયન સ્ટ્રોલર અમરિકામાં

ના નદી ના વાવ, મિનરલ હોય વોટર અમરિકામાં
સોમરસનું પાન કાળી જોન વોકર અમરિકામાં

રોટલી ને શાક ભેગાં નામ રૅપર અમરિકામાં
પાંવ-ભાજી, ના વડા ના પાંવ, વ્હોપર અમરિકામાં

હાથથી ફુટબોલ પગની લાત સોકર અમરિકામાં
નામ તો પીચર અહીં કહેવાય બોલર અમરિકામાં

ભોગવે આઝાદી તો પણ ગાળ મોં ભર અમરિકામાં
ભાગ પાછો જા તજી આ દેશ ઠોકર અમરિકામાં

હાશ આ “જગદીશ” ખાઈ લાખ ઠોકર અમરિકામાં
આજ ખુશ તો છે બની ગૂર્જર બ્લોગર અમરિકામાં
– જગદિશ ક્રિશ્ચિયન જૂન ૨૦૧૦
છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

આ રજત જયંતિ ઉજવણી ઇન્ડિયાની મુલાકાત વગર પૂરી ન થાય. તો જુલાઈની ૨૨ તારીખે હું મારી પત્ની ક્લેરા અને પુત્ર રૉડની સાથે બસ દસ દિવસ માટે ઇન્ડિયાની મુલાકતે જઈએ છીએ. ૨૪ જુલાઈથી ૨૯ જુલાઈ હું નડિયાદ ખાતે રહેવાનો છું. જુલાઈ ૩૦ થી ઓગસ્ટ ૩ સુધી ચેનાઈ (મદ્રાસ) રહેવાનો છું. આ મુલાકાત દરમ્યાન કોઈપણ ગુજરાતી બ્લોગરની મુલાકાત શક્ય બને તો આનંદ થશે.  

Image from web

ન શોધ! June 21, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , ,
21 comments

Picture from web

ન શોધ!


આકાશનો છેડો ન શોધ
અવકાશનો ગાળો ન શોધ

પડકાર તો મળશે અનેક
કારણ તણો કેડો ન શોધ

નાકામ કે આંબી જવાય
મંઝિલ થકી તાળો ન શોધ

આભાસ તો રણમાં થશે જ
મૃગજળ તરસ રેલો ન શોધ

મોતી મળે સાગર તળે જ
કૂદી જ પડ આરો ન શોધ  

થંભી ગયું તોફાન, બાંધ
નોખો, જુનો માળો ન શોધ

“જગદીશ” ધોખા છે હમેશ
નવનીત તું નેડો ન શોધ 
– જગદીશ ક્રિશ્ચિયન – મે ૨૦૧૦
છંદ વિધાન – ગાગાલગા ગાગાલગા (લ)

સર્જકો સાથે સાંજ – ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા June 7, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, મારી કવિતા, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
21 comments
જગદીશ ક્રિશ્ચિયન શ્રી. ચિનુ મોદી સાથે

જગદીશ ક્રિશ્ચિયન શ્રી. ચિનુ મોદી સાથે

રવિવાર જૂનની ૬ તારીખે ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે “સર્જકો સાંજે સાંજ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રસિધ્ધ કવિ ગઝલકાર અને નાટ્યકાર શ્રી. ચિનુ મોદી “ઇર્શાદ” મુખ્ય અતિથિ તરીકે હાજર હતા અને તેમણે સ્થાનિક સર્જકોએ રજૂ કરેલી કૃતિઓની સમીક્ષા આપી હતી. કાર્યક્રમનું સંચાલન અમારા ન્યુ જર્સીના જાણીતા હાસ્યરસિક સાહિત્યકાર શ્રી. હરનિશ જાનીએ કર્યું હતું. કાર્યક્રમમાં બાર સ્થાનિક સર્જકોએ પોતાની ગદ્ય-પદ્ય રચનાઓ રજૂ કરી હતી. સૌથી પહેલાં મેં મારી એક ગઝલ રજૂ કરી હતી. બીજા સર્જકોમાં શ્રી. ચંદ્રકાંત દેસાઈ, ડૉક્ટર નીલેશ રાણા, શ્રી. વિરાફ કાપડિયા, મોના નાયક “ઊર્મિસાગર”, શ્રીમતી હંસા જાની, શ્રી. પવિણ પટેલ “શશી”, શ્રીમતી બિસ્મિલ મન્સુરી, શ્રી. રોહિત પંડ્યા, ચિરાગ પટેલ રચના ઉપાધ્યાય અને શ્રી. અશોક વિધવાંશ અને શ્રી. હરનિશ જાનીએ પોતાની રચનાઓ રજૂ કરી હતી.

શ્રી. ચિનુ મોદીની સૂચના પ્રમાણે મારી ગઝલ સુધારી છે તથા એક શેર પણ ઉમેર્યો છે. જે હાઈલાઈટ કરેલ છે. આ ગઝલ ડિસેમ્બરમાં આજ બ્લોગ પર મૂકી હતી.

હોય છે!

આંસુ હર્ષનું હોય કે દુઃખનું મારું જ હોય છે
સ્વાદ ચાખો કે ન ચાખો એ ખારું જ હોય છે

આભ આખું હો સફાચટ ને કોરી ધરા ય પણ
માવઠું આવે છતાં એ અણધારું જ હોય છે 

આંખને વળગણ, જુએ સોનેરી સોણલા ભલે
પૂર્ણ થાવું કે ન એ તો પરભારું જ હોય છે

રેલના પૈડાં ભલે બંને હો અલગ પાટ પર
ચાલવું કે દોડવું તો સહિયારું જ હોય છે

તેજ એ ભરપૂર આપે છે દીવો જગત ભરે
તોય એ દીવા તળે તો અંધારું જ હોય છે

આમ તો મિત્રો ઘણાં દુશ્મન પણ એટલા જ છે
આવશે જો મોત એ તો નોંધારું જ હોય છે

જીવતાં શાયદ મળે ના છો ‘જગદીશ’ નામના
કબર ને કબ્રસ્તાન શણગાર્યું સારું જ હોય છે
-જગદીશ ક્રિશ્ચિયન  જૂન ૦૭ ૨૦૧૦

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાગાગાલ ગાલગા

કાર્યક્રમના અંતે એકેડેમીના પ્રમુખ શ્રી. રામ ગઢવીએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના એક ભાગ તરીકે યોજાનાર એક કાર્યક્રમની જાહેરાત કરી હતી. પૂજ્ય શ્રી. મોરારી બાપુની સાત દિવસની કથા એડિસન ન્યુ જર્સી ખાતે આવેલા એક્ષ્પો સેંટરમાં યોજવામાં આવી છે. જુલાઈની ૩-૧૧ સુધી ચાલનાર આ કથા દરમ્યાન સાહિત્યિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

પથ્થર! May 16, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , ,
19 comments

Image from web

પથ્થર!

શેર માટી ની ખોટ ગામેગામ પૂજ્યા પથ્થર
ખીણ-ખડકો નાળાં-નદી પગથાર રોળ્યા પથ્થર

દોરધાગા તાવીજ મંદિર અર્જ મંતર જંતર
ટોપલાઓ શ્રીફળ તણા કેટલાય ફોડ્યા પથ્થર

સંત હઝરત મોઈનુદીનહસન સુફી અજમેરી 
ફૂલચાદર મન્નત ભરી પયગામ ઓઢ્યા પથ્થર

મુંબઈની લાંબી મજલ માઉન્ટ મેરી દેવળ
માથું ઢાળી બે પગ થકી ઘૂંટણિએ ટેક્યા પથ્થર

પાછલા અંધારા દિવસ, ના દીકરો દીવો બને
સાંભળો મમતાનો કરુણ ચિત્કાર પાક્યા પથ્થર

મોત પાછળનો આ જુઓ “જગદીશ” આડંબર તો
ફૂલમાળા તખતી કબર આરસ મઢાવ્યા પથ્થર

– જગદીશ ક્રિશ્ચિયન મે ૨૦૧૦
છંદ વિધાન – ગાલગાગા ગાગાલગા ગાગાલગા ગાગાગા

ખાસ નોંધ: ગયા રવિવારે અમેરિકા અને બીજા ઘણા દેશમાં માતૃદિનની ઉજવણી થઈ. ઘણા બધાએ માતાના વખાણ કરતાં કાવ્ય, ગઝલ કે લેખ લખ્યા. આનંદ થયો. પણ અહીં અમેરિકામાં ઘણાં એવા મા-બાપ છે જેમને તેમના દીકરાઓ (છોકરાઓ) બહુ સારી રીતે રાખતા નથી. તો એવી માતાની પીડાને વાચા આપતી આ ગઝલ લખી છે. આશા છે કે તમને ગમશે. તમારા મૂલ્યવાન અભિપ્રાય, સલાહ-સૂચન, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડશે. એક વાતનો અફસોસ છે કે સમયના અભાવે હું દરેક પ્રતિભાવ આપતા મિત્રોને વ્યક્તિગત ઈમેલથી આભાર વ્યક્ત નથી કરી શકતો. પણ બધા મિત્રો જે મારા બ્લોગની મુલાકાત લે છે એમનો અને ખાસ કરીને જે પ્રતિભાવ આપે છે એ બધાનો હું ઋણી છું.

ઘર ઘર રમીએ! May 2, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , ,
29 comments

Image from web

ઘર ઘર રમીએ!

ચાલ પાછાં બાળપણના ઓટલે ઘર ઘર રમીએ
રાજરાણી ભોળપણના પોટલે ઘર ઘર રમીએ

ઓઢ ઢાંકી દે વદન ઘૂંઘટ થકી શરમાળ થા તું
આવ પેલી નાસમજના ટોડલે ઘર ઘર રમીએ

ચાલ છોડ ગુલાબગુછ ખુશબો રહિત ઠાલા તમાશા
રાતરાણી ફૂલ ફોરમ ખોબલે ઘર ઘર રમીએ

સ્નેહનો સંહાર છોડી સ્વાર્થના પ્રવાહની આ
પાળ તોડી નિષ્કપટના ગોખલે ઘર ઘર રમીએ

આતમા પર છે પડેલો તિમિર મીટાવી દઈને
આવ પારસમણિ રતનના મોભલે ઘર ઘર રમીએ

હાશ રે સારું થયું “જગદીશ” માની એ ગયા તો
ગોળ ઘી ને બાજરીના રોટલે ઘર ઘર રમીએ
– જગદીશ ક્રિશ્ચિયન – એપ્રિલ ૨૦૧૦
છંદ વિધાન ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

ઘર ઘર રમીએ વિષય પર લેખ અને બીજી કવિતા માણવા નીચેની લિન્ક પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર સપ્ટેમ્બર ૦૫ ૨૦૦૮ – શ્રી. કાંતી ભટ્ટનો સરસ લેખ

ગુજરાત સમાચાર ઑક્ટોબર ૧૪ ૨૦૦૮

સપનાબેનની કવિતા

પ્રવિણાબેન કડકિયાની કવિતા 

આ કવિતા જ્યારે પ્રકાશિત કરી હતી ત્યારે પ્રવિણાબેનની અટક ખોટી જણાવી હતી એના માટે ખેદ સાથે દિલગીરી વ્યક્ત કરું છું.

ઘનશ્યામભાઈ – શબ્દનું સરોવર – ઘર વિષેની ઘણી કવિતાનું સંપાદન

ડો. નીલેશ રાણાની કવિતા શ્રી. નયનેશ જાનીનું સ્વર નિયોજન અને સોલી તથા નિશા કાપડિયાના આવાજમાં મિજાજ આલ્બમનું આ ગીત સાંભળો રણકાર.કોમ પર.

હું નથી! March 20, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , , , ,
26 comments

હું નથી!

હું સૂરજ નથી, હું તપતો નથી
હું ના ઊગતો, આથમતો નથી

હું ચાંદો નથી શાની ચાંદની
છૂપાતો નથી ખોવાતો નથી

ના ફૂલ પાંદડા પતઝડની ફિકર
ના મ્હેકું ભલે કરમાતો નથી

હું દરિયો નથી આંધી-ઓટ ના
ના હું ક્ષારતો, ઘૂઘવતો નથી

હું સરિતા નથી સાગરમાં ભળું
ના ડૂબાળતો, છલકાતો નથી

પાણી ઊડતું થૈ બાષ્પીભવન
ના તરસાવતો, ઢોળાતો નથી

હું ના હિમ, ઠરું ના હું ઓગળું
ના લપસાવતો, થીજવતો નથી

હું શમણું નથી ગાયબ જે થતું
ના લોભાવતો, તડપાવતો નથી

વધસ્તંભે ચડાવે છે ઈસુને
માનવ રોજ તું, શરમાતો નથી

છે ‘જગદીશ’ તું એમાંનો જ જે
રે પાપી જરા પસ્તાતો નથી
– જગદીશ ક્રિશ્ચિયન માર્ચ ૨૦૧૦

છંદ વિધાન: ગા ગાગાલગા ગા ગાગાલગા

ભસ્મ બુધવાર (Ash Wednesday) થી ઈસ્ટર સુધીના સમયગાળાને ખ્રિસ્તી લોકો તપઋતુ (Lenten Season) ગણે છે. આ સમય દરમ્યાન લોકો ઉપવાસ કરે છે, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને ફરી પાપ ન કરવાનો દૃઢ નિર્ણય કરે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે “જેમ તારી જાત પર પ્રેમ કરે છે એવો બધાને પ્રેમ કર”. પણ આવું કરનારા કેટલા છે એ મોટો પ્રશ્ન છે.

થોડો વગડાનો શ્વાસ – કવિ શ્રી. જયંત પાઠક – સ્વર સંગીત નયનેશ જાની February 28, 2010

Posted by jagadishchristian in કવિતા, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , , , , , ,
8 comments

સ્વર્ગસ્થ કવિ શ્રી. જયંત પાઠક.
(જન્મ-ઓક્ટોબર ૧૦, ૧૯૨૦ ગોઠ (રાજગઢ); અવસાન-સપ્ટેમ્બર ૦૯, ૨૦૦૩ સુરત)

પ્રસિદ્ધ કવિ, સંસ્મરણલેખક, નિબંધકાર, અનુવાદક અને સંપાદક. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજગઢ, માધ્યમિક કાલોલ અને ઉચ્ચ શિક્ષણ સુરત અને વડોદરામાં લીધેલું. બી.એ. ૧૯૪૩માં, એમ.એ. ૧૯૪૫માં, પીએચ.ડી. ૧૯૬૦માં. દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં કામ કર્યા પછી, થોડો સમય પત્રકારત્વમાં અને પછી સુરતની એમ.ટી.બી. કોલેજમાં નિવૃત્તિપર્યત અધ્યાપન. ૧૯૬૮માં નર્મદ અને ૧૯૭૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૦માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, તથા નરસિંહ મહેતા ઍવૉર્ડ તેમને મળેલા છે. તેમના કાવ્યસંગ્રહોમાં ‘મર્મર’, ‘સંકેત’, ‘વિસ્મય’, ‘અંતરીક્ષ’, ‘અનુનય’, ‘મૃગયા’, ‘શૂળી ઉપર સેજ’, ‘બે અક્ષર આનન્દના’ તથા ‘દ્રુતવિલંબિત’નો સમાવેશ થાય છે. ‘ક્ષણોમાં જીવું છું’ (૧૯૯૭) તેમની ૧૯૯૭ સુધીની સમગ્ર કવિતાનો સંગ્રહ છે. તેમની આત્મસંસ્મરણાત્મક કથા ‘વનાંચલ’, ‘તરુરાગ’ તથા ‘મનોમેળ તે મૈત્રી’ના નિબંધો તેમના પ્રકૃતિપ્રેમ વતનપ્રેમ તથા નરવા જીવનરાગનાં દ્યોતક છે. ‘આધુનિક કવિતાપ્રવાહ’, ‘આલોક’, ‘ભાવતિત્રી’, ‘વસન્તધર્મીનું વિદ્યામધુ’ વગેરે તેમની સ્વસ્થ વિવેચનરીતિના દ્યોતક ગ્રંથો છે. તેમણે ચેખૉવની શ્રેષ્ઠ નવલિકાઓનો તથા ‘ધીરે વહે છે દોન’નો અન્ય સાથે અનુવાદ પણ કર્યો છે. પ્રકૃતિ અને પ્રયણ આદિના, વતનપરસ્તી તથા અધ્યાત્મપ્રીતીનાં તેમનાં કાવ્યોમાં એક પ્રશિષ્ટ રુચિના, સૌષ્ઠવરાગી ને સૌન્દર્યનિષ્ઠ સર્જકનાં દર્શન આપણને થાય છે.

પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર કાવ્યવૈભવ. સંપાદક – શ્રી. ચિમનલાલ ત્રિવેદી અને શ્રી. ચંદ્રકાન્ત શેઠ. પ્રકાશક-ગૂર્જર પ્રકાશન ફેબ્રુઆરી ૦૪, ૨૦૦૪. 

એમના પ્રકૃતિ પ્રેમનો શ્વાસ માણીએ – સ્વર સંગીત નયનેશ જાની, કલોલ. (કાવ્યસંગીત સમારોહ – ૨૦૦૬ અમદાવાદ)

થોડો વગડાનો શ્વાસ

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,

પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને   
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશામાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં .

“કવિલોક”ના જુલાઈ-ઑગસ્ટ ૨૦૦૨ના અંકમાં શ્રી. તૃષિત પારેખના લેખ ‘જયન્ત પાઠકની કવિતામાં અભિવ્યક્તિવૈશિષ્ટ્ય’ ના થોડા અંશો. 

જયન્તભાઈનું ‘થોડો વગડાનો શ્વાસ’ એ ગીત ખૂબ પ્રચલિત થયું અને ગવાયું પણ છે. એમાં કવિની ચેતના વગડા સાથે સંપૂર્ણ સાયુજ્ય પામી છે. ‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ એ પંક્તિમાંનો ‘થોડો’ શબ્દ કવિની નમ્રતાને સૂચવે છે. કોઈ વિશિષ્ટ ઘટનાને અનુનયપૂર્વક સૂચવવાની કવિની એ લાક્ષણિક રીત હશે. વન સાથેની તદ્રૂપતા આકારિત થવા લાગે છે-
પ્હાડોના હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારા ફરકે છે ઘાસમાં…
આ ગીત સંદર્ભે કવિએ એક વાર પોતાની સર્જનપ્રક્રિયાની વાત કરતાં કહેલું આ ગીત કેવી રીતે આવ્યું? ‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ એ પંક્તિ આવી ગઈ. પણ પછી કાવ્ય આગળ ચલાવવું કેવી રીતે? શરીરના હાડ ઉપરથી પહાડ, પહાડ મજબૂત એટલે ‘પહાડોના હાડ’ બંધ બેસી ગયું. પછી એ રીતે શરીરની નાડી સાથે નદીના જળપ્રવાહની વાત સંકળાઈ. છાતીની બખોલને બુલબુલનો માળો કહેવાનું મન થયું. આંગળી ઉપરથી આદિવાસીનું તીણું તીર યાદ આવ્યું. આ રીતે કાવ્યમાં શબ્દો સ્ફુરતા ગયા. બધું ગોઠવાતું ગયું. આ રીતે કાવ્ય સર્જાયાની વાત કવિએ કરી. આ ગીતની રચનાપ્રક્રિયાની વાત કરીએ તો તેમાં ઉપમેય અને ઉપમાન બંનેનું સમરેખ સાહચર્ય જોવા મળે છે. ગીત જ્યારે અમુક ભાવવળાંક પાસે આવે છે ત્યારે ઉપમેય-ઉપમાનની સંગતિ તૂટે છે:
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ.
’મારાં પાંદડાં’, ‘મારાં મૂળ’નો અનુભવ દ્વૈતોને દૂર કરી અભેદના રસાયણમાં ઠરે છે.

‘વેરાન’ કાવ્યમાં બાર વરસને અંતે પોતાના ગમનું અવલોકન કરી કવિ ઊંડી વ્યથા અનુભવે છે. ગામનું નામ જ બદલાઈ જાય છે. આંગણામાં ઊભેલો વગડો ઊગમણી દિશામાં ટેકરીઓની સોડે લપાઈ ગયો છે. તેની સાથે કલરવમાળા, સૂરજિયો અંધાર, ધૂંગામાં સૂતાં’તાં એ શિયાળવાં, રાનબિલાડાના ડોળામાં ફરતા તેજ કુંડાળાં, ચટાપટાવાળા સાપલિસોટા, – એ બધો વૈભવ પણ અદ્ર્શ્ય થાય છે. એટલામાં કઠિયારાની કુહાડીના ટચકા કવિને સંભળાય છે. વૃક્ષ કડડ કરતું પડે છે. કપાઈને જમીનદોસ્ત થતા વૃક્ષની સાથે કવિનું સ્વ પણ ઊખડી પડે છે. વગડો વેરાન થવાની સાથે કવિચેતના પણ શૂન્ય બની જાય છે. જો કે ધીમે ધીમે વન વતન અને આદિમતાનો આવેગ કવિતામાં ઓસરવા લાગે છે. હવે આવા ઉદગારો સાંપડે છે
હું અને વગડો
હવે ક્યારેક ક્યાંક
સામસામા મળી જઈએ છીએ ત્યારે
ચિરપરિચિતોની જેમ ભેટી પડીએ છીએ;
અપરિચિતોની જેમ અતડા રહીએ છીએ-